આંબો ને તુલસીની આ લઘુકથા દરેક માં બાપે જરૂર વાંચવી જોઈએ, તેમાં એક ખાસ વાત છુપાયેલી છે.

0
1488

ફળીયાના ક્યારામાં ગોડ કરી, આંબાના છોડને ગોમતી ખાતર આપી રહી હતી.

નાની લાભુ રમતી હતી.

“બા… આ તુલસીને પણ ખાતર આપને.”

“ના… એને ખાતરની જરુર નહીં. ખાલી પાણી જ અપાય.”

“કેમ?”

“આંબો મોટો થઈને છાંયો કરશે.. ને કેરી આપશે. એને ધ્યાન દઈ ઉજેરવો પડે. ને તુલસી તો આપમેળે ઉગે-ઉછરે.. ને એક વરસે સુકાઈને વનમાં જાય.”

બા રોજ ભાઈને પરાણે ઘી-ગોળ ખવડાવતી તે દૃષ્ય લાભુના મનમાં ચીતરાયું. કંઈક સમજાયું. કંઈક ન સમજાયું..

તેને લાગ્યું.. શું આંબા ને તુલસીમાં ફેર. એટલો જ ભાઈ ને બેનમાં પણ?

બપોરે ખાવા ટાણે બાએ પુછ્યું “તને શું આપું?”

આંબો અને તુલસી હજી પણ તેના મનમાંથી ખસ્યાં નહોતાં.

મોંમાંથી પરાણે શબ્દો સરી પડ્યા,

“બા, મને ઘી-ગોળ ના ભાવે હો.”

ને એક આંચકો ગોમતીના હૃદય સુધી પહોંચી ગયો. મનોમન વિચાર્યું મારી દિકરી બહુ સમજુ છે. મેં ક્યારેય ભઈલાની જેમ આગ્રહ કરીને ઘી-ગોળ આપ્યા નથી. એટલે એનાથી બોલાઈ ગયું લાગે છે. તરત જ વાટકી ભરીને ઘી-ગોળ આપ્યા.

“ભલે ના ભાવે.. પણ આટલું ખુટાડ. પછી જ બીજું માંગીશ તે આપીશ.”

ખાતાં-ખાતાં લાભુએ પુછ્યું ” બા, ભગવાનને પ્રસાદ ધરીએ. એમાં તો તુલસીનું જ પાંદડું નખાય ને? આંબાનું કેમ નહીં?”

ગોમતી હસી “ દિકરી, તુલસી પવિત્ર છે. એટલે ભગવાનને ગમે છે.”

લાભુના ચહેરા પર સંતોષની લેરખી ફરી વળી. ભાઈ ભલે ને આંબો થાય. હું તો તુલસી છું ને.

– જયંતીલાલ ચૌહાણ ૨-૨-૧૮.