અરણેજના શ્રી બુટભવાની માતાજી મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે, માતાજીએ બ્રિટિશ સરકારને ..

0
4171

મિત્રો, આજે અમે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં આવેલા, શ્રી બુટભવાની માતાજીનું મંદિર સાથે જોડાયેલી થોડી જાણકારી તમારી સમક્ષ રજુ કરી રહ્યા છીએ. તમારામાંથી ઘણા લોકોએ આ મંદિરના દર્શન કર્યા હશે. જેમણે ના કર્યા તેમને જણાવી દઈએ કે, આ મંદિર ધોળકાથી 25 કિ.મી. ના અંતરે આવેલું છે.

આ મંદિર ઐતિહાસિક, રમણીય અને પ્રાચીન છે. શ્રી બુટભવાની માતાજીના ઈતિહાસ વિશે એવું કહેવામાં આવે છે કે, બુટભવાની માતાજી ચારણ કુળમાં પ્રગટ થયા હતા. સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડાના રહેવાસી બાપલદેથા ચારણ કુટુંબના હતા, અને તે હિંગળાજ માતાજીના પરમ ભક્ત હતા. બાપલદેથા ચારણ અને આઈશ્રી દેવળબાને સાત દીકરીઓ હતી. તેમના નામ બુટભવાની, બલાડ, બેચરા, ખેતું, બાલવી, મેણસરી અને વિરુબાઈ હતા. (જણાવી દઈએ કે, આ માહિતી તેમના વંશજ શંકરદાન દેથા ચારણની બુકમાંથી લેવામાં આવેલ છે.)

હિંદુ સંસ્કૃતિના વિવિધ જ્ઞાતિઓના કુળદેવી તરીકે પૂજાતા માતાનું અનેરું મહત્વ છે. જો તમને જાણકારી ન હોય તો જણાવી દઈએ કે, સાપકડા ગામ જે હળવદથી આશરે 15 કિલોમીટર દૂર આવેલું તે બૂટભવાની માતાજીનાં જન્મસ્થાન તરીકે જાણીતું છે. આ મંદિરનો ઇતિહાસ ખરેખર જાણવા જેવો છે. સદીઓ પહેલા બાપલદેથા નામના દેવીપુત્ર ચારણ ઘોડાના વેપાર અર્થે સિંધમાંથી સૌરાષ્ટ્ર-કરછ સુધી આવતા હતા. કયારેક-કયારેક તેમની સાથે તેમના પત્ની મીનળદેવી પણ આવતા હતા.

સમય જતા વ્યવસાયના કારણે સૌરાષ્ટ્રનો સંપર્ક વધતા આ દંપતીએ પોતાના જીવનનો ઉતરાર્ધ સૌરાષ્ટ્ર પ્રાંતના સર્પકુડ નામના તિર્થમાં વિતાવવાનો નિર્ણય લીધો. આ વિસ્તારમાં કેટલાક જ્ઞાતિજનો સાથે નેશ બાંધીને તેમણે નિવાસ કર્યો. આ દંપતિને માતાજીમાં ઘણી શ્રધ્ધા હતી. બંને જણા પોતાનો સમય માતાની સેવામાં ગાળતા. બાપલદેથા તથા પત્ની મીનળદેવીને શેરમાટીની ખોટ હતી.

એકવાર હિંગળાજ માતાએ પોતાના ભકત બાપલદેથાની પરીક્ષા લેવાનું વિચાર્યું. આથી માતાજીએ ગાયનું રૂપ ધારણ કર્યું અને સિંહના આક્રમણનું દ્રશ્ય ઊભું કર્યું. આ દ્રશ્ય જોઈ ગાયની રક્ષા માટે બાપલદેથા પોતાના પ્રાણનું બલીદાન આપવા વચ્ચે પડ્યા. ત્યારે ક્ષણવારમાં જ ગાય તથા સિંહ અદ્રશ્ય થઇ અને માતાજી પ્રગટ થયા. તેમણે બાપલદેથાને વરદાન માંગવા કહ્યું. બાપલદેથાએ શેરમાટીની ખોટ પૂરી કરવા આજીજી કરી. આ આજીજીના કારણે સમય જતાં બાપલદેથાના ધેર જગદંબા અવતાર બૂટભવાનીએ જન્મ લીધો. બૂટભવાની માતાજીનો જન્મ અંદાજીત વિક્રમ સવંત 1451 ની અષાઢ સુદી બીજના દિવસે થયો હતો.

તે સમયે વરદાન આપતી વખતે માતાજીએ બાપલદેથાને કહ્યું હતું કે, આજથી 9 માસ બાદ તારા ધેર દીકરીનો જન્મ થશે, અને નિશાની માટે એ દિકરીની બંને કાનની બૂટ વિંધાયેલી જન્મે, તો માનજે કે તને આપેલા વરદાન મુજબ હું પોતે અવતાર ધારણ કરી આવી છું. આ નિશાની મુજબ જ માતાજીએ અવતાર ધારણ કર્યો આથી જગંદબા બુટભવાનીના નામે પ્રસિદ્ધ થયા.

આ થઇ માતાજીના અવતરણની વાત. હવે આપણે તેમના પરચાની વાત કરીએ, તો સુરેન્દ્રનગર જીલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે જેઠવાની ધારે આશરે 250 વર્ષ પહેલાં બુટભવાની માતાજી પ્રગટ થયેલાં. તે સમયે માં જગદંબા બુટભવાની માતાજીનો ઉપાસક મેરિયો ભુવો થઈ ગયો. મેરિયો ભુવો માતાજીની તન, મન અને ધનથી ભક્તિ કરતો, અને બુટભવાની માતાજી તેની સાથે પડદે વાતો કરતાં. તે સમયે મેરિયો ભુવાએ કહેલું કે, માં તમે મને પડદે વાતો કરો છો, પણ તમે મને સન્મુખ દર્શન આપો. ત્યારે માતાજીએ કહેલું કે, દીકરા મને તું નહીં ઓળખી શકે. અમો ચારણનાં દીકરીના જગદંબા છીએ. છતાં પણ મેરિયો ભુવો વારંવાર માતાજી આગળ પ્રાર્થના કરતો. પછી માતાજીએ કહ્યું કે, દીકરા હું તને સન્મુખ દર્શન આપીશ.

તે સમયગાળામાં નવરાત્રિ શરુ થવાની હતી, તો મેરિયો ભુવો માતાજીના નવરાત્રિનો પૂજાપો લેવા સાપકડા ગામેથી હળવદ સૂર્ય ઉદય થતા પોતાનું બળદ ગાડું લઈને જતો હતો. તે જ સમયે રસ્તામાં જગદંબા બુટભવાની માતાજી ડોશીના સ્વરૂપમાં તેમજ કંગાળ અવસ્થામાં ત્યાં ઊભેલાં હતાં. માતાજીએ મેરિયા ભુવાને કહ્યું કે, મારી તબિયત સારી નથી અને હું ચાલી શકતી નથી. મને તારા બળદ ગાડામાં હળવદ સુધી લઈ જા. ત્યારે મેરિયા ભુવાએ કહ્યું, આઘી જા ડોશી મારું ગાડુ અભડાઈ જશે. હું તો હળવદ બુટભવાની માતાજીનો પૂજાપો લેવા જાઉં છું.

તે જ દિવસે મેરિયો ભુવો માતાજીનો નવરાત્રિનો પૂજાપો લઈને સૂર્ય આથમતાની વેળાએ બળદ ગાડામાં હળવદથી સાપકડા ગામે પાછો આવતો હતો. હળવદ અને સાપકડા વચ્ચે માં જગદંબા બુટભવાની 16 વર્ષની સુંદરીના રૂપમાં ઊભાં હતાં. તેમણે મેરિયા ભુવાને કહ્યું, એ ભાઈ મને તારા બળદ ગાડામાં સાપકડા ગામ સુધી બેસાડને. પછી મેરિયા ભુવાએ કહ્યું, બેન તમે મારા બળદ ગાડામાં બેસી જાઓ. પછી બળદ ગાડું 15-20 ડગલાં આગળ ચાલ્યું કે, મેરિયા ભુવાએ બુટભવાની માતાજી પર કુદૃષ્ટિ કરી. આથી બુટભવાની માતાજીએ હળવદ અને સાપકડા વચ્ચે જેઠવા ધારના કાંઠે તેને મારી નાખ્યો.

પછી ત્યાંથી માતાજી રુદ્ર સ્વરુપે અરણેજ ગામે આવ્યાં. એ સમયે અરણેજ ગામ ઘટાટોપ જંગલથી લદાયેલું હતું. અને તે સમયે અરણેજ ગામના કારડિયા રાજપૂત સમાજમાં થઈ ગયેલ કાળાબાપા તેમજ ધોળાબાપા બંને ભાઈઓ માતાજીના ઉપાસક હતા. તે સમયે બંને ભાઈઓને માતાજી રાત્રિના સ્વપ્નમાં આવેલા અને કહેલું કે, આ ગામના પાદરે આ વડમાં મારી મૂર્તિ અને ચોખા-ચુંદડી છે, અને અમે ચારણનાં દીકરી છીએ. માતાજી તે સમયે ત્રણ રાત્રિ સુધી બંને ભાઈઓના સ્વપ્નમાં આવતા હતાં. કાળાબાપા તેમજ ધોળાબાપાએ તેમને કહ્યું કે, માડી એ વડ નીચે બ્રિટિશ સરકારના સૈનિકો રાત-દિવસ આરામ કરે છે. જો આ વડને કાપીએ તો તેઓ અમારા રાઈ-રાઈ જેવા કટકા કરી નાશે.

પછી માતાજીની કૃપાથી તે વડ આપોઆપ સુકાઈ ગયો, અને ત્યાંથી બુટભવાની માતાજીની મૂર્તિ અને ચોખા-ચુંદડી નીકળ્યાં. પછી માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. બ્રિટિશ સરકારના સૈનિકોએ કાળાબાપા તેમજ ધોળાબાપાને શિક્ષા આપવા માટે માથે મોભડાં લટકાવ્યા. પણ માતાજીની કૃપાથી બંને ભાઈઓના મોભડા ઊંચા રહ્યા. તે જ સમયગાળામાં વડોદરા ગાયકવાડ સ્ટેટ, દામાજી રાજા અમરેલી પાસે ખાંભા જીતવા જતા હતા, ત્યારે માતાજી દામાજી રાજાને સ્વપ્નમાં આવ્યાં અને કહ્યું કે, તારે ત્યાં દીકરો જન્મશે અને તારી ઘોડીને વછેરો આવશે, અને તારા દીકરાને લાખનું નિશાન હશે, અને તારા ભાલા પર ચકલી ફરકતી હશે અને તું ખાંભા જીતીને આવીશ.

પછી બુટભવાની માતાજીની કૃપાથી દામાજી, ગાયકવાડ સ્ટેટ, વડોદરાએ સાણંદ અને ગાંગડ સ્ટેટ ભઈયાત પાસેથી અરણેજ ગામ વેચાતું લઈને બુટભવાની માતાજીને કાપડા તરીકે અર્પણ કર્યું. તે અરસામાં અમદાવાદથી ભાવનગર રેલવે લાઈન નખાતી હતી. બ્રિટિશ સરકારના રેલવે ઈજનેરોએ રેલવે લાઈન નાખી દીધા પછી, જયારે તેમણે ગાડી ચાલુ કરી કે તે જ સમયે રેલવેના ડબ્બા તેમજ પાટા વેરવિખેર થઈ ગયા. એવું બે-ત્રણ વખત બનતા બ્રિટિશ સરકારના ઈજનેરોને લાગ્યું કે અહીં કોઈ દૈવી શક્તિનો વાસ છે.

તે સમયથી અરણેજ બુટભવાની માતાજીને સવા રુપિયો, નાળિયેર અને ચુંદડી-દીવાના લેખે બ્રિટિશ સરકારના વખતથી વર્ષાસન આપવામાં આવે છે. હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ (ભારત સરકાર) તરફથી આ પ્રથા ચાલુ છે. અરણેજ ગામના સીમાડેથી રેલવે ગાડી નીકળે ત્યારે સલામ (વ્હીસલ વગાડીને) કરીને જાય છે. તેમજ બુટભવાની માતાજી સોની, દરજી, બ્રાહ્મણ, વાણિયા, કારડિયા રાજપૂત, તુરખિયા, પટેલ, પંચાલ, સુથાર અને વાળંદ વગેરે 64 જ્ઞાતિના કુળદેવી છે.

હવે આપણે માતાજીના આ મંદિર વિષે થોડી જાણકારી મેળવી લઈએ. આ મંદિરમાં બુટભવાની માતાજી તરફથી બંને ટાઈમ સાત્વિક ભોજનની (અન્નક્ષેત્ર) ની સુંદર સુવિધા છે. દર રવિવાર તથા દર મંગળવાર, અને પૂનમ તેમજ દર સંકટ ચોથના દિવસે પૂજા-અર્ચના કરવા યાત્રાળુઓની માનવમેદની આ મંદિરમાં ઉમટે છે. આ મંદિર શક્તિપીઠ તરીકે પૂજાય છે. આખા દિવસમાં બુટભવાની માતાજીની 5 વખત આરતી થાય છે. આ મંદિરે ચૈત્ર સુદ પૂનમનો માતાજીનો મેળો પણ ભરાય છે.

જણાવી દઈએ કે, ચૈત્ર સુદ તેરસ માતાજીના જન્મદિન તરીકે ઊજવાય છે. આ મંદિર સુધી આવવા માટે અમદાવાદ તથા બાવળા, ધંધુકાથી એસટી બસોની અગવડ છે, તેમજ અમદાવાદથી બોટાદ જતી તમામ લોકલ ટ્રેનોને અરણેજ રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવેલ છે. અમદાવાદથી અરણેજ આવવા માટે વાયા બાવળા, બગોદરા, અરણેજ હાઈવે સુધીના સીતેર કિલોમીટર થાય છે.

(મિત્રો, આ ઇતિહાસમાં કાંઈ ભુલચુક હોય અથવા આ સિવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય, તો તમે અમને મેસેજમાં મોકલી શકો છો. અમે તેને અહીં રજુ કરીશું.)