શા માટે સ્મશાનમાં મૃતદેહને બાળવા માટે અગ્નિ ઘરેથી લઈ જવાય છે? જાણો કારણ. આપણા સૌના બાપ દાદા પૂર્વજો રૂષિ-મુનિઓએ બનાવેલી આ પરંપરાને આજે પણ આપણે સૌ પાળીએ છીએ. અગત્યની વાત એમ છે કે, જુનાં સમયમાં જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડીયાને સપ્તપદી બોલીને મંગળનાં ચાર ફેરા ફેરવાતા. જેમાં…
પહેલો ધર્મ નો,
બીજો અર્થ નો,
ત્રીજો કામ નો
ચોથો મોક્ષ નો.
મોક્ષનાં ચોથા ફેરામાં સ્ત્રી પોતાનાં પતિને આગળ ચલાવીને પોતે પાછળ ચાલે છે. જે અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા હોય, તે અગ્નિ બુજાવા નો’તો દેવાતો. જાન પરણીને જાય, ત્યારે વર પક્ષવાળાને તે અગ્નિ માટીનાં દોણીમાં ભરીને આવવામાં આવે છે. સમય સાથે પતરાનાં ચોરસ ફાનસ આવ્યા, અને હવે કોરો ધાકોડ દીવડો આવ્યો, જેને રમણ દીવો કહેવાય છે.
જ્યારે જાન પરણીને ઘરે આવે, ત્યારે તે અગ્નિમાં એકાદ બે દેતવા જીવીત રાખતા. તે દેતવા ઉપર છાણાનો ઓબાળ ભરી ફરી અગ્નિ પ્રગટાવાતો. તે અગ્નિમાં રસોઇ પકાવી ને ખાવામાં આવતી, પછી અગ્નિને ચુલામાં રાખથી ભંડારી દેવામાં આવતો. સવારે પાછો એ જ અગ્નિ જીવતો કરાતો, આ ક્રમ જીવનપર્યંત ચાલતો રહેતો.
જ્યારે માણસ મરી જાય, ત્યારે એ જ અગ્નિને પાછો દોણીમાં ભરીને લઈ જવાય છે, અને તે જ અગ્નિથી દેહને અગ્નિદાહ આપવામાં આવે છે.
મુત્યુ પછીનાં ચાર વિસામાઓ આ પ્રમાણે છે.
પહેલો વિસામો ઘર આંગણે,
બીજો વિસામો ઝાંપા બહાર,
ત્રીજો વિસામો ગામનાં ગોંદરે,
ચોથો વિસામો સ્મશાનમાં.
ધર્મ, અર્થ, કામ, મોક્ષનાં આ જ ચાર વિસામા છે. તે જ રીતે મૃતદેહને ચાર પ્રદક્ષિણા કરવામાં આવે છે, પગેથી પાછા વળવાની. માટે જ કેવાય છે કે જીવ શિવમાં ભળી ગયો, તે શિવમય બની ગયો. શિવનાં ચરણ ક્યારે પણ ઓળંગી ન શકાય.
અગ્નિદાહથી જળ, થલ, અગ્નિ, આકાશ, અને પવન, આ પાંચ તત્વ પોત-પોતાનાંમાં ભળી જાય છે, તેને ભગવાનમાં વિલીન થયા કેવાય છે. હવે તેનાં દર્શન કરવા હોય, તો શિવાલયે જવાનું. દીવાનાં દર્શને એટલા માટે જ કરવામાં આવે છે.
આત્મા અમર છે, આત્મા મરતો નથી. જળ, થલ, અગ્નિ, આકાશ, પવન પોત-પોતાનામાં ભળી જાય છે, તે જ્યાંથી આવ્યો હતો ત્યાં.
અર્થ : મનુષ્ય મરતો જ નથી, ફરક માત્ર એ છે કે તમે જે રૂપમાં જોયા હતા તે રૂપ હવે નથી રહ્યું.
ભગવાન એટલે શું ?
ભ – ભૂમિ
ગ – ગગન
વા – વાયુ
ન – નીર
મુખ્ય સાર : પ્રકૃતિ, એ જ ભગવાન છે.
સનાતન ધર્મમાં લખેલ ખૂબ સુંદર માહિતી.
માત્ર છેલ્લા પેરેગ્રાફમાં, નમ્રતાથી , થોડો ફેરફાર છે તે જણાવું છું. ભગવાન શબ્દમાં ચાર નહીં પણ પાંચ તત્વ હોય છે.
ભ+ગ+વ+અ+ન. “અ” એટલે અગ્નિ એ પાંચમું તત્વ છે. આ પાંચ સાક્ષાત દેવતા છે, જેમાંથી એક પણની હાજરી ના હોય તો જીવન શક્ય જ નથી.