લઘુકથા – ઘરના ઘેર :
– માણેકલાલ પટેલ.
બાબુલાલની કરિયાણાની દુકાન તો સરસ ચાલતી હતી પણ એમના નાના પુત્રના જીવનમાં ઘટેલી ઘટનાથી એ ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા.
નાના યતીને અનેરી સાથે પ્રેમલગ્ન કરી લીધાં હતાં.
મોટો રિષભ કુંવારો હતો.
સામાજીક રીતે પણ એમના કુટુંબની બદનામી થઈ હતી.
પણ, અનેરીનો સ્વભાવ સારો હોઈ એ આ પરિવારમાં ઝડપથી ભળી ગઈ હતી.
સામાજીક રીતે ડહોળાયેલું વાતાવરણ ધીરેધીરે શાંત થતું જતું હતું.
પણ, પાછી અચાનક એવી ઘાત આવી કે એ બાબુલાલ અને એમના કુટુંબ માટે સહન થઈ શકે તેમ નહોતી.
એક ગોઝારા અકસ્માતમાં યતીને દુનિયામાંથી વિદાય લીધી. માંડ ત્રેવીસ વર્ષનો હતો એ. અને અનેરી બાવીસની. ચાર જ માસના લગ્ન જીવન પછી એને આવેલા વૈધવ્યથી સૌ ડઘાઈ ગયાં હતાં.
બાબુલાલે દીકરો તો ગુમાવ્યો હતો પણ પુત્રવધૂયે ચાલી જશે એનોય એમને રંજ થયા કરતો હતો. અનેરીનાં મમ્મી- પપ્પાને એમની યુવાન દીકરીની ચિંતા સતાવે એ સ્વાભાવિક હતું.
યતીનના ગયા પછીની વિધી પત્યે એકાદ મહિનો થયો ત્યારે બાબુલાલે ભારે હ્રદયે કહ્યું :- “આપ અનેરીને લઈ જઈ શકો છો.”
હજી તો પ્રભુતામાં પગલાં માંડવા જેટલી ઉંમરે દીકરીના વૈધવ્યને ક્યાં મા- બાપ સહન કરી શકે? એમણે અનેરી માટે બીજા મૂરતિયાની શોધ આદરી.
બાબુલાલેય અનેરી માટે સમાજમાં નજર ફેરવતા રહેતા હતા.
એક દિવસ અનેરીનાં મમ્મી- પપ્પાએ બાબુલાલને કહ્યું :- “છોકરો તમારા ધ્યાનમાં જ છે અને તમે……”
બાબુલાલ વિચારમાં પડી ગયા.
“આપણી અનેરી માટે રિષભ…….”
“પણ, અનેરી…. ?”
“મારેય ઘર બદલવું નહિ પડે ને, પપ્પા!?” અનેરી મનમાં જ બોલીને રિષભ સામે જોઈ મલકાઈ ગઈ.
– માણેકલાલ પટેલ.