લઘુકથા – વંશવેલો :
– માણેકલાલ પટેલ.
દીકરાને ત્યાં દીકરો આવ્યો એની ખુશીમાં વીરેન્દ્ર મારા ઘરે પેંડાનું બોક્ષ આપવા આવ્યો. ઘડીક બેઠો. પણ, એ ઘડીકમાં ઘણું બધું બોલ્યો. અમે એને સાંભળી રહ્યાં.
આ વીરેન્દ્ર મારા ગામનો હતો એટલે એની જૂની વાતો સાંભળવાનો આનંદ આવે એ સ્વાભાવિક હતું.
એના દીકરાને ત્યાં દીકરાની પધરામણી થયેલ હોઈ એ વધુ ખુશ હતો. એણે કહેલું :- “નસીબદાર હોય એનો વંશવેલો આગળ વધતો હોય છે.”
એના ગયા પછી મારી પત્નીએ પેંડાનું બોક્ષ ખોલી મને એક પેંડો આપેલો. હું એને હાથમાં લઈ વિચારી રહ્યો :-
થોડા દિવસો પહેલાં મારે ગામડે જવાનું થયેલું ત્યારે વિરચંદભાઈના ઘરે મળવા ગયેલો. એ પંચોતેરે પહોંચેલા. અહીં એ વૃદ્ધ દંપતિ એકલાં રહેતાં હતાં. એમણે કહેલું :- “કમનસીબ માં – બાપ હોય એમને વીરેન્દ્ર જેવો દીકરો મળતો હોય છે.”
મેં પેંડો પાછો બોક્ષમાં મૂકી દીધો.
– માણેકલાલ પટેલ.