બાળપણમાં ‘ભગવાનનો ભાગ’ અલગ રાખવાની પાડેલી આદત મોટી વયે ખુબ ઉપયોગી થાય છે.

0
493

જયારે હું નાની હતી ત્યારે મારી બા અમને દરેક બાળકોને બધી જ વસ્તુના ભાગ પાડી દેતા હતા. અમે કાકા બાપાના થઇને કુલ 13 બાળકો હતા, એટલે ફ્રુટ હોય, ડ્રાયફ્રુટ હોય કે પછી મીઠાઈ દરેકના ભાગ જરૂર પડતા. ઉદાહરણ તરીકે દ્રાક્ષ હોય તો 13 વાટકીમાં બધાને સરખા ભાગે દાણા અપાતા અને પછી એક 14 મી વાટકી મૂકી બા કહેતી કે, “આ વાટકી ભગવાનની છે, તમારામાંથી બધાએ એમાં 2-2 નંગ મુકવાના. અને અમે એવું કરતા પણ ખરા.

તે ભગવાનની વાટકી એમ જ ભરેલી પડી રહેતી અને અમે રમવા જતા રહેતા. ઘણીવાર તો એવું પણ બનતું કે અચાનક કોઈ મહેમાન આવી જાય, તો એ વાટકીમાંથી એમને પણ પીરસાતું. અને કોઈ ના આવે, તો એને ઝાડ નીચે પધરાવવાનું અને પક્ષીઓ, કીડીઓ, મંકોડા તેને ખાતા અને અમે તેમને જોઈ રહેતા.

આ રીતે અમારી બાએ અમને શીખવાડ્યું હતું કે, આંગણે આવેલા મહેમાન, ભિક્ષુક કે જીવજંતુમાં ભગવાન આવીને એમનો ભાગ ખાઈ જાય છે. આથી અમને ક્યારેય એવું ના લાગ્યું કે, બાજુવાળા માસી અમારી કેરી ખાઈ ગયા! અમને તો સંતોષ હતો કે ભગવાન જ આવીને આ લે છે. અને સાયકોલોજીકલી આ વાતની અસર અત્યારે પણ મારા જીવનમાં પડે છે.

બા નું ગણિત કેટલું સાચું હતું. અત્યારે હું જમવા બેસું ને કોઈ આવી જાય, તો મારો મુડ નથી બગડતો. કોઈવાર ઘરમાં બિલાડી આવીને દૂધ પી જાય, ઢોળી નાખે, કે પછી બનાવીને ઢાંકીને મુકેલા લાડૂ પર કીડીઓ ચડી જાય તો મને ગુસ્સો નથી આવતો. એ રીતે કદાચ ભગવાન એમનો ભાગ લઇ રહ્યા છે, એમ માની હળવી થઇ જાઉં છું. ચિડચીડી નથી થઇ જતી અને શાંતિથી વિચારીને ફરીથી કામે લાગી જાઉં.

અને તેનો સૌથી મોટો ફાયદો એ થયો કે, મને ક્યારેય પણ એવું નથી લાગ્યું કે “જોયું? મેં આપ્યું! હું બીજા કરતા ચઢિયાતી છું. મેં ના આપ્યું હોત, તો એનું શું થાત! આમ ક્યારેય અભિમાન નથી આવ્યું. અને સ્વાભાવિક છે કે, અભિમાન ના આવે, એટલે છકી પણ ન જવાય!

મિત્રો, ભગવાને તો આપણને કેટલું બધું આપ્યું છે. માતા, પિતા, ભાઈ, બહેન, દાદી, દાદા, આખું કુટુંબ, રહેવા માટે ઘર, ખાવા માટે જમીનમાં અનાજ, ફળફળાદિ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને કાંઈ કેટલુય! હવે થોડુંક જતું કરવું પડે, તો તેમાં અહંકાર શેનો? માતાએ નાના ભાઈને કશુક વધારે આપ્યું, તો એ મારામાંથી ભગવાનનો ભાગ હતો એમ માનીએ, તો કેટકેટલા સંઘર્ષો અટકી જાય. કેટલા કેસ સમૂળગા બંધ થાય. અહંકાર અને મનદુઃખ કશું જ ના રહે, ત્યારે જીવવાની કેવી મઝા આવે.

અને ભગવદ્દગીતામાં પણ શ્રીકૃષ્ણ એ જ કહે છે ને કે, “તું કર્મ કર! ફળની અપેક્ષા ના રાખ! ફળ તને આપોઆપ મળશે.” તો આ રીતે જીવીશું, તો આપોઆપ જ ફળની અપેક્ષા નહિ રહે. આના માટે એક બીજું ઉદાહરણ આપું તો કોઈ કાનજીભાઈએ રમેશભાઈને 10 હજાર રૂપિયા આપ્યા હતા. જ્યારે રમેશભાઈને જરૂર હતી અને કોઈ નહોતું આપી શક્યું ત્યારે કાનજી ભાઈએ તેમને રૂપિયા આપ્યા હતા.

આ વાતને વર્ષો વીતી ગયા છે. આજે કાનજીભાઈનો દીકરો રમેશભાઈના ગામમાં છે, પણ અચાનક બીમાર થવાથી કોઈક હોસ્પીટલમાં સારવાર માટે એને રૂપિયા ભરવા છે પણ 5 હજાર રૂપિયા ખૂટે છે. પાછા પોતાના ગામ જઈને લાવવામાં બહુ વાર લાગે તેમ છે. તે પિતાને ફોન કરે છે. તેના પિતા રમેશભાઈને ફોન કરીને કહે છે કે, ”ફલાણી હોસ્પિટલમાં 5 હજાર રૂપિયા પહોંચાડી શકશો?”

રમેશભાઈ તો ખૂબ ખુશ થઇને કહે છે કે, “હું તમારા રૂપિયા પાછા આપવા આવેલો પણ તમે બીજે ક્યાંક રહેવા ગયા હતા. એટલે મનમાં એક તમને મળી ના શક્યાનો વસવસો હતો, પણ આજે વાત થઇ, બહુ સારું લાગ્યું. તમે દીકરાની જરાય ચિંતા ના કરતા, 5 શું 50 હજાર જોઇશે તો પણ આપીશ, અને એની જમવાની વ્યવસ્થા પણ અહીંથી જ થઇ જશે. અને તમે પણ જ્યારે આવો, તો આ તમારું જ ઘર છે, ઉતારો અહી જ રાખવાનો.“

બોલો, આમાં ક્યાંય રમેશભાઈને અહંભાવ આવે? તો આપણે કોઈને મદદ કરીએ ત્યારે એટલુંજ યાદ રાખીએ કે, ઉપરવાળા કાનજીભાઈએ અત્યાર સુધી કેટલી મદદ કરી છે. હવે એમાંથી પાછો થોડો ભગવાનનો ભાગ આપવાનો આવે, તો અહંભાવ નહિ પણ અહોભાવ જ થાય !

ઈશ્વર કરે આપણે બધાજ આવા અહોભાવથી જીવી શકીએ!

– સાભાર સુષ્મા બેન.