“ચિત્ત તું શીદને ચિંતા ધરે?” વાંચો કવિ દયારામનું કૃષ્ણ ભક્તિનું એક અદ્દભુત પદ.

0
1598

ચિત્ત તું શીદને ચિંતા ધરે?

કૃષ્ણને કરવું હોય તે કરે!

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;

સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે

કૃષ્ણને કરવું હોય તે કરે!

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;

જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે

કૃષ્ણને કરવું હોય તે કરે!

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે?

ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે

કૃષ્ણને કરવું હોય તે કરે!

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;

રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે?

કૃષ્ણને કરવું હોય તે કરે!’

કવિ : દયારામ.

(સાભાર ઉષા ચોટલીયા)