શ્રી ચામુંડા માતાજી મંદિર – ચોટીલાનો આ ઇતિહાસ તમારા બાળકોને જરૂર જણાવો, સ્કૂલમાં આ વાતો નહિ શીખવાડે

0
3569

તમારામાંથી ઘણા બધા લોકો ચોટીલા ગયા હશે. તે રાજકોટ પાસે આવેલું એક ધાર્મિક સ્થળ છે અને ચોટીલાનો સમાવેશ સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. અહીં ચામુંડા માં નું મંદિર આવેલું છે. ઐતિહાસિક દ્રષ્ટિએ પહેલા આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. ચામુંડા માં એ શક્તિના 64 અવતારોમાંથી એક અવતાર છે.

માં ચામુંડા ઘણા હિંદુઓના કુળદેવી પણ છે. ચામુંડા માતાજીનું આ મંદિર જગપ્રસિદ્ધ છે અને તે ચોટીલા પર્વતના શિખર પર આવેલું છે. જો તમે ધ્યાન આપ્યું હોય તો તમે જાણ્યું હશે કે, ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખર પર જોવા મળે છે.

જો તમે ચોટીલા નથી ગયા તો જણાવી દઈએ કે, ચોટીલા રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં-8-એ પર વચ્ચે આવે છે. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિલોમીટર અને રાજકોટથી આશરે 50 કિલોમીટર જેટલું થાય છે. માતાજીના દર્શન કરવા માટે ચોટીલા પર્વત પર આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે. મિત્રો, સમુદ્રની સપાટીથી ઉંચાઈની વાત કરીએ, તો ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ, ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફૂટ જેટલી છે.

આવો હવે તમને શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ જણાવીએ. થાનપુરાણ નામના પુસ્તકમાં થયેલા ઉલ્લેખ અનુસાર શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહિંયા ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા. તે લોકોને ખુબ પરેશાન કરતા હતા. છેવટે તેમનાથી કંટાળી જઈને ઋષિ મુનીઓએ યજ્ઞ કરીને આદ્યા શકિત માં ની પ્રાર્થના કરી. પછી તે હવન કુંડમાંથી તેજ સ્‍વરૂપે મહાશકિત પ્રગટ થયા, અને તે જ મહાશકિતએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વ ધ કર્યો.

ત્‍યારથી તે મહાશકિત ચંડી ચામુંડા તરીકે ઓળખાવા લાગ્યા. ચામુંડા માતાજીએ અનેક પરચાઓ દેખાડ્યા છે. ચામુંડા માતાજીને રણ-ચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચામુંડા માતા દુર્ગાનું જ સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબિમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે, કેમ કે તેમને ચંડી-ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબિમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે.

વર્ષો પહેલા ચોટીલા ડુંગર ઉપર મંદિરની જગ્‍યાએ એક નાનો ઓરડો હતો. અને તે સમયે તો ડુંગર ચડવા માટે પગથિયાં પણ ન હતા, તેમ છતાં પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતાં. આશરે ૧પપ વર્ષ (વિક્રમ સંવત ૧૯૧૦ થી ૧૯૧૬) પહેલા મહંત શ્રી ગોસાઇ ગુલાબગિરી હરિગીરીબાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પુજા કરતાં હતા. તે મંદિરના વિકાસના કાર્યો કરતાં હતા. હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પુજા કરે છે, અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કર્યો કરે છે.

આગળ જણાવ્યું તે પ્રમાણે શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ 635 પગથીયા છે. જેમાં ચડવા તથા ઉતારવા માટેની અલગ – અલગ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. અહીં દર 100 પગથીયા ચડતા પીવાના પાણીની વ્‍યવસ્‍થા છે. અહીં કૂલીંગ સીસ્‍ટમથી સતત ઠંડુ પાણી પૂરું પાડવામાં આવે છે. તેમજ પગથીયા ઉપર છેક સુધી છાયડો હોવાથી ઉનાળા તેમજ ચોમાસામાં પણ ભક્તોને કોઇ તકલીફ પડતી નથી. એટલું જ નહિ પગથીયા ઉપર પંખાઓ પણ લગાવેલા છે.

જણાવી દીઈએ કે, વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિ મહા, ચૈત્ર તથા આસો માસમાં ચોટીલા ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પર મિની કુંભમેળો ભરાયો હોય તેવાં રૂડાં દ્રશ્યો જોવાં મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચઢી જાય છે. એટલું જ નહિ અસંખ્ય માઇભક્તો આળોટતાં આળોટતાં કે દંડવત્ પ્રમાણ કરતાં ડુંગરનાં પગથિયાં સડસડાટ ચઢી જાય છે અને આ દ્રશ્ય જોઇને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે.

અહીં ભક્તો માટે જમવાની પણ સગવડ છે. અહી તળેટીમાં પગથિયાં પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટનું ભોજનાલય આવેલું છે. જેમાં દરરોજ બપોરે ભક્તોને લાપસી-દાળભાત-શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, શ્રી ચામુંડા માતાજી ચોટીલા વિસ્‍તારના ખાચર-ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજીયા સોની, દરજી, પંચાલ, ગોહિલવાડના ગોહીલ દરબારો, જુનાગઢ તરફના સોલંકી, ડોડીયા, પરમાર વગેરે કુળના રાજપૂતોના, દીવ–સોમનાથ-વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ, ઉતર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્‍છના રબારી તથા આહીર સમાજ તથા અન્‍ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે.

ઘણા લોકોને ચામુંડા માતાજીના આ સ્‍થાન વિશેષ પરંપરા વિષે ખબર નથી. તે પરંપરા એ છે કે, અહીં સાંજની આરતી પછી ડુંગર ઉપરથી ભક્તો-પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. અહીં રાત્રે ઉપર કોઇ રોકાઇ શકતું નથી. ફક્ત નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત 5 વ્‍યકિતને રાત્રે ડુંગર ઉપર રહેવાની મંજુરી માતાજીએ આપી છે. ડુંગર પર આવેલા મુખ્‍ય મંદિરમાં માતાજીના બે સ્‍વરૂપ છે. આ બે સ્‍વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વ ધ કર્યો હતો.

જય માતાજી

– સાભાર રાધા પટેલ (અમર કથાઓ ગ્રુપ)