લઘુકથા : બંધ
– માણેકલાલ પટેલ.
રેખા એના પપ્પાને કહી રહી હતી :- “મારા સસરાનો સ્વભાવ બહુ જ ખરાબ છે. આખો દિવસ કચકચ કર્યા કરે છે. મારાં સાસુનું કંઈ ચાલતું જ નથી. સુરેશ પણ બાપડીયો છે. બાપને પૂછ્યા વિના પાણી પણ ન પીવે. અને કંજુસ તો એવા કે…………”
હસમુખભાઈ રેખાની વાતો સાંભળી માત્ર હોંકારો ધર્યા કરતા હતા.
સુરેખાબેન આવ્યાં ત્યારેય એણે એનાં સાસરીયાંની ફરિયાદો ચાલુ જ રાખી.
માં એટલે એમણે દીકરીને શાન્તન્વ આપ્યું અને એના માથે હાથ ફેરવતાં કહ્યું :- “તું ચિંતા ન કર. હું અને તારા પપ્પા કંઈક વિચારીશું.”
હસમુખભાઈએ મોંઢું બગાડીને જણાવી દીધું :- “આપણું કહ્યું માન્યા વિના જ એણે ભાગીને તો લગ્ન કર્યાં છે. અને હવે……”
“સંતાને ભૂલ કરી એટલે માં – બાપેય ભૂલ કરવાની?” સુરેખાબેન જાણે કે જિંદગીનું ગણિત ભણાવતાં હોય તેમ બોલ્યાં ત્યારે રેખાએ પરાણે રોકી રાખેલાં આંસુના બંધ ઉભરાઈ ગયા.
– માણેકલાલ પટેલ. (અમર કથાઓ ગ્રુપ)