‘તને તે મારે કેટલી વાર કહેવું? ઘર ઘર ની વાત
‘તને તે મારે કેટલી વાર કહેવું?’ આ વાક્ય ઘણાં ઘરોમાં સાંભળવામાં આવે છે.
મા કે બાપ બાળકને એક વાર કહે છે, બે વર કહે છે, ત્રણ-ચાર વાર કહે છે, ને જ્યારે બાળક માનતું નથી, ત્યારે માબાપ કહે છે : ‘અરે ! તને તે મારે કેટલી વાર કહેવું ?’
મા કે બાપના ત્રણ-ચાર ભ ડાકા ખાલી જ જાય, અને પછી જ્યારે કડકાઈથી અને કંટાળાથી બોલે ત્યારે બાળક ઊભું થાય અને જે કરવાનું હોય તે કરે.
મા બાપ કે બાળક બેમાંથી એકેય માટે આ સ્થિતિ સારી નથી. મા બાપને ત્રા સથાય છે અને બાળક વધારે નિંભરું બને છે.
આનો ઉપાય થવો જોઈએ. પ્રથમ તો મા કે બાપે હુકમ આપતી વખતે વિચારવું કે અમુક હુકમ કરવા જેવો છે કે નહિ. જો અશક્ય હુકમ હોય તો કરવો જ નહિ, અને પળાય તે માટે વારંવાર કહેવું જ નહિ.
અમલ થઇ શકે તેવો હુકમ હોય તો સમય કે સ્થળ જોઈને તે કરવો. બાળક એવા જ કામમાં કે મનની સ્થિતિમાં હોય કે કહેલું નકામું જશે, તો જરા રાહ જોઈને કહેવું. ઘણીવાર બાળકોને આપણે માટે માટે રાહ જોવી પડે છે, ધીરજ કેળવવી પડે છે; એમ જ આપણે પોતે પણ રાહ જોતાં અને ધીરજ કેળવતાં શીખવું જોઈએ.
સામન્યત: આપણે એક જ હુકમે પતાવવું જોઈએ. બે વાર હુકમ કરવો જોઈએ નહિ. એક વારે ન પતે તો વિચારવા બેસવું કે શા માટે એમ બન્યું?
બાળકોનું તો એવું છે કે જેવું આપણે ચલવીએ તેવું તેઓ પણ ચલાવે. જો બે-ચાર હુકમ પછી જ્યારે આપણે તાડૂકીને બોલીએ ત્યારે જ કામ કરવું એવી ટેવ બાળકોમાં આવી, તો પછી નિરાંતે બાળકો તેટલું તો ચલાવી લે.
આકડા થઈને અને અકળાઈને હુકમ કાઢવા જ નહિ. જે કામ માટે કહેવું હોય તે કામ વિવેકથી કરાવવું, અને બીજા મોટી ઉંમરના માણસો પાસેથી જેમ આપણે સરળતાથી કામ લઈએ-દઈએ છીએ તેમ જ નાનાં-બાળકો સાથે વર્તવું.
આપણી પોણી ભૂલ, બાળકો નાનાં છે એટલે માનને પાત્ર નથી એમ માનવામાં રહેલી છે. બાળક વિશેનો ખ્યાલ આપણે કાઢી નાખવો જોઈએ.
વળી જ્યારે બાળકો બે-ચાર હુકમ ન માને તેવી સ્થિતિ આવી લાગે, ત્યારે આપણે તે બાબતની વાત બાળકો સમક્ષ ન કરવી; તેથી તો તેઓ વધારે નઠોર અને રીઢાં થાય છે.
ઘરમાં બે-ચાર જણાં હોય અને એકબીજાનાં મતો એકબીજાંથી જુદા હોય ત્યાં બાળકો બહુ ફાવી જાય છે. જે મત જે વખતે બાળકને ગમે તે વખતે તે તેના પક્ષમાં જાય છે. આથી બાળક એક વાર એકમાં તો બીજી વાર બીજામાં ભળીને સૌને મૂર્ખ બનાવે છે, અને બધાંને કેમ ઠગવાં તે શીખે છે.
અમુક બાબતો પર ઘરનાં માણસોમાં કદાચ મતભેદ હોય તો પણ બાળકો સામે એ મતભેદ જાહેર કરી બાળકોને ગોટાળામાં નાંખવા નહિ, પણ જે સર્વમાન્ય મત હોય તેની ભૂમિકા ઉપર બાળકોને રહેવા દેવાં એ સારું છે.
બે, ચાર, પાંચ વાર કહ્યા છતાં બાળકો સાંભળતાં કે માનતાં નથી, તેનો અર્થ એ છે કે બાળકોને મા બાપ પ્રત્યે ભાવના નથી, તેમ જ મા બાપનો તેમના પર બોજ પડતો નથી.
– શિક્ષણના પ્રેરણા પુષ્પોમાંથી.