જાણો કોણ હતા પિપ્પલાદ, અને શનિદેવની ધીમી ચાલ સાથે તેનો શું સંબંધ છે, સાથે જ વાંચો પીપળાની પુજાનો ધાર્મિક હેતુ

0
316

શમશાનમાં જયારે મહર્ષિ દધીચિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા, તો એમના પત્નિ વિયોગ શહી ના શક્યા અને પાસે મોટા પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના બાળકને મૂકીને સળગતી ચિતામાં બેસીને સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભુખથી રડતુ બાળક પીપળાના નીચે પડેલા પાન અને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યુ અને ધીમે ધીમે પીપળાને જ ઘર માનીને મોટુ થવા લાગ્યું.

એક દિવસ દેવર્ષિ નારદ ત્યાથી પસાર થયા અને બાળકને પૂછ્યું કે તું કોણ છો? બાળક કહે એ તો હું પણ જાણવા માંગુ છું.

નારદજી : તારા માતા-પિતા કોણ બાળક?

બાળક કહે એ પણ મને ખબર નથી, તમે મને કૃપા કરીને જણાવો.

ત્યારે નારદજી એ ધ્યાન ધરીને કહ્યું કે બાળક તું મહાન દાનવીર મહર્ષિ દધીચિનો પુત્ર છો, તારા પિતાના અસ્થિમાંથી જ વજ્ર બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો, તારા પિતાનુ 31 વર્ષની વયમાં મૃત્યુ થયું હતું.

બાળક : મારા પિતાના મૃત્યુનું કારણ શું હતું?

નારદજી : તારા પિતા પર શનિદેવની મહાદશા હતી, જે પણ કંઈ તારી સાથે થયુ તે શનિદેવની મહાદશાને જ કારણે થયું.

નારદજી તે બાળકનું નામ પીપ્લાદ રાખીને જતા રહ્યા. પીપ્લાદે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું કઠોર તપ કર્યુ બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યુ. પિપ્પલાદ પોતાની દ્રષ્ટિ માત્રથી કોઈ પણને ભસ્મીભુત કરવાની શક્તિ માંગી.

હવે વરદાન મળ્યા પછી તત્કાલ પિપ્પલાદે શનિદેવનું આહ્વાન કરીને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટિથી ભસ્મ કરવાનું ચાલુ કર્યુ.

બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગ્યો. સૂર્યદેવ પોતાના પુત્રને સળગતા જોઈને બ્રહ્માજી પાસે આવ્યા ત્યારે બ્રહ્માજીએ આવીને બાળકને બહુ સમજાવ્યો ને બીજા બે વરદાન માંગવા કહ્યું, ત્યારે બાળકે શનિદેવને છોડી મુક્યા.

અને પહેલુ વરદાન માગ્યું કે કોઈપણ બાળકના જન્મથી પાંચ વર્ષ સુધી બાળકની કુંડલીમાં શનિ કોઈ પણ રીતે અસર ના કરવા જોઈએ, જેથી કરીને મારી જેમ બીજા દુઃખી ના થાય. (કોઈ ગ્રંથોમાં 12 અને કોઈ ગ્રંથોમાં 16 વર્ષ સુધી બાળકને શનિદેવ કષ્ટ આપી શકતા નથી, એવું જાણવા મળે છે)

બીજુ મને પીપળાના ઝાડે જ મોટો કર્યો છે, એટલે જે કોઈ સુર્યોદય પહેલા પીપળાના ઝાડને પાણી ચઢાવશે, તેને શનિની મહાદશાની અસર નહી થાય. બહ્માજીએ તથાસ્તુ કહ્યું.

પિપ્પલાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ પર માર્યું અને મુક્ત કર્યા. ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈ ને
“શનૈ: ચરતિ ય: શનૈશ્વર:” જે ધીમે ચાલે છે, તે શનેશ્વર કહેવાણા અને અગ્નિને લીધે તેમનું શરીર કાળુ થઈ ગયુ, શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પુજાનો ધાર્મિક હેતુ આ છે.

આગળ જતા પિપ્પલાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી, જે આજે પણ જ્ઞાનનો ભંડાર મનાય છે. પીપળો 24 કલાક ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ કાઢે છે. ભગવાન વિષ્ણુએ વૃક્ષમાં હું પીપળો છું એવુ કહ્યું છે અને આપણે પીપળાને ભૂતની સાથે જોડી દીધો. (કદાચ કોઈ કાપે નહિ માટે…)

– અમિત સેવકની પોસ્ટનું સંપાદન – અમર કથાઓ