જાણો શ્રીખોડિયાર માં ની પ્રાગટ્ય કથા, કેવી રીતે પડયું ખોડિયાર નામ.

0
1071

શ્રી ખોડિયાર માની પ્રાગટ્યની કથા જાણીએ. 9 થી 11મી સદીની આસપાસના જમાનાની આ વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતો હતો. તે વ્યવસાયે માલધારી હતો અને ભગવાન ભોલેનાથનો પરમ ઉપાસક હતો. તેમના ધર્મપત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળાં હતાં.

તેઓ માલધારી હોવાને કારણે ઘરે દૂઝણાંને લીધે લક્ષ્મીનો કોઈ પાર ન હતો, પણ ખોળાનો ખુંદનાર કોઈ ન હતું, તેનું દુઃખ દેવળબાને પરેશાન કરતુ હતું. મામડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય, એવો આ ચારણ દંપતીનો વણ લખ્યો નીમ હતો.

તે વખતે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિવાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ દોસ્તી હતી. મામડિયા ચારણ તેમના દરબારમાં અચૂક અવારનવાર હાજર રહેતા. જે દિવસે તે દરબારમાં ન હોય તે દિવસે રાજાને દરબારમાં કંઈક ખૂટતું હોય તેમ લાગતું. દુનિયામાં ઈર્ષ્યાળુઓની કોઈ જ ઉણપ નથી.

આ રાજના દરબારમાં પણ કેટલાક ઈર્ષ્યાળુઓ હતા કે જેમને રાજા અને મામડિયાની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. આવા લોકોએ ભેગા મળીને એક દિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી દીધી કે મામડિયો નિઃસંતાન છે. તેનું મોઢું જોવાથી અપશુકન થાય છે. તેનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય એવું બની શકે. રાજા ઈર્ષ્યાળુ લોકોની વાતમાં ફસાઈ ગયા.

એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે રાજમહેલમાં આવ્યા. રાજાએ મામડિયાને કહ્યું કે, ‘હવે આપણી મિત્રતા પૂરી થાય છે.’ એમ કહીને ચાલ્યા ગયા. તેનું કારણ જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું. લોકો પણ તેમને વાંઝિયા મહેણાં મારવા માંડ્યા. મામડિયા દુઃખી હૃદયે ઘરે આવીને સઘળી વાત પોતાની પત્નીને કરે છે.

મામડિયાને હવે જિંદગી ઝેર જેવી લાગવા માંડી. તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા કરશે. ઘણી આરાધના કરવા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થતાં મામડિયા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતાં હતા કે ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું, પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાતપુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે.

મામડિયા ખુશ થઈને ઘરે ગયા અને પોતાની પત્નીને બધી જ વાત કરી. તેમની પત્નીએ ભગવાન ભોલેનાથના કહેવા પ્રમાણે મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણાં રાખ્યાં. જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયાં અને બાળક સ્વરૂપ ધારણ કર્યું. મામડિયાને ત્યાં અવતરેલ કન્યાનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈનું નામ મેરખિયો રાખવામાં આવ્યું.

ખોડિયાર નામ કેવી રીતે પડયું?

એક વખત મામડિયા ચારણના સૌથી નાના બાળક એવા મેરખિયાને ખૂબ જ ઝેરી સાપે દંશ દીધો હતો. તેનો જીવ જોખમમાં હતો. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઊગે તે પહેલાં લાવવામાં આવે, તો જ મેરખિયાનો જીવ બચી શકે તેમ છે.

આ સાંભળીને બહેનોમાં સૌથી નાનાં એવા જાનબાઈ પાતાળમાં કુંભ લેવા માટે ગયાં.

તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતાં હતાં ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેમને ઈજા થઈ, તેથી જાનબાઈએ ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે મગરની સવારી કરી. ત્યારથી મગર તેમનું વાહન બન્યો. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યાં, ત્યારે પગમાં વાગ્યું હોવાને કારણે ખોડાતાં ખોડાતાં ચાલવા લાગ્યાં. તેમને જોઈને બધાં કહેવાં લાગ્યાં કે ખોડિ આવી, ખોડિ આવી. ત્યારથી તેઓ ખોડિયારના નામે ઓળખાવા લાગ્યાં.

ખોડિયાર માં દિનદયાળી, તારું સ્મરણ મારે સાચું રે,

ચરણકમળમાં શીશ નમાવું માં દાસને દર્શન દેજો રે.