ભરપૂર જીવન ‘હકીકત’ માં જીવ્યું,
પછી રાખવાની શું ‘ખ્વાબો’ ની ચિંતા?
દેવું કર્યું ના , લેણ પાછું ન લેવું,
પછી હોય ક્યાંથી ‘હિસાબો’ ની ચિંતા?
ભલે કંટકો થી જ , દામન ભરાતું,
નથી રાખવી ‘ફૂલછબો ‘ ની ચિંતા.
જેણે દબાવ્યા , પિડ્યા , પીડિતો ને,
એને હશે , ‘ઇન્કલાબો’ ની ચિંતા.
સુખ ચિત્ત માં છે , નથી સાધનો માં,
તેથી નથી , ‘અસબાબો ‘ ની ચિંતા.
અંતર ન અજવાળે , યાત્રા કરી છે,
રાખી નથી , ‘આફતાબો ‘ ની ચિંતા.
‘દીવાના’ નું પદ , આપી દીધું જહાં એ,
શું કરવાની , બીજા ‘ખિતાબો’ ની ચિંતા?
જેવો છું ,એવો છું , દુનિયા ની સામે,
રહી ના કદી એ , ‘હિજાબો’ ની ચિંતા.
ઈશ્વર ના મુખ-ચંદ્ર માં , મન પરોવ્યું,
પછી શું બીજા ‘માહતાબો’ ની ચિંતા?
– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)