વાંચો કવિ શ્રી દલપતરામના કેટલાક કાવ્યો જેમણે તમારા બાળપણને બનાવ્યું યાદગાર

0
3854

(1) ઊંટ કહે આ સભામાં :

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;

ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;

કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;

ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;

“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

(2) શરણાઈવાળો અને શેઠ

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,

રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.

એકને જ જાચું એવી ટેક છેક રાખી એક

શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.

કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,

“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?

સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”

(3) ભીંડો ભાદરવા તણો :

ભીંડો ભાદરવા તણો, વડને કહે : “સુણ વીર,

સમાઉં નહિ હું સર્વથા, તું જા સરવરતીર.”

“તું જા સરવરતીર”, સુણી વડ ઊચર્યો વાણી,

“વીત્યે વર્ષાકાળ, જઈશ હું બીજે જાણી.”

દાખે દલપતરામ, વીત્યો અવસર વર્ષાનો,

ગયો સુકાઈ સમૂળ, ભીંડો તે ભાદરવાનો.

(4) કરતા જાળ કરોળિયો

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય

વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય

મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,

પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર

પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,

ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત

ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત…

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત

આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.

(5) અંધેરી નગરી :

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,

ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;

બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,

કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,

ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;

લીધી સુખડી હાટથી આપી આટો,

ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,

સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;

હશે ચોરને શાહનો ન્યાય એકે,

નહી હોય શિક્ષા ગુનાની વિવેકે…

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,

ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”

કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,

તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,

“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”

ન માની કશી વાત તે શિષ્ય જયારે,

ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,

બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;

પછીથી થયા તેહના હાલ કેવા,

કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;

તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.

માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;

શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;

રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”

વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;

ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;

ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.

ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;

એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,

આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”

“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;

પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;

શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.

ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;

એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;

શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”

જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;

બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;

ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.

જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,

આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”

અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”

ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;

રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

– દલપતરામ.