લઘુકથા – ઢાંકણ :
– માણેકલાલ પટેલ.
આમ તો લખો ગામનો ડામીશ માણસ હતો.
છતાંય, આ લખાને જગાભાઈએ ખેતીના કામ માટે સાથી તરીકે રાખ્યો. પણ, એની વહુએ સરત કરી કે એ પણ છાણ – વાસીદું કરવા સાથે આવશે.
જગાભાઈએ હા પાડી.
લખો અને એની વહુ કામે આવતાં, બપોરે બેય જણ ત્યાંજ ખાતાં અને સાંજે સાથે જ ઘરે જતાં હતાં.
વહુને લીધે લખોય કામે વળગેલો રહેતો હતો.
એક દિવસ જગાભાઈની વહુ પિયર ગયેલી તે છાણનો ટોપલો ઉપડાવવા જગાભાઈને જવું પડેલું. એમને આ ગમેલું.
બીજા દિવસે પણ આવું જ બન્યું.
લખાની વહુને થતું કે એ કામ છોડીને જતી રહે. પણ, તો પછી લખાનાં લખણ ચાલુ થઈ જાય અને એના પર કોઈ લગામ જ ન રહે એટલે એણે કામ ચાલુ રાખેલું.
જગાભાઈએ એમની વહુને સમાચાર મોકલેલા કે એ ઘણા દિવસે પિયર ગઈ છે તો ભલે બે-ત્રણ દિવસ વધારે રોકાઈને આવે.
પણ, જગાભાઈની વહુ તો ત્રીજા દિવસે આવી ગઈ અને ગામમાંથી સાચી-ખોટી વાતો સાંભળી એટલે એણે એના પતિને કહ્યું :- “લખાને કામે રાખવો હોય તો રાખો. એની વહુને ના પાડી દઈએ.”
જગાભાઈને આ વાત ન ગમી.
બીજા દિવસે લખાયેય આવવાનું બંધ કર્યું. જગાભાઈ એને બોલાવવા ગયા ત્યારે એણે કહ્યું :- “એ એકલો તો નહિ આવે.”
“પણ…………”
ત્યાં એની વહુ બોલી :- “ઘરનું ઢાંકણ નાર, જગાભાઈ !!”
– માણેકલાલ પટેલ.