એક રાજાએ જાહેરાત કરી કે કાલે સવારે જ્યારે મારા મહેલનો મુખ્ય દરવાજો ખોલવામાં આવશે, ત્યારે જે વ્યક્તિએ મહેલમાં જે વસ્તુને હાથ લગાવ્યો તે તેની થઇ જશે.
આ જાહેરાત સાંભળીને બધાં અંદરો અંદર વાતચીત લાગ્યા કે, હું સૌથી મૂલ્યવાન વસ્તુને હાથ લગાવીશ.
કેટલાક લોકો કહેવા લાગ્યા કે, હું સોનાને સ્પર્શ કરીશ, તો કેટલાક લોકો ચાંદીની વાત કરી રહ્યા હતા, કેટલાક લોકો કિંમતી આભૂષણો વિશે, તો કેટલાક લોકો ઘોડાની અને કેટલાક લોકો હાથીઓની વાત કરી રહ્યા હતા. તો વળી કેટલાક લોકો દુધાળી ગાયને હાથ લગાવવાની વાત કરી રહ્યા હતા.
બીજા દિવસે જ્યારે સવારે મહેલનો મુખ્ય દરવાજો ખુલ્યો એટલે બધા પોતાની પસંદગીની વસ્તુઓ માટે દોડવા લાગ્યા.
બધાને ઉતાવળ હતી કે પહેલા હું મારી પસંદગીની વસ્તુઓને સ્પર્શ કરું, જેથી તે વસ્તુ કાયમ માટે મારી થઈ જાય.
રાજા પોતાની જગ્યા પર બેઠા હતા અને બધાને જોઈ રહ્યા હતા અને પોતાની આસપાસ થઈ રહેલી દોડધામ જોઈને હસી રહ્યા હતા.
તે જ સમયે તે ભીડમાંથી એક વ્યક્તિ રાજા તરફ આગળ વધવા લાગ્યો અને ધીમે ધીમે ચાલતો રાજા પાસે પહોંચ્યો અને તેણે રાજાને સ્પર્શ કર્યો.
રાજાનો સ્પર્શ થતાં જ રાજા તેનો થઈ ગયો અને રાજાનું બધું પણ તેનું થઈ ગયું.
જેમ રાજાએ પ્રજાને તક આપી અને તેઓ ભૂલો કરી બેઠા. તેવી જ રીતે, સમગ્ર વિશ્વના રાજા (પરમાત્મા) પણ આપણને દરેકને રોજ તક આપે છે, પરંતુ આપણે પણ દરરોજ ભૂલો કરીએ છીએ.
ઈશ્વરને પામવાને બદલે આપણે ઈશ્વરની રચનાની વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ. પરંતુ ક્યારેય પણ આપણે વિચારતા નથી કે બ્રહ્માંડના સર્જનહાર, પરમાત્માને પ્રાપ્ત કરીએ .
જો ભગવાન આપણા થઈ જશે, તો તેણે બનાવેલ બધું પણ આપણું થઈ જશે. આપણે કેટલા મૂર્ખ છીએ.