જાણો કૃષ્ણભક્ત મીરાંબાઈના જીવન અને તેમની ભક્તિ વિષેની કેટલીક અજાણી વાતો.

0
776

મીરાંબાઈ એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે.

જન્મ : ૧૪૯૮

નિધન : ૧૫૪૬

જીવન ઝરમર : મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી) ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો. તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી.

શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દ્રષ્ટિ પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.

બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, “મારા પતિ કોણ હશે?” તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, “તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને” મીરાંની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે દુનિયા છોડી ગયા.

નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?) ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના ગયા પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં.

મીરાનું કૃષ્ણ મંદિર, ચિત્તોડ કિલ્લો :

મીરાંના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાંના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરાં દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે.

પ્રચલિત કથા અનુસાર મીરાં વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામીજી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા હતા. તેમણે અંદરથી જ કહેવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતા. આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ જ એક પુરુષ છે, અહીં આવી જાણ્યુ કે તેમનો એક વધુ પ્રતિદ્વંધિ પેદા થઈ ગયો છે. મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલા પગે બહાર નીકળી આવ્યા અને ખૂબ પ્રેમથી તેમને મળયા. આ કથાનો ઉલ્લેખ સર્વપ્રથમ પ્રિયદાસની કવિતામાં મળે છે,

વૃન્દાવન આઈ જીવ ગુસાઈ જૂ સો મિલ ઝિલી,

તિયા મુખ દેખબે કા પન લૈ છુટાયૌ.

મીરાંબાઈના ગુરુ : ઘણા લોકોનું માનવું છે કે મીરાંબાઈના કોઈ ગુરુ નહોતા. પરંતુ મીરાંબાઈએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં. આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે) ઉપર તેમનું મન વિરમ્યું. મીરાંબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ કરેલો છે,

નહિ મૈં પીહર સાસરે, નહિ પિયાજી રી સાથ.

મીરાંને ગોબિંદ મિલ્યા જી, ગુરુ મિલ્યા રૈદાસ.

ખોજત ફિરૂં ભેદ વા ઘર કો, કોઇ ન કરત બખાની,

રૈદાસ સંત મિલે મોહિં સતગુરુ, દીન્હી સુરત સહદાની.

ગુરુ રૈદાસ મિલેં મોહિં પૂરે, ધૂર સે કલમ ભિડી,

સતગુરુ સૈન દઇ જબ આકે, જોત મેં જોત રલી.

ગુરુ મિલ્યા મ્હાને રૈદાસ, નામ નહીં છોડું.

કાશી નગરના ચોકમાં, મને ગુરુ મિલા રૈદાસ.

ગુરુ મિલિયા રૈદાસજી, દીન્હી જ્ઞાન કી ગુટકી.

રચિત ગ્રંથો :

મીરાંબાઈએ ચાર ગ્રંથોની રચના કરી હતી:

નરસિંહ રા માહ્યરા

ગીત ગોવિંદ ટીકા

રાગ ગોવિંદ

રાગ સોરઠ કે પદ

આ સિવાય મીરાંબાઈના ગીતોનું સંકલન ‘મીરાબાઈ કી પદાવલી’ નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે.

મીરાંબાઈની ભક્તિ : મીરાંની ભક્તિમાં માધુર્ય-ભાવ ઘણી હદ સુધી જોઈ શકાય છે. તે પોતાના ઇષ્ટદેવ કૃષ્ણની ધારણા પ્રિયતમ કે પતિના રૂપમાં કરતી હતી. તેમનું માનવું હતું કે આ સંસારમાં કૃષ્ણ સિવાય કોઈ પુરુષ છે જ નહી. તે કૃષ્ણના રૂપની દીવાની હતી.

શું કરવું છે મારે, શું રે કરવું છે ?

હીરા માણેકને મારે, શું રે કરવું ?

મોતી ની માળા રાણા, શું રે કરવી છે?

તુલસી ની માળા લઈને પ્રભુ ને ભજવું છે રે.

– સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)