યદુવંશના નાશ અને દ્વારકાના સમુદ્રમાં વિલીન થવા પાછળ મુખ્ય રૂપથી બે ઘટનાઓ છે જવાબદાર, જાણો કઈ. શ્રીકૃષ્ણની નગરી દ્વારિકા મહાભારત સંગ્રામના 36 વર્ષ પછી સમુદ્રમાં ડૂબી જાય છે. દ્વારિકાના સમુદ્રમાં ડૂબતા પહેલા શ્રીકૃષ્ણ સહીત બધા યદુવંશી પણ માર્યા જાય છે. સમસ્ત યદુવંશીઓ માર્યા ગયા અને દ્વારિકાના સમુદ્રમાં વિલીન થવા પાછળ ખાસ કરીને બે ઘટનાઓ જવાબદાર છે. એક માતા ગાંધારી દ્વારા શ્રીકૃષ્ણને આપવામાં આવેલો શ્રાપ અને બીજું ઋષિઓ દ્વારા શ્રીકૃષ્ણ પુત્ર સાંબને આપવામા આવેલો શ્રાપ. આવો આ ઘટના ઉપર વિસ્તારથી જાણીએ.
ગાંધારીએ આપ્યો હતી યદુવંશના નાશનો શ્રાપ : મહાભારત સંગ્રામ પૂરું થયા પછી જયારે યુધીષ્ઠીરનું રાજતિલક થઇ રહ્યું હતું ત્યારે કૌરવોની માતા ગાંધારીએ મહાભારત સંગ્રામ માટે શ્રીકૃષ્ણને દોશી ગણાવીને શ્રાપ આપી દીધો કે જે રીતે કૌરવોના વંશનો નાશ થયો છે બસ એ રીતે યદુવંશનો પણ નાશ થશે.
ઋષીઓએ આપ્યો હતો સાંબને શ્રાપ : મહાભારત સંગ્રામ પછી જયારે છત્રીસમાં વર્ષનો આરંભ થયો, તો જાત જાતના અપશુકન થવા લાગ્યા. એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર, કણ્વ, દેવર્ષિ નારદ વગેરે દ્વારકા ગયા. ત્યાં યાદવ કુળના થોડા નવયુવકોએ તેની સાથે મજાક કરવાનું વિચાર્યું. તે શ્રીકૃષ્ણના પુત્ર સાંબને સ્ત્રી વેશમાં ઋષિઓ પાસે લઇ ગયા અને કહ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે. તેના ગર્ભમાં શું ઉત્પન થશે?
ઋષીઓએ જયારે જોયું કે યુવકો આપણું અપમાન કરી રહ્યા છે, તો ગુસ્સે થઈને તેમણે શ્રાપ આપ્યો કે – શ્રીકૃષ્ણના આ પુત્ર વૃશ્ની અને અંધકવંશી પુરુષોનો નાશ કરવા માટે એક લોખંડની મૂસળ ઉત્પન્ન કરશે, જેનાથી તમારા જેવા ક્રૂર અને ક્રોધી લોકો તેમના સમસ્ત કુળનો સંહાર કરશે. તે મૂસળની અસરથી માત્ર શ્રીકૃષ્ણ અને બલરામ જ બચી શકશે. શ્રીકૃષ્ણને જયારે એ વાતની ખબર પડી તો તેમણે કહ્યું કે તે વાત જરૂર સત્ય હશે.
મુનીઓના શ્રાપની અસરના બીજા દિવસે જ સાંબે મૂસળ ઉત્પન કર્યો. જયારે એ વાતની જાણ રાજા ઉગ્રસેનને થઇ તો તેમણે એ મૂસળને તોડીને સમુદ્રમાં નખાવી દીધી. ત્યાર પછી રાજા ઉગ્રસેન અને શ્રીકૃષ્ણ એ નગરમાં જાહેરાત કરાવી દીધી કે આજથી કોઈ પણ વૃશ્ની અને અંધકવંશી પોતાના ઘરમાં મદિરા તૈયાર નહિ કરે. જે પણ વ્યક્તિ છુપાઈને મદિરા તૈયાર કરશે, તેને મૃત્યુદંડ આપવામાં આવશે. જાહેરાત સાંભળીને દ્વારકાવાસીઓએ મદિરા ન બનાવવાનો નિર્ણય કર્યો.
દ્વારકામાં થવા લાગ્યા હતા ભયંકર અપશુકન : ત્યાર પછી દ્વારકામાં ભયંકર અપશુકન થવા લાગ્યા. દરરોજ વાવાઝોડું આવવા લાગ્યું. ઉંદર એટલા વધી ગયા કે રસ્તા ઉપર માણસથી વધુ જોવા મળવા લાગ્યા. તે રાત્રે સુતેલા માણસોના વાળ અને નખ કરડી ખાતા હતા. સારસ ઘુવડના અને બકરા ગીધના અવાજ કાઢવા લાગ્યા. ગાયોના પેટ માંથી ગધેડા, કુતરાઓ માંથી બિલાડી અને નોળિયાના ગર્ભ માંથી ઉંદર પેદા થવા લાગ્યા. તે સમયે યદુવંશીઓને પાપ કરવામાં શરમ આવતી ન હતી.
અંધકવંસીના હાથે માર્યા ગયા પ્રદયુમન : જયારે શ્રીકૃષ્ણએ નગરમાં થતા અપશુકનો જોયા તો તેમણે વિચાર્યું કે કૌરવોની માતા ગાંધારીનો શ્રાપ સાચો પડવાનો સમય આવી ગયો છે. આ અપશુકનો જોઈને અને પક્ષના તેરમાં દિવસે અમાસનો સંયોગ જાણીને શ્રીકૃષ્ણ કાળની અવસ્થા ઉપર વિચાર કરવા લાગ્યા. તેમણે જોયું કે આ સમયે એવા જ યોગ ઉભા થઇ રહ્યા છે, જેવા મહાભારતના સંગ્રામના સમયે ઉભા થયા હતા. ગાંધારીના શ્રાપને સત્ય કરવાના ઉદેશ્યથી શ્રીકૃષ્ણએ યદુવંશીઓને તીર્થયાત્રા કરવાનો આદેશ આપ્યો. શ્રીકૃષ્ણની આજ્ઞાથી બધા રાજવંશી સમુદ્રના કાંઠા ઉપર પ્રભાસ તીર્થ આવીને નિવાસ કરવા લાગ્યા.
પ્રભાસ તીર્થમાં રહીને એક દિવસ જયારે અંધક અને વૃશ્ની વંશી એક બીજા સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે સાત્યકિએ આવેશમાં આવીને કૃતવર્માનો ઉપહાસ અને અનાદર કરી દીધો. કૃતવર્માએ પણ કાંઈક એવા શબ્દ કહ્યા કે સાત્યકીને ગુસ્સો આવી ગયો અને તેણે કૃતવર્માનો વધ કરી દીધો. તે જોઈ અંધકવંશીઓએ સાત્યકીને ઘેરી લીધો અને હુમલો કરી દીધો. સાત્યકિ ને એકલો જોઈ શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમન તેને બચાવવા દોડ્યા. સત્યકી અને પ્રદ્યુમન એકલા જ અંધકવંશીઓ સાથે ઝગડી પડ્યા. પરંતુ સંખ્યામાં વધુ હોવાને કારણે તે અંધકવંશીઓને પરાજીત ન કરી શક્ય અને છેવટે તેમના હાથે માર્યા ગયા.
યદુવંશીઓના નાશ પછી અર્જુનને બોલાવરાવ્યા હતા શ્રીકૃષ્ણએ : પોતાના પુત્ર અને સાત્યકિના મૃત્યુથી ગુસ્સે થઈને શ્રીકૃષ્ણએ એક મુઠ્ઠી એરકા ઘાંસ ઉખાડી લીધું. હાથમાં આવતા જ તે ઘાંસ વ્રજ સમાન ભયંકર લોખંડનો મૂસળ બની ગયો. આ મૂસળથી શ્રીકૃષ્ણ બધાનો વધ કરવા લાગ્યા. જે કોઈ પણ તે ઘાંસ ઉખડતા તે ભયંકર મૂસળમાં બદલાઈ જતા (એવા ઋષીઓના શ્રાપને કારણે થયું હતું). તે મુસળોના એક જ પ્રહારથી પ્રાણ નીકળી જતા હતા. તે સમય કાળના પ્રભાવથી અંધક, ભોજ, શીની અને વૃશ્ની વંશના વીર મુસળોથી એક બીજાના વધ કરવા લાગ્યા. યદુવંશી પણ અંદરોઅંદર લડીને મરવા લાગ્યા.
શ્રીકૃષ્ણના જોત જોતામાં સાંબ, ચારુદેષ્ણ, અનુરુદ્ધ અને ગદના મૃત્યુ થઇ ગયા. પછી તો શ્રીકૃષ્ણ વધુ ગુસ્સે થઇ ગયા અને તેમણે શેષ વધેલા બધા વીરોનો સંહાર કરી નાખ્યો. અંતમાં માત્ર દારુક (કૃષ્ણના સારથી) જ બાકી રહ્યા હતા. શ્રીકૃષ્ણએ દારૂકને કહ્યું કે તું તરત હસ્તિનાપુર જા અને અર્જુનને સંપૂર્ણ ઘટના જણાવીને દ્વારકા લઇ આવ. દારુકે એવું જ કર્યું. ત્યાર પછી શ્રીકૃષ્ણ બલરામને તે સ્થાન ઉપર રહેવાનું કહીને દ્વારકા પાછા આવ્યા.
બલરામજીના સ્વધામ ગમન પછી એ કર્યું શ્રીકૃષ્ણએ : દ્વારકા આવીને શ્રીકૃષ્ણએ સમગ્ર ઘટના તેના પિતા વસુદેવજીને જણાવી દીધી. યદુવંશીઓના સંહારની વાત જાણીને તેને પણ ઘણું દુઃખ થયું. શ્રીકૃષ્ણએ વસુદેવજીને કહ્યું કે તમે અર્જુનના આવવા સુધી સ્ત્રીઓનું રક્ષણ કરો. આ સમયે બલરામજી વનમાં મારી રાહ જોઈ રહ્યા છે, હું તેમણે મળવા જઈ રહ્યો છું. જયારે શ્રીકૃષ્ણએ નગરમાં સ્ત્રીઓના વિલાપ સાંભળ્યા તો તેને સાંત્વના આપતા કહ્યું કે વહેલી તકે અર્જુન દ્વારકા આવવાના છે. તે જ તમારું રક્ષણ કરશે. એવું કહીને શ્રીકૃષ્ણ બલરામને મળવા નીકળી પડ્યા.
વનમાં જઈને શ્રીકૃષ્ણએ જોયું કે બલરામજી સમાધિમાં લીન છે. જોત જોતામાં તેના મુખ માંથી સફેદ રંગનો મોટો સાંપ નીકળ્યો અને સમુદ્ર તરફ જતો રહ્યો. તે સાંપને હજારો મસ્તક હતા. સમુદ્રએ સ્વયં પ્રગટ થઈને ભગવાન શેષનાગનું સ્વાગત કર્યું. બલરામજી દ્વારા દેહ ત્યાગ પછી શ્રીકૃષ્ણ તે સુના વનમાં વિચાર કરતા કરતા ફરવા લાગ્યા. ફરતા ફરતા તે એક સ્થાન ઉપર બેસી ગયા અને ગાંધારી દ્વારા આપવામાં આવેલા શ્રાપ વિષે વિચાર કરવા લાગ્યા. દેહ ત્યાગની ઈચ્છાથી શ્રીકૃષ્ણએ તેની ઇન્દ્રિયોને સંયમિત કરી અને મહાયોગ (સમાધી) ની અવસ્થામાં પૃથ્વી ઉપર સુઈ ગયા.
આવી રીતે ત્યાગ્યો શ્રીકૃષ્ણએ દેહ : જે સમયે ભગવાન શ્રીકૃષ્ણ સમાધીમાં લીન હતા, તે સમયે જરા નામનો એક શિકારી હરણનો શિકાર કરવાના ઉદેશ્યથી ત્યાં આવી ગયો. તેણે હરણ સમજીને દુરથી જ શ્રીકૃષ્ણ ઉપર બાણ ચલાવી દીધું. બાણ ચલાવ્યા પછી જયારે તે તેનો શિકાર પકડવા માટે આગળ વધ્યા તો યોગમાં લીન સ્થિત ભગવાન શ્રીકૃષ્ણને જોઈ તેને તેની ભૂલ ઉપર પ્રાયશ્ચિત થયું. ત્યારે શ્રીકૃષ્ણએ તેને આશ્વાસન આપ્યું અને તેમના પરમધામ જતા રહ્યા. અંતરીક્ષમાં પહોચ્યા પછી ઇન્દ્ર, અશ્વિનીકુમાર, રુદ્ર, આદિત્ય, વસુ, મુની આદિ વગેરેએ ભગવાનનું સ્વાગત કર્યું.
ત્યાં દારૂકે હસ્તિનાપુર જઈને યદુવંશીના સંહારની સમગ્ર ઘટના પાંડવોને જણાવી દીધી. તે સાંભળીને પાંડવોને ઘણો શોક થયો. અર્જુન તરત જ તેના મામા વસુદેવને મળવા માટે દ્વારકા ચાલી નીકળ્યા. અર્જુન જયારે દ્વારકા પહોચ્યા તો ત્યાંના દ્રશ્ય જોઇને તેને ઘણો શોક થયો. શ્રીકૃષ્ણની રાણીઓ તેને જોઇને રડવા લાગી. તેને રડતી જોઇને અર્જુન પણ રડવા લાગ્યા અને શ્રીકૃષ્ણને યાદ કરવા લાગ્યા. ત્યાર પછી અર્જુન વસુદેવજીને મળ્યા. અર્જુનને જોઈને વસુદેવજી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. વસુદેવે અર્જુનને શ્રીકૃષ્ણનો સંદેશો સંભળાવતા કહ્યું કે દ્વારકા હમણા જ સમુદ્રમાં ડૂબવાની છે એટલે તમે બધા નગરવાસીઓને તમારી સાથે લઇ જાવ.
અર્જુન તેની સાથે લઇ ગયા શ્રીકૃષ્ણના કુટુંબીજનોને : વસુદેવજીની વાત સાંભળીને અર્જુને દારુક દ્વારા બધા મંત્રીઓને બોલાવવા કહ્યું. મંત્રીઓના આવતા જ અર્જુને કહ્યું કે હું બધા નગરવાસીઓને અહિયાંથી ઇન્દ્રપ્રસ્થ લઇ જઈશ, કેમ કે હમણા જ આ નગર સમુદ્રમાં ડૂબી જશે. અર્જુને મંત્રીઓને કહ્યું કે આજથી સાતમાં દિવસે બધા લોકો ઇન્દ્રપ્રસ્થ માટે પ્રસ્થાન કરશે એટલા માટે તમે તરત જ તેના માટે તૈયારીઓ શરુ કરી દો. બધા મંત્રીઓ તરત અર્જુનની આજ્ઞાનું પાલન કરવામાં લાગી ગયા. અર્જુને તે રાત્રે શ્રીકૃષ્ણના મહેલમાં જ પસાર કરી.
બીજા દિવસે સવારે શ્રીકૃષ્ણના પિતા વસુદેવજીએ પ્રાણ ત્યાગ કર્યા. અર્જુને વિધિ પૂર્વક તેમના અંતિમ સંસ્કાર કર્યા. વસુદેવજીની પત્ની દેવકી, ભદ્રા, રોહિણી અને મદિરા પણ ચિતા ઉપર બેસીને સતી થઇ ગઈ. ત્યાર પછી અર્જુને પ્રભાસ તીર્થમાં માર્યા ગયેલા સમસ્ત યદુવંશીઓના પણ અંતિમ સંસ્કાર કર્યા. સાતમાં દિવસે અર્જુન શ્રીકૃષ્ણ ના કુટુંબીજનો અને બધા નગરવાસીઓને સાથે લઈને ઇન્દ્રપ્રસ્થ તરફ નીકળી પડ્યા. તે બધાના જતા જ દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ. તે દ્રશ્ય જોઈને બધાને ઘણું આશ્ચર્ય થયું.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.