નમો આદિ અનાદિ, તુંહી ભવાની,
તુંહી જોગમાયા, તુંહી બાકબાની,
તુંહી ધર્ની-આકાશ વિભુ પસારે,
તુંહી મોહમાયા વિષે શૂલ ધારે.
એક વહેલી પરોઢે ગગનગુફામાંથી આદિશક્તિ અંબાની સ્તુતિનો ઘોષ ઊઠે છે. દેવલોકમાં દુંદુભી ગડગડે છે. દિગ્પાળોનાં ડાકલાં વાગે છે. વાયુ શંખ ફૂંકે છે…અરવલ્લીની ડુંગરમાળમાં અણદીઠી ઝાલર વાગે છે. ગેબી નગારે ઘા પડ્યો છે. એવા ટાણે રન્નાદેના ઓરડેથી દૂધનો કટોરો પીને સૂરજરાણો ઉગમણે ગોખેથી રથને વે’તો મૂકે છે. ઊગતા સુરજદાદાએ રોજ ના નિયમ પ્રમાણે અંબાજીના મુખ્ય કળશ ઉપર કિરણોની વર્ષા કરી સોનેરી કિરણોનો પછેડો છૂટો મૂક્યો …
“પણ, આ શું? અમારો રસ્તો રોકીને આ કોણ ઉભું છે?” મૂજાયેલા કિરણોએ પાછું વળીને સૂરજદાદાને પૂછ્યું… સૂરજદાદો પણ આજે કાઠીયાવાડી રંગમાં હતો. મૂછે તાવ દઈ, કિરણોને કીધું, “પે’લા એ તર વારોને અંજલી આપો, પછીજ માતાજી તમને શિખરે બેસાડશે..!”
આ તર વાર કોના મ્યાન માંથી નીકળેલી છે? કોણ છે આ તેજોમય ભક્તો ની ટોળી?
સાંભળો. વાત એમ બનેલી કે પોરબંદરનો રાણો સીડો આજે ચાચર ચોકમાં એકબીજાના મા થા ભાગે એવા મેર ભેરુબંધ ને લઇ ને ઉભો હતો…
સૂરજનારાયણના પહેલા કિરણ સાથે જ તર વાર રાસ નું આયોજન મંદિર પ્રશાસન તરફથી થયેલું. પ્રસંગ હતો નવ નિર્મિત અંબાજી મંદિરના સોનાના શિખરને ખૂલ્લું મૂકવાનો.
કોણ ખુલ્લું મુકવાનું હતું?
આ શિખર ખુલ્લું મુકવાના હતા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી છબીલદાસ મહેતા. રીમોટથી મુખ્યમંત્રીશ્રીએ આવરણ હટાવ્યું, તે જ ઘડીએ… ચાચર ચોકમાં ઉભેલા મેરોની તર વારો મ્યાનમાંથી બહાર આવી.
તર વાર પણ કેવી? “ચમચમ ચમકે વીજળી, હોય હીરાનો હાર, સો સો સૂરજ સામટા, એવી મેર તણી તર વાર.”
અંબે માત કી જયનો નાદ થયો. ઊગતા સૂરજને મૂંઝવણ હતી કે ક્યાં જઇને બેસવું ! મંદિર ના શિખરે કે મેર જવાંમર્દોની તર વારે !
આ તો દાદો છે ને ! મેરોની તર વારને છબી ને શિખર ઉપર જઇ બેઠો સૂર્યપ્રકાશથી નવનિર્મિત મંદિર ઝળ ઝળ …ઝળ ઝળ ! આ ઝળહળ સાથે ઉભેલા હતા મંદિરના પ્રશાસક.
ઉદ્ઘાટન હોય એટલે પ્રવચનો પણ હોય … બોલવાનો વારો હતો રાણાભાઇ સીડાનો… રાણાભાઇ સીડા બોલ્યા…. “અહી ભેળા થયેલા ભાવિકો ની જેમ અમે પણ માં ના દર્શને આવ્યા છીએ, અમારી ભક્તિ અને ભાવુકતા તો જનમજનમની..! વીસ વરસથી તર વાર-રાસ રમીએ… રાસ શરુ કરતાં પહેલા મા જગદંબા ને અચૂક યાદ કરીએ… મનમાં એવી ભાવના ખરી કે મા અમને તેડાવશે …! માનાં તેડાં જરૂર આવશે…! આજે નવું મંદિર બન્યું , સોના નો કળશ ખૂલ્લો મુકાતી વખતે જ અમને રાસ રમવાનું આમંત્રણ મળ્યું, અમારુ જીવન ધન્ય થઇ ગયું.
જીવનભરનું આ સંભારણું.
– લેખન માર્ગદર્શન શ્રી અરવિંદ ભાઈ બારોટ
(સાભાર અતુલ રાવ, અમર કથાઓ ગ્રુપ)