મનપાંચમના મેળામાં – કવિશ્રી રમેશપારેખની આ રચના દ્વારા સમજો જીવનની વાસ્તવિકતા.

0
603

આ મનપાંચમના મેળામાં

સૌ જાત લઈને આવ્યા છે

કોઈ આવ્યા છે સપનું લઈને

કોઈ રાત લઈને આવ્યા છે

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા

કોઈ દોરાનું તૂટવું લાવ્યા

કોઈ અંગત ફાડી ખાનારું

એકાંત લઈને આવ્યા છે

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ

કોઈ ઉભડક ઉભડક લાગણીઓ

કોઈ ફાળ તો

કોઈ તંબુની નિરાંત

લઈને આવ્યા છે

કોઈ ધસમસતા ખાલી ચહેરે

કોઈ ભરચક શ્વાસે ઊમટતા

કોઈ અધકચરા

કોઈ અણોસરા

જજબાત લઈને આવ્યા છે

આ પથ્થર વચ્ચે તરણાંનું

હિજરાવું લાવ્યો તું ય રમેશ

સૌના ખભે સૌ અણિયાળી

કોઈ વાત લઈને આવ્યા છે.

– રમેશ પારેખ