એક મજાનો પ્રસંગ :
રાત્રીના બે વાગ્યા હતા. એક શ્રીમંત માણસને નીંદર નહોતી આવતી. પડખા ફરી ફરીને થાક્યો. ચા પીધી, સીગારેટ પીધી, અગાશીમાં ચક્કર મારી આવ્યા પણ ક્યાંય ચેન ન પડે.
આખરે થાકીને એ માણસ નીચે આવ્યો, પાર્કીંગમાંથી કાર બહાર કાઢી અને શહેરની સડકો પર ફરવા નીકળી ગયો.
ફરતા ફરતા એને એક મંદિર દેખાયું. મનમા થયું ચાલ થોડી વાર આ મંદિરમાં જાવ. ભગવાન પાસે બેસું. પ્રાર્થના કરુ. મને થોડી શાંતિ મળે. એ માણસ મંદિરમાં ગયો.
જોયું તો ત્યાં એક બીજો માણસ પણ સામે બેઠો હતો. ઊદાસ ચહેરો, આંખો મા કરુણતા. એને જોઈને આ માણસને દયા આવી. પૂછ્યું “કેમ ભાઈ આટલી મોડી રાત્રે?”
પેલા એ વાત કરી “મારી પત્ની હોસ્પિટલમાં છે. સવારે જો ઑપરેશન નહીં થાય તો એ જીવતી નહિ રહે. અને મારી પાસે ઓપરેશનના પૈસા નથી”.
આ શ્રીમંત માણસે ખીસ્સામાથી રુપીયા કાઢયા ને એ ગરીબ માણસને આપ્યા. અને પેલાના ચહેરા પર ચમક આવી.
પછી આ શ્રીમંત માણસે એને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું “હજું પણ ગમે ત્યારે જરૂર હોય તો આમા મારો નંબર છે, મને ફોન કરજો. એડ્રેસ પણ છે. રુબરુ આવી ને મળજો. સંકોચ ન રાખશો.”
પેલા ગરીબ માણસે કાર્ડ પાછુ આપ્યું અને કહ્યું, “મારી પાસે એડ્રેસ છે. આ એડ્રેસની જરૂર નથી ભાઈ”.
અચંબો પામીને શ્રીમંત માણસે કહ્યું “કોનું એડ્રેસ છે?”
પેલો ગરીબ માણસ મરક મરક હસતા બોલ્યો, “જેણે રાતના સાડાત્રણે તમને અહીં મોકલ્યા એમનું”.
સાહેબ આને કહેવાય વિશ્વાસ, આને કહેવાય આસ્થા.
– સાભાર એન ડી રાજપૂત (અમર કથાઓ ગ્રુપ)