આ મંદિર નગરમાં 5-10 નહિ પણ કુલ 81 મંદિર આવેલા છે, તેમાંના આ કેટલાક સુંદર અને ખાસ મંદિરો વિષે જરૂર જાણવું જોઈએ.
વ્યાસ નદીના કાંઠા ઉપર આવેલું આ નાનું એવું નગર મંડી હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓને ઘણા આકર્ષિત કરે છે. આ સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય તો અનુપમ છે જ, સાથે જ તે એક મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. પર્યટનની દ્રષ્ટિએ આ નગરને ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહિયાં આવનારા પ્રવાસી મંડીના ઘણા સુંદર તળાવોમાં ફરવાનું પસંદ કરે છે. પણ તેમનો મંડીનો પ્રવાસ ત્યાં સુધી પૂરો નથી થતો, જ્યાં સુધી અહીયાના મંદિરોની યાત્રા ન કરી લે.
આ સ્થળના ધાર્મિક મહત્વનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકાય છે કે, તેને નાનું કાશી કે હિમાચલના કાશીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મહાન સંત માંડવે અહિયાં તપસ્યા કરી હતી અને તેમના તપને કારણે અહિયાંના ખડકો કાળા થઇ ગયા હતા. સંત માંડવના નામ ઉપર જ આ સ્થળનું નામ પણ રાખવામાં આવ્યું. આ નાના એવા નગરમાં લગભગ 81 ઓલ્ડ સ્ટોન મંદિર છે અને તેમાં કરવામાં આવેલું નકશીકામ ઘણું જ ઉત્તમ છે. આજે અમે તમને મંડીમાં આવેલા કેટલાક એવા જ મંદિરો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે જોવા લાયક છે.
શિકારીદેવી મંદિર : મંડી અનેક જુના મંદિરો માટે પ્રસિદ્ધ છે અને શિકારીદેવી નિશ્ચિત રીતે તેમાંથી એક છે. મુખ્ય શહેરથી દુર, સમુદ્રની સપાટીથી 3332 મીટરની ઉંચાઈ ઉપર આવેલું આ મંદિર ઘોંઘાટથી પણ દુર છે. આ મંદિર પથ્થરની છબીના રૂપમાં શિકારીદેવીને સમર્પિત છે અને તેમનું છત્ર નથી. જો તમે આ મંદિરે જાવ તો અહિયાં બેસીને સૂર્યોદય અને સુર્યાસ્તનો અદ્દભુત નજારો પણ જોઈ શકો છો.
ભુતનાથ મંદિર : રાજા અજબર સેન દ્વારા નિર્મિત આ મંદિર શહેરના કેન્દ્રમાં આવેલું છે અને મંડીના પર્યટન સ્થળોની યાદીમાં લોકપ્રિય નામ છે. આ મંદિરમાં શિવની સુંદર મૂર્તિઓ, નંદી, પ્રવેશ દ્વાર, મંડપ વગેરે છે. અહિયાં શિવરાત્રીની એક અલગ જ ધામધૂમ જોવા મળે છે.
કામાક્ષા દેવી મંદિર : મંડીમાં ફરવા માટે સૌથી સારા સ્થળોમાંથી એક કામાક્ષા દેવી મંદિર દેવી દુર્ગાને સમર્પિત છે. આ એક લાકડાનું મંદિર છે. મંદિરમાં પાંડવ કાળની મૂર્તિઓ રહેલી છે. આ મૂર્તિઓ અષ્ટધાતુની બનેલી છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, દેવી દ્વારા રાક્ષસ મહીસાસુરને ભેંસ થવાનો શ્રાપ આ સ્થળ ઉપર આપવામાં આવ્યો હતો. એ કારણ છે કે થોડા સમય પહેલા સુધી નવરાત્રી દરમિયાન ભેંસની ઘણી કુ રબાની આપવામાં આવતી હતી. પણ હાઈકોર્ટના આદેશ પછી હિમાચલમાં બ લી પ્રથા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.
ત્રિલોકનાથ મંદિર : રાજા અજબર સેનની પત્ની સુલતાન દેવી દ્વારા ઈ.સ. 1520 માં નિર્મિત ત્રિલોકનાથ મંદિર મંડીમાં બીજું એક આકર્ષક મંદિર છે. અહિયાં ભગવાન શિવ, માતા પાર્વતી, દેવી શારદા, નારદ અને બીજા હિંદુ દેવતાઓની મૂર્તિઓ છે. એટલું જ નહી, અહિયાં ભગવાન શિવને ત્રણેય લોકોના ભગવાન તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ મંદિરને શહેરના સૌથી જુના મંદિરો માંથી એક માનવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ નાગરી શૈલીમાં કરવામાં આવ્યું છે. મંદિરમાં સ્થિત ભગવાન શિવની મૂર્તિ પંચાનન છે જે તેમના પાંચ રૂપોને દર્શાવે છે. આ મંદિર નિશ્ચિત રૂપે મંડીમાં સૌથી વધુ જોવામાં આવતા સ્થળો માંથી એક છે.
શ્યામાકાળી મંદિર : આ મંદિર પણ પોતાનું એક અલગ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આ મંદિર ભગવાન શિવના પત્નીને સમર્પિત છે. આ મંદિરની સ્થાપના ટારના પર્વત ઉપર કરવામાં આવી હતી. એ કારણે આજના સમયમાં લોકો તેને ટારના દેવી મંદિર કહીને બીલાવે છે. આ મંદિર અહીં આવેલા પ્રાચીન મંદિરો માંથી એક છે. જેનું નિર્માણ રાજા શ્યામ સેને ઈ.સ. 1658 માં કરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે, રાજા શ્યામ સેને પોતાના વારસદારના જન્મવાની ખુશીમાં અને દેવીનો આભાર વ્યક્ત કરવા માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
ભીમાકાળી મંદિર : મંડીમાં ભીમાકાળી મંદિર અન્ય એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. દુર્ગાનો અવતાર ભીમ કાળીને સમર્પિત આ મંદિરની વાસ્તુકલા ઉત્તમ લાકડાના નકશીકામને પ્રદર્શિત કરે છે. વ્યાસના કાંઠે આવેલા આ મંદિરમાં હિંદુ દેવી દેવતાઓના વિશેષ ફોટા રજુ કરતું એક મોટું મ્યુઝીયમ પણ છે.
જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક ઉપર શેર જરૂર કરો. આ પ્રકારના બીજા રોચક લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.