જો ભક્તિના માર્ગ પરથી મન ડગી રહ્યું હોય તો એકવાર “મેરુ તો ડગે” આ ભજન વાંચી લેજો મન સાચા રસ્તે ચડી જશે.

0
329

મેરુ તો ડગે જેનાં મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી;

વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી – મેરુ.

ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ ને કોઈની કરે નહિ આશજી;

દાન દેવે પણ રહે અજાસી, રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ.

હરખ ને શોકની આવે નહી હેડકી, આઠ પહોર રહે આનંદજી,

નિત્ય રે નાચે સત્સંગમાં ને તોડે માયા કેરા ફંદજી – મેરુ.

તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં, તે નામ નિજારી નર ને નારજી,

એકાંતે બેસીને આરાધના માંડે તો, અલખ પધારે એને દ્વારજી – મેરુ.

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, શીશ તો કર્યાં કુરબાન રે,

સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ.

સંગત કરો તો તમે એવાની કરજો, જે ભજનમાં રહે ભરપુરજી,

ગંગા સતી એમ બોલિયાં, જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ.

– સાભાર અમિત સેવક (અમર કથાઓ ગ્રુપ.)