આપણી ઘરોહર આપણી સંસ્કૃતિ
તા 26/10/21
નારાયણ સરોવર, કચ્છ.
નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિમી દૂર છે. શ્રીમદ્ ભાગવત માં વર્ણવેલા પાંચ પવિત્ર તળાવોમાંનું આ એક તળાવ છે.
નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે.
આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે.
રાવ દેશળજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યાં છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે.
તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે.
બાકીના પાંચ મંદિરો ૧૭૮૦-૯૦માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયા છે. અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું. અહીં યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ ઉપલબ્ધ છે.
હિંદુ પૌરાણીક કથાઓ પ્રમાણે પાંચ પવિત્ર સરોવરોના જૂથને ‘પંચ સરોવર’ કહેવાય છે. તે પાંચ સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. કારતક મહિનાની અગિયારસથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે.
મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવન કાળ દરમ્યાન અહીં આવ્યા હતા અને સમય ગાળ્યો હતો માટે પુષ્ટિ માર્ગના અનુયાયીઓ માટે પણ આ સ્થળ પાવન મનાય છે.
નજીકમાં આવેલ નારાયણ સરોવર અભયારણ્યમાં ચિંકારા અને અન્ય પ્રજાતિઓના પ્રાણીઓ વસે છે.
– સાભાર મુકુંદરાય ધારૈયા (અમર કથાઓ ગ્રુપ) (મૂળ સ્ત્રોત ગુજરાતી વિકીપીડીયા, કચ્છનિક)