નટા જટાની જાત્રા ભાગ – 1, વાંચો શાહબુદ્દીન રાઠોડની હાસ્યકથા અને મન હળવું કરો.

0
1122

અમારા ગામના નટો અને જટો બંન્ને પાકા ભાઈબંધ. ગામને પાદર નદીના કાંઠે આવેલા ઠાકરમંદિરની બહારની ઓરડીમાં બેય પડ્યા રહે. મંદિરનું ચોગાન વાળી નાખે. યાત્રીઓનો ઠામડાં ઊટકી નાખે. દૂર વાવથી પાણી ભરી આવે. ઠાકોરજીની થાય એટલી સેવા કરે. મંદિરના ચોગાનમાંથી ભાગ્યે જ બહાર જાય. નવરા થાય ત્યારે ઘણી વાર અવળા – સવળા પોતાના વાંહાને ટેકો દઈ બેઈ જણા આંબલીના ઓટે બેસી રહે. વાત કરવામાં અગવડ પડે છતાં વાતો કરે અવળે મોઢે. એકલા – એકલા બોલતા હોય એવું લાગે. બંને તાડ જેવા લાંબા, એટલા જ ખડતલ અને કસાયેલા.

ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને. પ્રવાસમાં ધર્મ ભળે તો યાત્રા બની જાય. ઉજાગરામાં જ્ઞાન ભળે તો જાગરણ બને. પરંતુ આમને તો પ્રસાદ જ ભોજન તરીકે રોજ આરોગવાનો હોવાથી ખાઈખાઈને ધણખૂટ જેવા કાંધ થઈ ગયેલા. હુતાસણી પર શરત લગાડવામાં નટો અને જટો કોઈને પહોંચવા ન દે. ગામ આખાની ગમે તે હુતાસણી એ દોડીને ટપી જતા.

નાળિયેરના એક ઘાએ આખું પુરાણું પીપળાનું ઝાડ વટાવી દેતા એ બેય જણા થઈ બશેર કપાસિયા ખાઈ જતા. ઠળિયા સોતી એક શેર ખજૂર ખાઈ જતા. અને જમણવારમાં તો આડો આંક વાળી દેતા. ઠાકોરસાહેબે ગામ જમાડ્યું ત્યારે બંને ધરાઈને જમેલા એમ એ બેય ક્યારેક કહેતા.

જમવા બેસાડો એટલે નવ – નવ લાડવા દાળ વગરના આરોગી, એ દસમા લાડવે દાળનો સબડકો લેતા. આખા પંથકમાં નટા – જટાની ખાધે રાડ્ય હતી. આ કારણે બેય પ્રખ્યાત પણ એટલા જ થયા હતા. અને આ ખ્યાતિ એમના સુખમાં આડખીલી બનીને ઊભી હતી.

એમની ખાવાની વાતો સાંભળીને આખા પંથકમાં કોઈ નટા – જટાને દીકરી આપવા તૈયાર નહોતું થતું, એટલે બેય વાંઢા રહી ગયેલા. ચાલીસ વરહ માથેથી અલગોઠિયાં ખાઈ ગયાં ત્યાં સુધી બેયને આશા હતી. કો’કને દયા આવશે, કો’ક કન્યાવાળાને પ્રભુ સદબુદ્ધિ આપશે એમ બેયને આશા હતી,
પણ બેતાલીસ વટ્યા પછી, મોડી રાતે દીવો ઓલવાય નહિ પણ ઝાંખો પડે એમ એમની આશામાં ઓટ આવી ગયેલી. માથે વાળ રાખવાને બદલે બંન્ને મુંડન કરાવતા.

જીવલો પણ રાડ્ય નાખી જતો. અસ્ત્રાની ધાર બુઠ્ઠી થઈ જતી, ત્યારે બેયના વાળ માંડમાંડ મારગ દેતા. જીવલો બબડાટ કર્યા કરતો, ‘ આના કરતાં પાડા મૂંડવા સારા. ’ પણ ના નહોતો પાડી શકતો. એક વાર ના પાડી, ત્યારે જટાએ જીવલાને ખાલી ફેરફૂદડી ફેરવ્યો એનાં ચક્કર જીવલાને ત્રીજે દી ઊતર્યા.
નટાએ માત્ર મશ્કરીમાં જીવલાને ધબ્બો માર્યો તોય જીવલાને ઝાડા થઈ ગયેલા.

માથે મુંડન કરાવી બંને નાના તળાવમાં માથાની બળતરામાંથી મુક્તિ મેળવવા ત્રણચાર કલાક પડ્યા રહેતા. થોડા દિવસ થાય ત્યાં ભેખડ માથે ઘરોડી ઊગી હોય એવા કાબરચીતરા વાળ બેયનાં માથાંમાંથી બહાર માથાં કાઢીને મંડતા મોટ થાવા. કાળાં સીસમ જેવાં બેયનાં શરીર નાહ્યા પછી વધુ કાળપ પકડતાં. બેય દાંત કાઢે ત્યારે માત્ર ધોળા દાંત દેખાતા.

એક વાર નટો અને જટો બંને જણા ઓરડામાં સૂતા હતા, એમાં કો’ક ચોરને કમત સૂઝી. તે ઓરડામાં ચોરી કરવા માટે દાખલ થયો. બારણું ખુલ્લું જ હતું. નટા – જટાને કાંઈ સાચવવાની ચિંતા નહોતી. અંધારામાં ફંફોસતાં ચોરનો હાથ જટાના શરીર માથે પડ્યો. કાંઈક મળી આવશે એ આશાએ ચોર મંડ્યો હાથ ફેરવવા. એમાં જટો જાગી ગયો. કોક હાથ ફેરવે છે પોતાને એ જટાને ખબર પડી. જટો ખુશ થઈ ગયો. હરખનાં આંસુડાં આંખમાં આવી ગ્યાં.
એ એટલું તો માંડ બોલી શક્યો , ‘‘નટા , મને કોક હાથ ફેરવે છે ! ”

નટો કહે , “એમ? તને ફેરવી લ્યે એટલે કે’જે મને ફેરવે. ”

ચોર બંનેનો સંવાદ સાંભળી તરત જ બહાર નીકળી ગયો. એને પસ્તાવાનો પાર ન રહ્યો. તેને થયું લૂ ટાવાની બીક તો સંઘરો કરનારને હોય ને? આવા ફટક – દેવાળિયાઓને શું?

નટો અને જટો એક દી વાતોએ વળગ્યા. નટાએ કીધું, “હવે સંસારમાં પડવાના ઓરતા સંકેલી લઈ ભક્તિના મારગે વળીએ તો સારું છે.”

જટો કહે , “સાચી વાત છે . જેમાં કાંઈ સાર નથી એ સંસાર માંડીને પણ શું કરવો? એના કરતાં હવે જીવતા – મૂઆ ચાર ધામની જાત્રા કરીને કાયાનું કલ્યાણ કરીએ.”

બંને જણા દ્વારકાની જાત્રાએ જવા તૈયાર થયા. ગામે વિદાય આપી, પણ કદીયે ગામ છોડીને નહિ ગયેલા નટો – જટો પણ ગામને પાદર વિદાય લેતા મન ભરીને રોયા અને સૌને રામ રામ કરી ચાલી નીકળ્યા.

સવારથી થાક્યા વગરના બંને ચાલ્યા કરતા હતા. સાંજ પડતાં – પડતાં તો ઘણો પંથ બેય જણાએ કા પી નાખ્યો હતો. રાત્રે એક ગામમાં આવી ચડ્યા. ક્યાંય એમનાં ઉતારા – ભોજનની જોગવાઈ થઈ નહિ. બંનેનો દેખાવ જોઈ માણસો હિંમત કરવાનું માંડી વાળતા.

એમાં એક ડોશીમાને દયા આવી. બેયને ઘરે લઈ આવ્યાં.

માડી હતાં દયાળુ તે ડુંગળી – બટાટાનું શાક તપેલી ભરીને બનાવ્યું. બપોરની છાશ તો દોણામાં હતી, પણ લોટ નહોતો. માડી કહે , “ ગગા , હું તમને રોટલા ઘડીને ખવરાવત, પણ ડબામાં લોટ નથી. તમે જો હિંમત કરીને બાજરો દળી નાખો તો મને રાંધવાની આળસ નથી. નહિતર પછી આડોશપાડોશમાં કોઈના ઘરેથી લોટ લઈ આવું . ”

જટો કહે , “અરે , માડી , તમારું તો શું , કહો તો આડોશીપાડોશીનાં દળી દઈએ.”

“નટો કહે ‘ આટલા સાટુ કોઈના ઘરે માગવા જવાતું હશે? લાવો બાજરો. આ ઠીક થયું. હજી થાક્યા નથી એટલે દરણું દળવાથી ઊંઘ પણ સારી આવશે.”
માજીએ બાજરો આપ્યો. બંને ઘંટીની સામસામી બાજુએ ગોઠવાણા. દેરાણી જેઠાણી ગોઠવાય એમ ગોઠવાઈ ગયા.

બાઈ – માણહ દયણું દળે અને મરદ દયણું દળે એમાં ઘણો ફેર. નટા – જટાએ ઘંટીને ત્રણેક આંટા ધીરેથી ફેરવી પછી જે ચગાવી તે એવી ફેરવી એવી ફેરવી કે બબ્બે દોરા પાણો ઉતારી નાખ્યો. ઘંટીમાંથી જાણે તણખા ઝર્યા. બેય જણા મૂકી દે તોપણ અર્ધા કલાક સુધી ફર્યા કરે એવી ઘંટી ફેરવી.

નટાને એમ થયું કે દયણુ દળાઈ ગયું હશે એટલે જટાને પૂછ્યું , “એલા. જો તો ખરો – હવે કેટલુંક બાકી રહ્યું ? ”

જટો કહે , “એલા બાજરો ઓરે એને ખબર હોય કે મને? તું કહે , કેટલું બાકી રહ્યું? ”

નટો કહે , “તું નથી ઓરતો? ”

જટો કહે , ‘‘ તું નથી ઓરતો? ”

નટો કહે , “ અરે , પણ તારે ઓરવુ જોઈએ ને? ”

જટો કહે , ‘’ મને એમ કે તું ઓરીશ. ”

બેય જણા ઘંટી ફેરવ્યે ગયા બાજરો બેમાંથી એકેયે ન ઓર્યો. છેવટે ડોશીમાએ ખીચડી રાંધી અને ત્રણે રોટલા વગર શાક અને ખીચડી ખાઈને સૂઈ ગયાં.
ડોશીમાએ સવારે જોયું તો ઘંટીનાં પડ બેય ઘસાઈ ગયેલાં. લોટને બદલે ઝીણી રેતી ફરતી પડી’તી. માજીએ ખિજાઈને બેયને ઘરમાંથી કાઢી મૂક્યા.

જટો કહે , “નટા , ભાગ્યમાં જશ નથી , જોયું ને? મે’નત કરી તોય સરવાળે અર્ધા ભૂખ્યા સૂતા. અપજશ મળ્યો. ”

નટો નિસાસો નાખીને કહે, “ જટા , આપણે ક્યાં ધોખો કરવો? આ માણસ – માતર પૈસો રળવા, મોટાઈ મેળવવા, આબરૂ બાંધવા, જીવતરની ખાલી ઘંટી આખો જન્મારો ફેરવ્યા કરે છે. છેવટે ધોડી – ધોડીને થાક્યા પછી ખબર પડે છે કે આ દોડધામમાં જીવતર જીવવાનું જ રહી ગયું – આપણે જેમ દયણું ઓરવાનું રહી ગયું એમ.”

જટો કહે , ‘’ નટા , તને આ સંત – મહાત્મા જેવી સમજણ ક્યાંથી આવી? ”

નટો કહે , “ મેં અમરદાસ બાપુની કથા સાંભળી ત્યારથી મારામાં ફેર મંડ્યો છે પડવા. ’’

જટો કહે , “ મારેય સાંભળવી’તી , પણ મે’માનોનાં ઠામવાસણ ઊટકવામાંથી જ હું તો નવરો ન થયો . ”

બેય પાછા મંડ્યા હાલવા. વળી સાંજ પડી. પાછા એક નવા ગામે આવી પહોંચ્યા.

ગામના પ્રતિષ્ઠિત ચાવડા પરિવારને ત્યાં તેમનાં માતુશ્રી કંકુમાનું શ્રાદ્ધ હતું. દસેક હજાર માણહ જમવાનું હતું. નટો – જટો જમણવારના મંડપ પાંહેથી નીકળ્યા, ત્યાં વિનોદભાઈએ કહ્યું , “અરે , ભાઈઓ , જમતા જાવ .” વિનોદભાઈનો સ્વાભાવ દયાળુ. એમણે બંનેને પ્રેમથી બેસાડી ખૂબ જમાડ્યા.

નટા – જટાએ આગલી રાતનું વટક વાળી દીધું. બેય જમ્યા. ઉપરથી બેયને વિનોદભાઈએ દક્ષિણા આપી અને વધેલી રસોઈ પણ સાથે લઈ જવા જણાવ્યું.

નટો – જટો કહે , “અમે જાત્રાળુ છીએ. અમારી પાસે કાંઈ વાસણ નથી.”

મૂળજીભાઈ કહે , “ મૂંઝાવ મા. આ નાના માટલામાં લાડવા ભરી લ્યો અને લઈ જાવ હારે.”

નટા – જટાના હરખનો પાર નો રિયો. બંનેએ માટલામાં લાડવા ભર્યા અને આગળ ચાલી નીકળ્યા .

બેય જણા અસ્થળની જગ્યામાં એક ઓરડીમાં રોકાણા. બંનેએ ખૂબ ખાધું હોવા છતાં બેયનું ધ્યાન લાડવા ભરેલ માટલામાં હતું. ઊંડેઊંડે બેયને એમ હતું કે નાહીને હું સૂઈ જાઉં અને બીજો લાડવા ખાવા માંડે તો?

વધુ આવતા અંકે.

– શાહબુદ્દીન રાઠોડ.

(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ)