જ્યારે રુકમણીએ પૂછ્યું – તમારી અર્ધાંગિની વિશે ક્યારેય નહીં વિચારો નાથ? જાણો પછી પ્રભુએ શું જવાબ આપ્યો?

0
469

કૃષ્ણાયન :

રુકમણીએ કેટલીય રાતો પ્રતીક્ષા કરીને થાક્યા પછી કદીક પ્રસન્ન ક્ષણોમાં પતિને કહ્યું હતું,

“નાથ, હું દ્વારિકાના રાજાને પરણી છું કે મારા પ્રિયતમને, જેને મેં પત્ર લખીને માત્ર શ્રદ્ધાના બળે સહજીવનના કોલ આપ્યા હતા? સતત બીજાઓની જ ચિંતા કરશો? તમારી અર્ધાંગિની વિશે ક્યારેય નહીં વિચારો નાથ?

મને શું જોઈએ છે, અથવા મારી અપેક્ષાઓ શું છે, એવું તો કદી પૂછ્યું જ નથી તમે.”

કૃષ્ણએ રુકમણી ને સ્મિતસહ કહ્યું હતું,

“જ્યારે મારા પોતાના અડધા અંગની ચિંતા કરીશ, ત્યારે આપો આપ બીજા અડધા અંગ ની ચિંતા થઈ જ જશે. પ્રિયા ! તમે દ્વારિકાના સિંહાસન પર બિરાજો છો અને સિંહાસન પર બેસનારાને માથે મુકાતા મુકુટમાં કંટકો હોય છે, એ કંટકો પહેરનારા ને વાગે, જોનારને તો એ સુવર્ણના મુકુટથી વિશેષ કશું દેખાતું નથી.”

“સુવર્ણમુકુટનો ભાર ઉપાડી શકે, એજ મસ્તક ને ઉન્નત રહેવાનો અધિકાર હોય છે, દેવી ! સિંહાસનના પાયામાં અંગત સુખોનું સમર્પણ દટાયેલું હોય છે. તો અને ત્યારે જ એ પાયા સ્થિર રહી શકે છે.”

આવી લાગણીની વાચા ભગવાનની જ હોય.

– સાભાર અનિલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ)