અમાવસ્યા : નિર્વાણ અને મુક્તિની શોધ વિષે જણાવતો આ પ્રસંગ તમને સાચું જ્ઞાન આપશે.

0
680

શત્રુંજય ડુંગરાના પગથિયાં ઉતારતા ઉતારતા સાધ્વી મહાપ્રભા આકાશ તરફ જોતા હતા. આજની રાત અમાસની રાત થવાની હતી. ખરા બપોરે આટલો બળતો સૂર્ય શું દિવા કરતા પણ ઓછો પ્રકાશ આપતો ચંદ્ર બનીને સામે આવશે? તેમને મનમાં જ પ્રશ્ન થયો.

ના ચંદ્ર જુદો છે સૂર્ય પણ જુદો છે. સ્ત્રી પણ જુદી છે પુરુષ પણ જુદો છે.

બાદ આત્મા એક સરખા છે, જીવ બધા એક સરખા છે.

આપણા કર્મ અને રોજિંદી દિનચર્યાથી જીવ હિં **સા ના થાય તેવા ધર્મના રસ્તે ચાલવું તેમ ભગવતો કહેતા.

સાધ્વીજી ના શરીર ઉપરથી ઉતારતા પરસેવામાં વાસ્કેપ ની સુગંધ હતી.

શત્રુંજય ના સૂકા પહાડો પર ઉગતા ખાખરા બોરડી અને આંકડા સાધ્વી મહાપ્રભા ગૌરવપૂર્વક ઉતારતા પગથિયાં ઉપર જોઈ રહ્યા.

મહાવીર પોતાની જાતને જીતીને મહાવીર બન્યા હતા. આંતરિક શત્રુઓને મા **રીને અરીહંત કહેવાતા હતા. સર્પ જેવું ઝેરીલું જાનવર તેમનું મિત્ર બની જતું.

મહાવીર માર્ગ બતાવી શકે ચાલવું તો પોતે જ પડે. સાધ્વીજી મહાવીરના પંથ ઉપર ચાલતા હતા. સૂક્ષ્મ અહિંસાનો ભાવ તેમની રગેરગ માં હતો.

લાંબા સમયથી તપ કરતા સાધ્વીજી ને કોઈ અનુભૂતિ ના થઇ. જિનાલયો મન ને સાંકડું કરતા હતા. પહાડો રઘવાયા બનીને સાધ્વીજીને કેડીઓથી ઉતારતા જોતા હતા.

સાધ્વીજી પોતાની જાતને પુછાતા હતા કે તેવો સાચી કેડીએ છે કે ખોટા પગથિયાં ઉપર? તેમને લાગ્યું કે તે ખોટા રસ્તે હતા.

તેવામાં એક ગોવાળ ત્યાંથી નીકળ્યો. ગોવાળ પાવો વગાડતો વગાડતો ગાતો હતો. ગોવાળ સાધ્વીજી ને જોઈ ઉભો રહ્યો. પૂછ્યું – નિર્વાણ ગોતો છો ને? મુક્તિ ઈચ્છો છો ને?

સાધ્વીજી ચમકી ગયા. આ ગોવાળને પણ ખબર પડી ગઈ.

અરે ભાઈ તને કેમ ખબર પડી?

ગોવાળ હસતો હસતો બોલ્યો તમે જેમ મુક્તિની તલાશ માં છો, તેમ હું પણ મારી પાડીને ગોતું છું.

મને ખબર છે કે ગોતવું એટલે શું?

સાધ્વીજીને વાતોમાં રસ પડ્યો. તેમને પૂછ્યું તને ખબર છે જડવું એટલે શું?

સાધ્વીજીનો સવાલ વેધક હતો.

ગોવાળે જવાબ માં કહ્યું – મને ખબર નથી હું તો પાવો વગાડું છું. પણ મારી પાડીને ખબર છે કે જડવું એટલે શું?

હમણાં એ પાવો સાંભળશે એટલે ભાંભરશે અને ભાંભરશે એટલે એ મને જડી જશે.

નિર્વાણ જડ નથી, નિર્વાણ બળ છે,

તે સ્થિતિ નથી, તે ગતિ છે, ચંદ્ર જેવી ગતિ.

તે ક્ષીણ થવાથી શૂન્ય થવાથી પણ નિર્વાણ ને મેળવી આપે,

તે પૂર્ણ થવાથી પુનમ થવાથી પણ નિર્વાણને મેળવી આપે,

આકાશની કેડી ઉતારતો ઉતારતો ચંદ્ર અમાસના દિવસે ક્ષીણ થાય છે.

સુરજ એટલે શૂન્યતા

ચંદ્ર એટલે શું ક્ષીણ થતી શૂન્યતા

કેમ કરી ગોતું તને…

કેમ કરી ખોળું મને…

કેમ કરી મળીશ તું…

કેમ કરી જડિશ હું…

આ તો યાત્રા ભાવો ભવની એ હરી, એ અરિહંત કેમ કરી મળીશ હું તને.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)