પાળીયાને સિંદૂર રંગ શા માટે ચડે? પાળીયાને સિંદૂર રંગ શા માટે વાલો છે? ભાગ 2, કવિએ પૂછ્યા પ્રશ્નો.

0
1041

પહેલા ભાગમાં આપણે જાણ્યું કે એક કવિએ તળાવને કાંઠે કપડા ધોઇ રહેલી એક દીકરીને પાળીયા વિષે પૂછ્યું. પણ તેને જાણકારી ન હોવાથી કવીએ ત્યાં રહેલા પાળીયાને જ પોતાના પ્રશ્નો પૂછવાનું નક્કી કર્યું. પછી તેમની વચ્ચે શું વાતો થઈ તે જાણીએ.

(ભાગ : 2)

ટાઇપીંગ : જયંતી ભાઈ પટેલ

રચના : મિતેશ ભાઈ પ્રજાપતિ

એ ધડધીંગાણે જેના….ધડ ધિંગાણે જેના…

કે કવિ છે ઇ પાળીયાઓને પ્રશ્ન કરે છે કે,

હે શુરવીર પાળીયાઓ… આ ગામનાં પાદર ની પાળે ખોડાવાનું કારણ શું? અને સિંદૂર રંગ છે એ ફક્ત બે જ દેવને ચડે છે, એક તો ગુણાધીપતિ ગણપતિ અને બીજા અંજનીપૂત્ર હનુમાનજી મહારાજ ને આ સિવાય કોઇને સિંદુર ચડે… અને તને સિંદુર રંગ ચડે છે એનુ કારણ શું?

અને ત્યારે ભલા માણસ આ દેશના શુરવીર પાળીયાઓ એમ જવાબ આપે કે, કવિરાજ તો સાંભળો કે? સિંદુર રંગ અમને શું કામ વાલો છે?

કવિ દેવ કહે હાં મારે સાંભળવું છે.

તો સાંભળો દેવ.

તે’દી ઇ ગામની પાળે થી વાતો માંડે છે

એક બાજુ ચારણ દેવનાં હાથમાં કસુંબો ઘુટાય રહ્યો છે, ચારણ દેવ ઈ વર્ષો જૂના શુર વીરને કસુંબા અંજલી આપતાં જાય છે અને જાણે ઇ શુર વીરને મોજું નાં તોરા ફુટવા લાગે છે, ભુજાઓ ફરફર થવા લાગે. જાણે ફરી ઇ રોજી ઘોડી ઉપર અસવાર થઈને ફરી એકવાર ગાય માતા ની વારે ચડી ને ખાંડાના ખેલ ખેલવા હોય એવી મોજમાં આવીને ચારણ દેવ ને વાત માડે છે.

સાંભળો કવિરાજ

તે’દી એ શુરવીર પાળીયાએ કીધું કે એ સમયે અધર્મી લોકો એ ગાયમાતા, ગામ ની માથે જે’દી ઘા કરે અને બુગીયા ઢોલ વાગે અને હું એમની સાથે યુ ધની તૈયારી કરવા લાગું, ત્યારે અમારી ઘરે જે ઘરની વીરાંગના નાર છે એ અમને કેશરીઆ કરી ને જ્યારે રણસંગ્રામમાં જાવા માટે સિહોરી તર વાર આપે કપાળે તિલક કરતી વેળાએ કહે કે…

બે’જ શબ્દોમાં આખો મર્મ સમજાવી જાય છે

કહે કે

કંથા રણ મે જાય કે ભાગીન મુહ મત લજાય

જોળી આવે તૃબકતી એમા મરદાવ કેરી મજા

કંથા રણ મે જાય કે

ભાગીન આયો જો સેણ

પછી થારી બ્રાહિતા નહી ગ્રહિતા

તુ ભા અને હું ભેણ

પિયુ મ રજો, કા મા રજો પીઠ ન

દેજો લગાર

નહિતર મારી સાહેલી મેણા મા રશે

તું તો કાયર નર ની નાર

અને આવી ટકોર કરતી તી ને

તે’દિ આ ઘરા નિર્ભય હતી ચારણ દેવ

ભલા માણસ

કવિ દાદની એક સુંદર રચના યાદ આવે કે…

ધડ ધીંગાણે જેના માથા મસાણે, એનો પાળીયો થઈને પૂજાવું રે,

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

ટોચોમા ટાંકણું લઈને ઘડવૈયા, મારે પ્રભુ થઇ નથી પુજાવું,

ધડ ધીંગાણે જેના માથા મસાણે, એનો પાળીયો થઈને પૂજાવું રે.

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

હોમ હવન કે જગન જાપથી, મારે નથી પધરાવું.

બેટડે બાપના મોઢા ન ભાળ્યા, એવા કુમળે હાથે ખોડાવું રે.

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

પીળા પીતાંબર અને જરકશી જામા, મારે વાઘામાં નથી વીંટળાવું,

કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે, એવા સિંદુરિયા થઈને ચોપડાવું રે.

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

ગોમતીજી કે જમનાજીમાં મારે, નીર ગંગાથી નથી નાવું,

નમતી સાંજે કોઈ નમણી વિજોગણના, ઉના ઉના આંસુડે નાવું રે.

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

બંધ મંદિરીયામાં બેસવું નથી મારે વન વગડામાં રે જાવું,

શુરા ને શહીદોના સંગમાં રે મારે ખાંભી થઈને હરખાવું રે.

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

કપટી જગતના રે કુડા રે રાગથી ફોગટ નથી રે પુજાવું,

મડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શુરો પુરો થઈને હરખાવું રે.

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

મોહ ઉપજાવે એવી મૂર્તિમાં રે મારે ચીતરે નથી ચીતરાવું,

રંગ કસુંબીના ઘુંટ્યા હૃદયમાં હવે દાદુળ શું સમજાવું ?

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

– કવિ ‘દાદ’

આ શુરવીરો ને જે રીતે બિરદાવ્યાં છે તે અદભુત છે. પણ સારા એવાં સાત્વિક ચારણ ઇ કવિ દાદ બાપુ જેમણે જ્યારે ભારતવર્ષના એક નામધારી જેમનુ નામ હેમુભાઈ ગઢવી. હેમુભાઈ ગઢવી કવિ દાદબાપુને એવું કહે છે, સરહદ ઉપર જે રીતે રાજપૂતો લ ડે છે એમનાં માટે એક રચના લખો તો હું ત્યાં જઈને આપની બિરદાવલી ગાવ.

ઈ રજપૂત નાં આર્મી કેમ્પ ની બટાલિયન્સ ની બિરદાવલી કરવા માટે જાવું.

તમે વિચાર કરો કે ત્યારે દાદબાપુએ એમણે પોતાની આ રચના માટે પ્રાણ ને નીચોવી નાંખ્યાં હતાં , એવાં ધડ રે ધીગાણે જેના માથા મસાણે એવા તે શબ્દો રૂપે બીરદાવેલા.

ઘણા સાહિત્ય કલાકારો જેમ કહે એમ, રાજપુતો ના હાથમાં તલ વાર હોય, અને ચારણ કવિઓ દુહા છંદ બોલતા હોય, એટલે દેવતાઓ એ પોતાનુ સ્થાન ગ્રહણ કરી લેવું જોઈએ. એમ રાજ કર્યું ત્યારે રાજા કહેવાયા, મર્દ હતા ત્યારે માથા દીધા, અને માથા વગરનાં ધડ લ ડ્યા ત્યારે શુર વીર કહેવાયા. બંને હાથે દાન દીધું ત્યારે દરબાર કહેવાયા અને રક્ષણ કાજે આખું જીવન ન્યોછાવર કરી દીધું ત્યારે ક્ષત્રિય કહેવાયા. અને એમ ને એમ નથી લખાતાં ઈતિહાસો એક એક શબ્દને શાહીથી નહીં લો હીથી લખ્યા છે ત્યારે અમે સિંહ કહેવાયા.

(ક્રમશ:)

જય માતાજી

જય ભવાની

(ભાગ ૧ પેજ પર મુકવામાં આવ્યો છે, ત્યાંથી વાંચી શકો છો.)

– સાભાર મિતેષ પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)