રાજ રાજેશ્વરી આઈ શ્રી ખોડિયાર માતાજીને સમર્પિત આ રચના તમને જરૂર ગમશે.

0
1153

ગુણ કથું હું ગાગડડિયાની ,

મે’ર કરી જે મામડિયાની .

ત્રટ હીરણને વાસ તિહારો ,

ધરો ગાજે ત્યાં એકજધારો .

તરવર ફૂલમાં વાસ તિહારો ,

મહેકે વાયુનો મહેકારો .

ઝરણામાં ઝણકાર કરે તું ,

નીરમાં ઘેરા નાદ કરે તું .

વગડામાં વનરાઇ ઘટા તું ,

લાલ ગુલાબી વેલ લતા તું .

તરવરમાં કુંપળીઓ તું છો ,

ફોરમમાં ફાગણીઓ તું છો .

કેસૂડાંની કળીઓ તું છો,

પીળાં પટ આવળીઓ તું છો .

વાયુરુપે વિચરે વનમાં ,

થાનકમાં ઘરમાં થનથનમાં .

ગાજે વરસા નાદ ગગનમાં ,

આહુત જ્વાળા માંય અગનમાં .

જાંપ જપે તો હોય જગનમાં,

લગની હોય તો હોય લગનમાં .

પેઠી તું સ્વર્ગે પાતાળે ,

ભૂવન ત્રણે તું નજરે ભાળે .

સાદ કરે તું આવે સહાઈ,

ધાબળિયાળી આવે ધાઇ.

ક્રોધ ભરી તું નજરું કરતો,

કાળે ય ડગલાં પાછાં ભરતો.

આણ ફરે સુરજ ના ઊગે ,

પંથે તારે કો નવ પૂગે .

ખોડલ તારાં ત્રિશૂળ ખખડે ,

ગિરનારી મૂળમાંથી ગગડે .

દિગપાળોનાં છેડાં છૂટે ,

ટાણાં વિણ મેહૂલીયો ત્રુટે .

વીજળિયુંના થાય લવાકાં ,

જગમાં હોય બધે ઝબકારા .

કોરંભ પીઠાં થાય કડાકાં ,

ભૂમંડળમાં થાય ભડાકા .

શેષાં સર સળવળવાં લાગે ,

લાવારસ ઊકળવા લાગે .

સૂરજ ચાંદો તેજ સમેટે ,

હરિ બ્રહ્મા શિવ ઊતરે હેઠે .

મહેરામણ મરજાદા મૂકે ,

હરિયલ ઠારોઠાર હી હૂકે .

અવળી ચાલે હેય અટંકી ,

બિરદાળી હો જાવછ બંકી .

રીસ ભરેલી ઊતરે રણમાં ,

ક્રોધ ભરી ઊઠે કણકણમાં .

હૈયેથી જો હેત વછૂટે ,

તેને જગમાં કો નવ લૂ ટે .

મેંર કરે તો કોઇ મ રે નહિ ,

ભૂંડા ડગલાં ક્યાંય ભરે નહિ .

વગર જોતું કોઇ વેર કરે નહિ ,

કજિયા કે કંકાસ કરે નહિ .

જીભે ખોડલ ખોડલ જપતાં ,

રામનામનાં થઇ જાય રટતાં .

અંતરથી જાણસ તું આઇ ,

બેઠી થાજે ઝટ તું બાઈ .

ખરે વખત જો ખપ તું ના’વે ,

આઈ બીજા કુણ વારે આવે?

બિરુદ તિહારો કેમ બખાણુ ;

જોણ ઝાઝી વાત ન જાણું`.

કાલા વાલા કરતાં કરતા ,

પળિયે તારે પાયે પડતાં .

કાળે બુદ્ધિ બે`ર કરી છે ,

ભીતરમાં કંઈ લાખ ભરી છે .

હૈયાની હોઠે નવ આવે ,

સક્તી “દાદલ” કીં સમજાવે?

આઠો જામ ભજી લે અંબા ,

જગબંધન છોડે જગદંબા .

પ્રાત ઊઠી જો લાગે પાયે ,

જનમ જનમનાં પાપો જાયે .

કર જોડીલે દાતણ કરતાં ,

ભજીલે ખોડલ ડગલાં ભરતાં .

ઊઠતાં બેસતાં નામ ઉચ્ચારે ,

દુ:ખ દાળીદર સઘળાં ડારે .

ખોડલમાં કરશે ખમકારાં ,

ચિતમાં રહેશે જો ચમકારા .

બની નથી ગઇ માં તું બેરી ,

તારાં બાળકને લે ટેરી .

અમી નજર તારી જો પડશે ,

થોડી ઘડી કાળે ય થરથરશે .

ખોડલ માં તારે ખમકારે ,

શારદ પાછા લેખ સુધારે .

એક ઘડી ના ઊભે અંબા ,

ઝટ આવે વારે જગદંબા .

પંચાણ હોય કે હો પગપાળી ,

ધોડીજે ઝટ ધાબળિયાળી .

ખપ્પર ત્રિશૂળ ખખડાવી ખોડલ ,

અળગો કરી મઢની ઓજલ .

કાઇ હવે વિલંબ ના કરતી ,

ખમા ખમા મુખે ઉચરંતી .

જણ્યાં અપરાધો ભૂલી જાજે ,

અવગુણ જોતી ના તું આજે .

થાનક માંથી બેઠી થાજે ,

અમણા દુ:ખ તું ભાંગે આજે.

– કવિશ્રી પદ્મ શ્રી દાદ બાપુ દાદુદાન પ્રતાપદાન મીસણ (ગઢવી)

(સાભાર પરેશ વાવલીયા, અમર કથાઓ ગ્રુપ)