રામાયણ-૫૭
આગળના ભાગો તમે અમારા પેજ પર ‘રામાયણનો ભાવાર્થ સંક્ષિપ્તમાં’ નામે વાંચી શકશો.
લવ-કુશ, અયોધ્યામાં કથા કરી અને પાછા આશ્રમમાં આવ્યા છે. અને માં સીતાજીને બધી વાત કરે છે.
અને પૂછે છે કે – માં, યજ્ઞમાં રાજા રામની પાસે તારા જેવી જ સોનાની મૂર્તિ હતી.
માં, રાજા રામ તારી મૂર્તિ પાસે કેમ રાખે છે?
માતાજી એ આ સાંભળ્યું અને તેમને ખાતરી થઇ કે – “મારા રામજીએ મારો ત્યાગ કર્યો નથી, મારો ત્યાગ કર્યો હોય તો મારી મૂર્તિ શા માટે પાસે રાખે? કલંક દૂર કરવા માટે તેમણે મારો ત્યાગ કર્યો છે, મનથી નહિ.”
જાનકીજી (સીતાજી)એ જીવનમાં ઓછાં દુઃખો સહન નથી કર્યા. આવાં સીતાજીની માતા કોણ થઇ શકે?
રામજી જેવા પુરુષને જન્મ આપનાર કૌશલ્ય જેવાં માતા હતા કે જેમની કુખેથી રામજીનો જન્મ થયો.
ત્યારે જાનકીજીને જન્મ આપી શકે તેવી કોઈ સ્ત્રી મળી નહિ. એટલે સ્વયં પૃથ્વી જ તેમનાં માતા થયાં. અને અંતે પૃથ્વીએ જ સીતાજીને પોતાનામાં સમાવી લીધાં.
નૈમિષારણ્યમાં જાનકી કુંડ છે – સીતાજી એ ધરતીમાં ત્યાં પ્રવેશ કર્યો છે.
રામજીનો છેલ્લો યજ્ઞ પણ ત્યાં જ થયો છે.
દરબારમાં વાલ્મીકિનું ભાષણ થયું છે. “આ અયોધ્યાના તમે લોકો કેવા છો? રામરાજ્યમાં પ્રજા સુખી થઈ છે, રામજીના રાજ્યમાં તમને જે સુખ મળ્યું છે – તેવું સુખ સ્વર્ગના દેવોને પણ મળતું નથી. રામજી તરફથી તમને આટલું સુખ મળે છે પણ તમે કોઈએ રામજીના સુખનો કોઈ દિવસ વિચાર કર્યો છે?
એકલા રામ સિંહાસન પર વિરાજે છે તે તમને કેમ ગમે છે? સીતાજી વનવાસ ભોગવે એ સારું છે? હું કહું છું કે સીતાજી મહાન પતિવ્રતા છે. સીતાજી જો મહાન પતિવ્રતા ના હોય તો હું નર્કમાં પડીશ.”
વાલ્મીકિએ રામજીને પણ ઠપકો આપ્યો છે. ”તમારું બધું સારું છે, પણ તમે સીતાજીનો ત્યાગ કર્યો તે યોગ્ય નથી”
રામજીએ કહ્યું કે – હું જાણું છું કે સીતાજી નિર્દોષ છે, તેમણે અગ્નિ પરીક્ષા આપી હતી તે વાતની અયોધ્યાના લોકોને ખબર નથી, હું ઈચ્છું છું કે તે દરબારમાં આવીને તેમનો પ્રભાવ બતાવે.”
વાલ્મીકિ આશ્રમમાં આવ્યાને સીતાજીને પૂછ્યું કે – બેટા, તું દરબારમાં આવીશ?
સીતાજીએ કહ્યું કે – પતિદેવની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે, તેમની ઈચ્છા તે મારી ઈચ્છા.
વાલ્મીકિએ કહ્યું – બેટા તું ચિંતા ના કર, હું તારી સાથે રહેવાનો છું.
દિવસ નક્કી થયો. સીતાજી દરબારમાં પધારવાનાં છે, તેથી મોટો દરબાર ભરાયો છે. સર્વ લોકો ત્યાં હાજર થયા છે. લવ-કુશ આગિયાર વર્ષના થયા છે, તે સીતાજીની પાછળ પાછળ ચાલે છે.
માતાજીએ જગતને બે હાથ જોડી વંદન કર્યા છે, કોઈને નજર આપી નથી, નજર ધરતી પર છે.
રામવિરહમાં અનાજ લીધું નથી, શરીર દુર્બળ થયું છે. સીતાજીની દશા જોઈ બધાં રડવા લાગ્યાં છે.
રામજીને વંદન કરી સીતાજીએ કહ્યું કે – “મેં મન, વચન, કર્મથી પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય, રામજીએ મારો ત્યાગ કર્યો તેમ છતાં પણ મારા મનમાં તેમના પ્રત્યે જો મને જરાય કુભાવ ના આવ્યો હોય તો હે ધરતી માતા મને તમારામાં સમાવી લો.”
તે જ સમયે ધરતી ફાટી છે, સુવર્ણનું સિંહાસન તેમાંથી બહાર આવ્યું છે, સાક્ષાત ભુ-દેવીએ સીતાજીને ઉઠાવી સિંહાસન ઉપર પધરાવ્યાં છે. લવ-કુશ દોડતા આવ્યા છે – તેમને આશીર્વાદ આપ્યા છે, અને કહે છે કે – શ્રી રામ તમારા પિતા છે, તમારા પિતાની તમે સેવા કરજો.
સુવર્ણ સિંહાસન પર વિરાજેલાં સીતાજી અદૃશ્ય થયાં છે. રામજીને અતિશય દુઃખ થયું છે.
મહાપુરુષોએ તેથી ત્યાં સુધી કહ્યું છે કે – હે સીતે, હે દેવી, માં, તું જગતમાં આવી શા માટે?
આ જગત તારે માટે લાયક નહોતું.
રામાયણની કથા કરુણ રસ પ્રધાન છે. બાલકાંડ વગર બીજા બધા કાંડોમાં રુદન છે. રામાયણ બનાવી વાલ્મીકિ વિચારવા લાગ્યા કે – આમાં સઘળે કરુણ રસ છે. તેથી પાછળ થી તેઓએ “આનંદ રામાયણ” ની રચના કરી, અને તેમાં શોકપૂર્ણ પ્રસંગોનું વર્ણન ન કર્યું.
– પૂ. ડોંગરેજી મહારાજ.
(શિવોમ પરથી.)