રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો
શાને આવાં મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો?
પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું
ના ના કો’ દી’ તમ શરીરને કાંઈ હાનિ કરું હું
ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે
રે! રે! તો યે કુદરતથી મળી ટેવ બીવા જનોથી
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની
જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો’ હસ્તનો, હા
પાણો ફેંકે તમ તરફ, રે! ખેલ એ તો જનોના
દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી
રે! રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી
– કલાપી
મારી નિત્ય પ્રાર્થના…
મારી નિત્ય પ્રાર્થના…
હે પૃથ્વીના પાલક પિતા તુજને નમું વરદાન દે;
નીરખું તને કણકણ મહી એવું મને તું જ્ઞાન દે ,
હું સત્યના પંથે સદા નીડર થઇ ચાલ્યા કરું
હો વિકટ પણ તુજને મળે એ રાહની પહેચાન દે ,
પરિશ્રમ મહી શ્રધા રહે , હિંમત તણી હો સંપતિ
મનના અટલ વિશ્વાસ પર આગળ વધુ ; ઉડાન દે,
કોઈ પીડીતજનની પીડ ને હરવાને મન ઝંખ્યા કરે
કોઈ આત્મા દુભે નહી મુજ કારણે, ઈમાન દે,
”આતુર” જગે રહું ધૂપ થઇ, જાતે બળી વહેંચું સુગંધ ;
મૃત્યુ પછીયે અમર રહું એવી મને તું શાન દે ….
– સાભાર જીત મજેવડીયા (અમર કથાઓ ગ્રુપ)