સદ્દભાવના પણ ચેપી હોય છે, જો આપણને સારા કામનો ચેપ ન લાગે, તો સમજી લેવું કે આપણો….

0
365

૩૫ વર્ષનો એક યુવાન દરરોજ પોતાની મોટરબાઈક લઈને એક રેસ્ટોરન્ટ પાસે આવતો અને આસપાસ ઊભેલા પાંચ ભિખારીઓને ભોજન માટે ટિફિન બંધાવી આપતો.

એક વખત એ રેસ્ટોરન્ટના માલિકે વાતવાતમાં પૂછ્યું તો યુવાને કહ્યું, ‘મારા પિતાજી કહેતા હતા કે કોઈકને જમાડયા પછી જમવાથી ભોજન પ્રસાદ બની જાય છે અને એ બહુ મીઠું લાગે છે. હું નાનો હતો ત્યારથી પિતાજીની સાથે આ રીતે ગરીબોને ટિફિન અપાવવા જતો હતો. હવે પિતાજી નથી, પણ એમનું કામ મેં ચાલુ રાખ્યું છે. મને મજા આવે છે.’

એ યુવાન રોજ નિયમિત રીતે રેસ્ટોરન્ટ પાસે આવતો. પાંચ ભિખારીઓને ટિફિન અપાવતો. કાઉન્ટર પર પેમેન્ટ કરીને ચુપચાપ ચાલી જતો. રેસ્ટોરન્ટનો માલિક અને કેટલાક ભિખારીઓ પણ એ યુવાનને ઓળખી ગયા હતા.

એક વખત એવું બન્યું કે પેલો યુવાન રેસ્ટોરન્ટ પર આવ્યો જ નહીં. બે-ચાર ભિખારીઓ એની રાહ જોતા રેસ્ટોરન્ટની બહાર ઊભા હતા, તે થોડીક વાર એની રાહ જોયા પછી પાછા ચાલ્યા ગયા. બીજા દિવસે પણ એવું જ બન્યું. ત્રણ-ચાર દિવસ સુધી યુવાન દેખાયો જ નહિ.

એવામાં એક વખત એક જૂના ભિખારીએ આવીને રેસ્ટોરન્ટ પરથી બીજા એક ભિખારીને ટિફિન અપાવ્યું અને એનું પેમેન્ટ કર્યું. રેસ્ટોરન્ટના માલિકે નવાઈ અનુભવતાં એને પૂછ્યું તો એ ભિખારીએ જવાબ આપ્યો, ‘અમને જે યુવાન દરરોજ ટિફિન અપાવતો હતો એનું એક અકસ્માતમાં તેનો જીવ ગયો છે. અમે બે-ચાર મિત્રોએ ભેગા મળીને એ યુવાનને શ્રદ્ધાંજલિ આપવા રૂપે, અમને દરરોજ ભીખમાં જે રકમ મળી હોય એમાંથી એક વ્યક્તિને ટિફિન અપનાવવાનું નક્કી કર્યું છે !’

ભિખારીની વાત સાંભળીને રેસ્ટોરન્ટના માલિકને શું બોલવું તે ન સૂઝયું, પણ શું કરવું એ એને તરત સૂઝયું. એણે કહ્યું, ‘ભાઈ ! હવે પેલા યુવાને શરૂ કરેલી ટિફિન સેવા મારા તરફથી ચાલુ રહેશે. તમારે એ માટે પૈસા ખર્ચવાની જરૂર નથી.’

ત્યારે પેલો ભિખારી બોલ્યો, ‘સાહેબ ! સાચું કહું? અમે બહુ નાના માણસ છીએ, સમાજસેવા અને લોકસેવાનાં બહુ મોટાં કામ કરવાની અમારામાં ત્રેવડ નથી. બહુબહુ તો અમે હળીમળીને એકબીજાને આવી સાવ મામૂલી મદદ કરી શકીએ ! પેલા યુવાન પાસેથી અમને આવી પ્રેરણા મળી છે અને એ પ્રેરણાનો દીવો ઝળહળતો રહે એ માટે અમે એક ટિફિનની સેવા તો હવે અમારા છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખીશું…!’

રેસ્ટોરન્ટનો માલિક બોલ્યો, ‘એ યુવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે તમે જે દીવો ઝળહળતો રાખ્યો છે, એમાં મારે પણ થોડુંક તેલ પુરાવવું છે. હવેથી હું પણ લાઈફટાઈમ નિયમિત રૂપે દરરોજ પાંચ ગરીબોને મફત ટિફિન આપીશ !

સંસારમાં બીમારીઓના ચેપ તો ઘણા લાગે છે, થોડાક ચેપ આવાં સત્કાર્યોના પણ લાગતા રહેવા જોઈએ !’

આપણી લાઇફમાં આપણને આવા કોઈ એક સારા કામનો ચેપ ન લાગે, તો સમજી લેવું કે આપણો ભવનો ફેરો ફોગટ ગયો છે !

– સાભાર અનિલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ)