ઘણા સમય પહેલાંની વાત છે, જગદીશભાઈની દીકરીના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા. અને લગ્નના થોડા વર્ષો થયા પછી અચાનક જમાઈને ધંધામાં ખૂબ જ મોટી ખોટનો સામનો કરવો પડ્યો હતો. જમાઈને એ સમયે પાંચ લાખ રૂપિયાની જરૂર હતી, તો જ તેનો વેપાર ધંધો ફરી પાછો પહેલાની જેમ ચાલતો થાય તેમ હતો. ભલે પાંચ લાખ રૂપિયા તે મોટી રકમ ન હતી પરંતુ મિડલ ક્લાસ ફેમિલી માટે તો પાંચ લાખ રૂપિયા પણ ખૂબ જ મોટી રકમ કહેવાય.
એ સમયે જમાઈને મદદ કરવા માટે તેઓએ પાંચ લાખ રૂપિયા તેના જમાઈને આપ્યા હતા. જગદીશભાઈ એ આ પૈસા આપી દીધા અને પૈસાથી મદદ કર્યા પછી તેના જમાઈ નો ધંધો પણ ફરી પાછો ચાલવા લાગ્યો. અલબત્ત.. તેનો ધંધો પહેલાં કરતાં પણ વધુ સારી રીતે ચાલવા લાગ્યો. જમાઈને જગદીશભાઈએ પૈસા આપ્યા હતા પરંતુ જમાઈ નો ધંધો ફરી પાછો ચાલતો થઈ ગયો હોવા છતાં જમાઈએ આ પૈસા તેને હજુ પાછા નહોતા આપ્યા.
એક દિવસ આ જ બાબતને લઈને જગદીશભાઈ અને તેના જમાઈ વચ્ચે ઝઘડો થઈ જાય છે, અને ઝઘડો પણ એ હદ સુધી વધી જાય છે કે એકબીજાના ઘરે આવવા જવાનું બિલકુલ બંધ થઇ જાય છે. સમય પસાર થતો ગયો એમ સંબંધ સુધારવા ની જગ્યાએ વધારે ખરાબ થતો ગયો. થોડા મહિનાઓ વીતી ગયા પછી જગદીશભાઈ તેઓની ઘરે કોઈ પણ સગા સંબંધીઓ આવે તો તેઓની સામે પોતાના જમાઈની નિંદા અને આલોચના કરવા લાગતા.
આ વાતને પણ ઘણો સમય વીતી જાય છે તેમ છતાં તેઓના સંબંધમાં કોઈ પ્રકારનો સુધારો થતો નથી. જગદીશ ભાઈનો નિત્યક્રમ હતો કે તેઓ દરરોજ સવારે તૈયાર થઈને ભગવાનની પૂજા અર્ચના કરતા. પરંતુ પાછલા થોડા સમયથી તેઓનું ધ્યાન પૂજા અર્ચના વખતે પણ ભગવાનમાં ન રહેતું. માનસિક વ્યથા નો પ્રભાવ માત્ર તેઓના મનમાં જ નહીં પરંતુ તેઓના તનમાં પણ પડવા લાગ્યો.
દિવસેને દિવસે જગદીશભાઈ ની બેચેની વધતી જતી હતી. તેઓને કોઇ સમાધાન નહોતું મળી રહ્યું. આખરે તેઓ એક સંત પાસે જાય છે અને પોતાની વ્યથાને સંતને સંભળાવે છે. સંતે કહ્યું તમે ચિંતા ન કરો ભગવાનની કૃપાથી બધું પહેલા જેવું બરાબર થઈ જશે. તમે થોડા ફળ એક મીઠાઇનું બોક્સ લઈને તમારા જમાઇ ના ઘરે જજો અને તેઓને મળતાની સાથે જ માત્ર એટલું જ કહેજો,
“બેટા બધી ભૂલ મારાથી થઈ છે, મને માફ કરી દો.”
જગદીશભાઈ સંતને કહ્યું પરંતુ મહારાજ મેં તો એની મદદ કરી છે અને હવે માફી પણ હું જ માંગુ? સંતે જવાબ આપ્યો કોઈપણ પરિવારમાં એવો સંઘર્ષ શક્ય જ નથી જેમાં બંને પક્ષની ભૂલ ન હોય. એક પક્ષની ભૂલ ઓછી હોય તો બીજા પક્ષની વધારે હોય એવું બની શકે પરંતુ ભૂલ હંમેશા બંને તરફથી હોય છે.
જગદીશભાઈ ને સંતે કહ્યું તે વાત ગળે ન ઊતરી એટલે પૂછ્યું મહારાજ આમાં મારી કંઈ ભૂલ છે? સંતે જવાબ આપતા કહ્યું સૌથી પહેલાં તો તમારી એ ભૂલ કે તમે મનમાં જ તમારા જમાઈને ખરાબ સમજવા લાગ્યા. તમે તમારા જમાઇ નિંદા અને આલોચના કરી તે તમારી બીજી ભૂલ. અને તમારા જમાઇ ના દોષ ને તમે ગુસ્સા ભરી નજરે થી જોયા એ તમારી ત્રીજી ભૂલ. અને તમારા કાન થી તમે જ તમારા જમાઇ નિંદા સાંભળી એ તમારી ચોથી ભૂલ. અને તમારી છેલ્લી ભૂલે કે તમે તમારા હૃદયમાં તમારા જમાઇ પ્રત્યે નફરત તેમજ ગુસ્સો રાખ્યો છે.
તમારી આ બધી ભૂલને કારણે તમે તમારા જમાઇ ને દુઃખ આપ્યું છે. અને તમારું આપેલું દુઃખ અનેકગણું થઈને તમારી પાસે ફરી પાછું આવ્યું છે. એટલા માટે જાઓ તમે તમારી ભૂલ માટે માફી માંગો. નહીં તો તમે શાંતિથી જીવન પસાર નહીં કરી શકો. માફી માગવી એ ખુબ જ મોટી સાધના છે અને તમે તો એક મોટા સાધક છો.
સંતના મોઢેથી આ વાત સાંભળીને જગદીશભાઈ ને જાણે આંખો ખુલી ગઈ. તેઓ સંતોને પ્રણામ કરીને તરત જ મીઠાઇ ફળ વગેરે લઈને જમાઈ ના ઘરે જાય છે.
જમવાનો સમય થઈ ચૂક્યો હોવાથી જમાઈ ના ઘરે બધા લોકો જમવા બેસવાની તૈયારી કરી રહ્યા હતા એવામાં જગદીશભાઈએ ડોરબેલ વગાડી. અને દરવાજો તેની દીકરી ના દીકરા એ જ ખોલ્યો. દીકરીના દીકરાને પોતાના નજર સમક્ષ જોઇને જગદીશભાઈ ખુશ થઈ ગયા અને છોકરો પણ ખુશ થઈ ગયો તરત જ બોલ્યો મમ્મી પપ્પા જુઓ કોણ આવ્યું છે, નાના આવ્યા છે.
માતા-પિતાએ દરવાજા તરફ જોયું. બધા લોકોને પહેલા તો વિશ્વાસ જ ન થયો કે જગદીશભાઈ આવ્યા છે. જગદીશભાઈની દીકરી ખૂબ જ રાજી થઈ ગઈ અને તેના આંખમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા. કારણ કે દસ વર્ષ પછી તેના પિતા તેઓની ઘરે આવ્યા હતા. જગદીશભાઈ એ મીઠાઈના બોક્સ ને ટેબલ પર રાખી ને બંને હાથ જોડીને જમાઈને કહ્યું બેટા બધી ભૂલ મારાથી થઈ છે, મને માફ કરી દો.
“માફ” શબ્દ નીકળતા જ જગદીશભાઈના હૃદયનો પ્રેમ આંસુ બનીને વહેવા લાગ્યો. જમાઈ તરત જ જગદીશભાઈ ની નજીક આવીને જગદીશભાઈ ને ભેટી પડ્યો. જગદીશભાઈ ના આંસુ તેના જમાઈ ની પીઠ ઉપર પડવા લાગ્યા અને એ જ રીતે જમાઈના પસ્તાવાના અને પ્રેમ ના આંસુ જગદીશભાઈ ની પીઠ પર પડવા લાગ્યા.
જગદીશભાઈ તેની દીકરીની અને તેની દીકરી જગદીશભાઈ ની માફી માંગવા લાગી. માફી અને પ્રેમનો જાણે સાગર તૂટી પડ્યો. બધા લોકોની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. જમાઈ તરત જ સ્વસ્થ થઈને અંદર પોતાના રૂમમાં જઈને પૈસા લાવીને જગદીશભાઈ ની સામે રાખી દે છે.
જગદીશભાઈ કહેવા લાગ્યા બેટા આજે હું કશું લેવા નથી આવ્યો હું તો માત્ર મારી ભૂલ સુધારવા, અને મારી સાધના અને સજીવ બનાવવા અને મારા ભાણિયાઓ સાથે રમવા માટે આવ્યો છું. અને દરવાજો ખોલતાની સાથે જ ભાણીયા નો હસતો ચહેરો જોઈને મને અંદાજો આવી ગયો કે મારું આવવાનું સફળ થઈ ગયું મારા બધા દુઃખ જતા રહ્યા અને હવે મને ખુશીનો અહેસાસ થઇ રહ્યો છે.
જમાઈ અને તેને કહ્યું તમે આ રૂપિયા અને જ્યાં સુધી નહીં લો ત્યાં સુધી મારા હૃદયમાં પણ વસવસો રહી જશે, એટલે મહેરબાની કરીને તમે આ રૂપિયા લઇ લો. જમાઈને આદર આપીને જગદીશભાઈએ તે રૂપિયા લઇ લીધા અને બીજી જ ક્ષણે તે બધા રૂપિયા પોતાની ઈચ્છા અનુસાર તેની દીકરીને અને ભાણિયાઓ ને આપી દીધા. ભોજનની તૈયારીઓ ચાલી રહી હતી આજે જગદીશભાઈ એ પણ દીકરીના ઘરે પ્રેમથી ભોજન કર્યું.
અને ભોજન કરીને બધા લોકો જગદીશ ભાઈ ના ઘરે ગયા, દસ વર્ષ પછી મધરાત્રીએ જ્યારે માં- દીકરી, ભાઈ બહેન અને નણંદ-ભાભી નું એકબીજા સાથે મિલન થયું તો એવો નજારો થઈ ગયો જાણે સાક્ષાત પ્રેમ શરીર ધારણ કરીને પહોંચી ગયો હોય.
વર્ષો પછી પરિવારને આટલો ખુશ જોઈને જગદીશભાઈ ને પણ ખૂબ જ ખુશીનો અહેસાસ થયો. આજે જગદીશભાઈ ને સંત એ કહેલી વાત બરાબર સમજાઈ ગઈ કે, “માફી માંગવી એ સાધના છે અને માફી માંગીને સંબંધ સુધરી જતા હોય તો માફી માંગવાથી કોઈ માણસ નીચો નથી થઈ જતો.”
– સાભાર નીતા પટેલ (અમર કથાઓ ગ્રુપ) (મૂળ સ્ત્રોત જસ્ટ ગુજ્જુ થિંગ્સ)