હિન્દુ ધર્મમાં ભાદરવા માસની પૂનમથી અમાસ સુધીના સમયને પિતૃપક્ષ કહેવામાં આવે છે. આ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ, મુક્તિ માટે વિધિ કે ક્રિયા કરીને તેમને અર્ધ્ય સર્મિપત કરવામાં આવે છે.
પિતૃતર્પણનાં તીર્થ : શ્રાદ્ધ પક્ષ દરમિયાન અને તે સિવાય પણ લોકો પિતૃતર્પણ માટેનાં તીર્થસ્થળો પર જઈને શ્રાદ્ધ-તર્પણ કરે છે. આ સ્થળો પર શ્રાદ્ધ-તર્પણ કરવાથી પિતૃઓનો આત્મા જલદી તૃપ્ત થાય છે. ગુજરાતમાં ચાંણોદ-કરનાળી, સિદ્ધપુર સહિત અનેક તીર્થો આવેલાં છે. ભારતભરમાં આવેલાં પિતૃતર્પણ માટેનાં તીર્થસ્થળો વિશે જાણીએ.
ગયા ધામ : એવું કહેવાય છે કે ભગવાન શ્રીરામ પોતાના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કરવા માટે ગયા પધાર્યા હતા. વાલ્મીકિ રામાયણમાં એવી કથા છે કે પિંડદાન માટે રામ અને લક્ષ્મણ સામગ્રી લેવા માટે બજાર ગયા હતા. તેમને પાછા વળતાં બહુ વાર થઈ. જ્યારે પિંડદાનનો સમય આવ્યો ત્યારે દશરથજીનો આત્મા સીતાજી સમક્ષ ઉપસ્થિત થયો અને પિંડ માંગવા લાગ્યો, તેથી સીતાજી વિચારમાં પડી ગયાં કે હવે શું કરું? થોડી ક્ષણો વિચાર કરીને સીતાજીએ રેતીનો પિંડ બનાવીને ગાય, ફલ્ગુ નદી, કેતકીનાં ફૂલ, વડનું વૃક્ષ અને કાગડાની સાક્ષીએ દશરથજીને રેતીના પિંડનું દાન કર્યું.
રામ-લક્ષણ જ્યારે પાછા ફર્યા ત્યારે સીતાજીએ જણાવ્યું કે તેમણે દશરથજીને પિંડદાન આપી દીધું છે. ત્યારે શ્રીરામે સીતાજીને પૂછયું કે કોઈ પણ પ્રકારની સામગ્રી વગર પિંડદાન કેવી રીતે કર્યું? તેના કોઈ સાક્ષી તો જણાવો. ત્યારે સીતાજીએ ગાય, નદી, ફૂલ, વડ અને કાગડાને સાક્ષી પૂરવા કહ્યું, પરંતુ વડના વૃક્ષને બાદ કરતાં બધાંએ સાક્ષી પૂરવાની ના પાડી.
ત્યારબાદ સીતાજીએ દશરથ રાજાનું ધ્યાન કર્યું. દશરથ રાજાનો આત્મા ફરીથી પ્રગટ થયો અને જણાવ્યું કે સીતાજીએ રેતીના પિંડનું દાન કર્યું છે. આ રીતે દશરથ રાજાને સીતાજી દ્વારા પિંડદાન કરવાથી મુક્તિ મળી ગઈ. ગયા ધામ બિહારની રાજધાની પટનાથી લગભગ ૧૦૦ કિલોમીટર દક્ષિણમાં આવેલું છે. એવી માન્યતા છે કે અહીં પિંડદાન કરવાથી સાત પેઢીઓના પિતૃઓને મોક્ષ મળે છે.
બ્રહ્મ કપાલ ઘાટ : બ્રહ્મ કપાલ ઘાટ ભગવાન બદ્રીનાથનાં ચરણોમાં વસેલું છે. આ સ્થળ અંગે એવું કહેવાય છે કે આ જગ્યાએ જે વ્યક્તિનું શ્રાદ્ધ કર્મ થાય છે તેને પ્રેતયોનિમાંથી તત્કાળ મુક્તિ મળી જાય છે અને તેને ભગવાન વિષ્ણુના પરમ ધામમાં સ્થાન મળે છે. બ્રહ્મ કપાલમાં અકાળે દુનિયા માંથી વિદાય લેનાર વ્યક્તિનું શ્રાદ્ધ કરવામાં આવે તો તેના આત્માને શાંતિ અને મોક્ષ મળે છે. આ સ્થળ સાથે જોડાયેલી કથા અનુસાર મહાભારતના યુદ્ધમાં પાંડવોના મોટાભાગના પરિજનો દુનિયામાંથી વિદાય લઈને ગયા હતા. આથી પ્રેતયોનિમાં ગયેલા પિતૃઓને મુક્તિ અપાવવા માટે પાંડવોએ બ્રહ્મ કપાલમાં જઈને શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો.
અન્ય એક કથા અનુસાર એક વાર બ્રહ્માજીનું એક મુખ જૂઠું બોલ્યું હતું, તેથી શિવજીએ ક્રોધિત થઈને બ્રહ્માજીનું તે મ સ્તક કા પીના ખ્યું. ત્યારબાદ બ્રહ્માજીના ચાર મસ્તક જ બચ્યાં જ્યારે ક પાયેલું મસ્તક શિવજીના હાથે ચોંટી ગયું. અનેક પ્રયત્નો કરવા છતાં પણ બ્રહ્મદોષને કારણે શિવજીના હાથથી તે મસ્તક અલગ ન થયું.
આવી જ સ્થિતિમાં શિવજીએ સંપૂર્ણ બ્રહ્માંડમાં વિચરણ કર્યું અને બદ્રીનાથ પાસે એક સમતલ શિલાખંડ પાસે પહોંચ્યા કે તરત જ બ્રહ્માજીનું મસ્તક હાથથી છૂટું પડી ગયું. ત્યારથી આ સ્થળનું નામ બ્રહ્મ કપાલ પડી ગયું. શિવજીએ પ્રસન્ન થઈને આ સ્થળને વરદાન આપ્યું કે આ સ્થળે જે વ્યક્તિ શ્રાદ્ધ કરશે તેને પ્રેતયોનિમાં ભટકવું નહીં પડે અને તેમના અનેક પેઢીઓના પિતૃઓને મોક્ષ મળશે.
ઓમકારેશ્વર : મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદીના તટ પર ઓમકારેશ્વર વસેલું છે. એવું કહેવાય છે કે અહીં ભગવાન શિવ, વિષ્ણુ તથા બ્રહ્માજીનો નિવાસ છે. સ્કંદ પુરાણ અનુસાર નર્મદા નદીના તટ પર ઓમકારેશ્વરમાં શ્રાદ્ધ કરવાથી ગયા ધામમાં કરેલા શ્રાદ્ધ સમાન ફળ મળે છે. શાસ્ત્રો અનુસાર પણ નર્મદા નદીના તટ પર જ પહેલી વાર શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. તેને કારણે નર્મદાને શ્રાદ્ધ કર્મની જનની પણ કહેવામાં આવે છે.
નર્મદા તટ પર શ્રાદ્ધ અંગે એક કથા જોડાયેલી છે તે મુજબ રાજા હિરણ્યતેજા પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે બધાં જ તીર્થોમાં ગયા, પરંતુ તેમના પિતૃઓ સંતુષ્ટ ન થયા. છેલ્લે પિતૃઓએ જ હિરણ્યતેજાને કહ્યું કે નર્મદા તટ પર જઈને અમારું શ્રાદ્ધ કરવાથી અમને મુક્તિ મળી જશે. અયોધ્યાના રાજા મનુએ પણ પોતાના પિતૃઓના કલ્યાણ માટે મહર્ષિ વશિષ્ટના કહેવાથી નર્મદા નદીના તટ પર જઈને પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કર્યું હતું. ઓમકારેશ્વરમાં શ્રાદ્ધ કરવાથી પ્રેતયોનિમાંથી પિતૃઓ મુક્ત થાય છે અને તેમને શિવલોકમાં સ્થાન મળે છે.
ત્ર્યંબકેશ્વર તથા હરિદ્વાર : ત્ર્યંબકેશ્વર ગૌતમ ઋષિની તપોભૂમિ છે. આ સ્થળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાથી લગભગ ૨૮ કિલોમીટર દૂર આવેલું છે. એવી માન્યતા છે કે ગૌતમ ઋષિએ શિવજીની તપસ્યા કરીને ગંગાજીને અવતરિત કરવાનું વરદાન માગ્યું હતું, જેના ફળસ્વરૂપ અહીં ગોદાવરીની ધારા પ્રવાહિત થઈ, તેથી જ ગોદાવરીને દક્ષિણ ભારતની ગંગા કહેવામાં આવે છે.
રાજા ભગીરથે પોતાના પૂર્વજોની મુક્તિ માટે શિવજીની કઠોર તપસ્યા કરી જેના ફળસ્વરૂપ ગંગાજી પ્રગટ થયાં. હિમાલયના શિખરથી ઊતરીને પહેલી વાર ધરતી પર જ્યાં ગંગાની ધારા પ્રવાહિત થઈ એ સ્થળ હરિદ્વાર છે. તેને વૈકુંઠનું દ્વાર પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંથી જ બદ્રીનાથની યાત્રાનો પ્રારંભ થાય છે. હરિદ્વાર ઉત્તરાખંડની ધરતી પર દિલ્હીથી આશરે ૨૨૫ કિલોમીટર દૂર આવેલું છે.
આ બંને જગ્યાએ કરવામાં આવેલું શ્રાદ્ધ અને પિંડદાન સીધુ પિતૃઓ સુધી પહોંચે છે, જેથી પિતૃઓને મુક્તિ મળે છે અને ઉત્તમ લોકમાં સ્થાન મળે છે. અહીં પિતૃઓની સંતુષ્ટિ માટે બ્રાહ્મણ ભોજન કરાવવાથી પિતૃઓ તૃપ્ત થઈને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપે છે.
હંસ કુંડ અને પ્રયાગ : હંસ કુંડ ઉત્તરાખંડમાં ભગવાન શિવના પાવન ધામ કેદારનાથ પાસે આવેલો છે. આ સ્થળે પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ કરવાથી પિતૃઓને તત્કાળ પ્રેતયોનિમાંથી મુક્તિ મળે છે અને શિવલોકમાં સ્થાન મેળવે છે.
ભગવાન શિવના ત્રિશૂળ પર સ્થિત પાવન નગરી કાશી પણ મુખ્ય શ્રાદ્ધ તીર્થોમાંનું એક છે. શાસ્ત્રો અનુસાર અહીં પ્રયાગ તટ પર કરવામાં આવેલું શ્રાદ્ધ કર્મ પિતૃઓને મુક્તિ પ્રદાન કરે છે. પ્રયાગમાં ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના તથા સરસ્વતીનો સંગમ થાય છે. પુરાણો અનુસાર અહીં અમૃત કળશમાંથી કેટલીક બુંદો છલકીને પડી હતી, તેથી આ સ્થળ અમૃતમય છે.
એવું કહેવાય છે કે કાશીમાં જે વ્યક્તિ દુનિયા છોડે છે તેને શિવલોકમાં સ્થાન મળે છે, તેથી જ ઘણા લોકો અંતિમ સમય નજીક આવે ત્યારે પ્રયાગમાં આવીને રહે છે. અહીં ગૌ દાન, અન્ન દાન, વસ્ત્ર દાન તથા બ્રાહ્મણ ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને પોતાનાં સંતાનોને ઉન્નતિના આશીર્વાદ આપે છે.
(સાભાર સંજય મોરવડીયા, અમર કથાઓ ગ્રુપ, માહિતી સ્ત્રોત – પ્રશાંત વી પટેલનો બ્લોગ.)