પહેલા ભાગમાં આપણે જાણ્યું કે કેવી રીતે રુક્મિણી અને કૃષ્ણના લગ્ન થયા હતા. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.
દેવી લક્ષ્મીના મુખેથી કૃષ્ણની પ્રથમ પટરાણી રુક્મિણીનું વૃતાંત સાંભળી રહ્યા બાદ શ્રીહરિ મીઠું મલકાયા. કારણ, લક્ષ્મીજી સ્વયં જ રુક્મિણી સ્વરૂપે પૃથ્વીલોક પર અવતરિત થયા હોવાથી આ વૃતાંત રસદાયક બની રહ્યું હતું.
“તો પ્રભુ, હવે આગળ રુક્મિણી ઉપરાંતની કૃષ્ણની અન્ય રાણીઓ બાબતે પ્રકાશ પાડવા આપ કૃપા કરો. કે જેથી મારી અમુક શંકાઓનું ધીમે ધીમે નિરાકરણ થતું જાય.” -મહાદેવી લક્ષ્મીએ સસ્મિત કહ્યું.
“અવશ્ય દેવી,” -શ્રીવિષ્ણુ મુસ્કાયા- “કૃષ્ણની અન્ય રાણીઓ બાબતે ચર્ચા કરીએ તે દરમિયાન અન્ય પણ એવા વિષયોને સ્પર્શતા જઈશું, કે જેને તમારી શંકાઓ નિવારવા માટે છેડવા પડે એમ છે. તો વાત કરીએ હવે કૃષ્ણની બીજી રાણીની…”
દ્વારિકાનગરીમાં સત્રાજિત નામનો એક શ્રીમંત યાદવ રહેતો કે જે સૂર્ય ભગવાનનો પરમ ભક્ત હતો. તેની ભક્તિથી પ્રસન્ન થઈને, સૂર્યદેવ અતિ પ્રસન્ન થયા અને પછી તેનાં મિત્ર પણ બની ગયા.
આ મૈત્રીના શુભચિહ્ન તરીકે સૂર્યદેવે તેને પ્રેમપૂર્વક એક મણિ ભેટ તરીકે આપ્યો, જે સ્યામંતક-મણિ કહેવાયો. તે રત્નને ગળામાં પહેરી જ્યારે સત્રાજિત દ્વારિકામાં આવ્યો, તો સ્વયં જ એટલો બધો ચમકવા માંડ્યો કે લોકોની આંખો અંજાવા લાગી. આટલા ઝળહળાટમાં લોકો તેને ઓળખી પણ ન શક્યા અને તેમને એવું લાગ્યું કે કદાચ સૂર્ય ભગવાન સ્વયં જ આવી રહ્યા છે.
તે લોકો કૃષ્ણ પાસે આવ્યા અને તેને આ વિશે માહિતી આપી કે- “હે યદુવંશીરોમણી ગોવિંદ..! તમને નમસ્કાર. જુઓ..! તેજસ્વી સૂર્યનારાયણ પોતાના ચમકતા કિરણો સાથે તમને મળવા માટે આવી રહ્યા છે. બધાં દેવો કદાચ ત્રિલોકમાં તમારી શોધ કરે છે; પરંતુ તેમને તમે ન મળ્યા, તો આજે સૂર્યનારાયણ સ્વયં, યદુવંશમાં છુપાયેલા એવા તમને જોવા માટે આવી રહ્યા છે.”
શ્રી કૃષ્ણ અજાણ્યા માણસોની વાત સાંભળીને હસવા લાગ્યા. તેમણે કહ્યું-” અરે, આ સૂર્યદેવ નથી, પણ સત્રાજિત છે, કે જે રત્નના તેજને કારણે ખૂબ ચમકી રહ્યો છે.”
આ પછી સત્રાજીત પોતાના સમૃદ્ધ મકાનમાં ગયો. તેના શુભાગમનની ખુશીમાં ઘરે મંગલ-ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. પછી તેણે બ્રાહ્મણો દ્વારા દેવમંદિરમાં એ મણિને સ્થાપિત કરાવ્યો. એ મણિ દરરોજ આઠ ભાર જેટલું સોનું આપતો હતો, અને તેને પ્રતાપે આસપાસના પરિસરમાં દુષ્કાળ, રોગચાળો, માનસિક અને શારીરિક વેદના કે અશુભ તત્વોનો ઉપદ્રવ વાસ કરી નહોતો શકતો.
એકવાર શ્રીકૃષ્ણે સ્વાભાવિક સ્વરમાં જ કહ્યું- “સત્રાજિત..! તમારે તમારો આ મણિ મથુરાના રાજા ઉગ્રસેનને ભેટ આપવો જોઈએ. આપ યાદવ છો અને ભલે દ્વારિકામાં રહો છો, પરંતુ મથુરા હજુય આપની પિતૃભૂમિ જ ગણાય. તો આ મણિ થકી મથુરાનો આર્થિક વિકાસ થાય એ જોવું, દરેક યાદવની જેમ તમારી પણ નૈતિકતા ગણાય.”
પરંતુ લોભ અને મોહ વશ સત્રાજિત આ માટે રાજી ન થયો.
પછી એક દિવસ સત્રાજિતનો ભાઈ પ્રસન્નજીત તે ગૌરવશાળી રત્નને તેની ગળામાં પહેરીને ઘોડા પર સવાર થઈ જંગલમાં શિ કાર કરવા ગયો. ત્યાં એક સિંહે પ્રસન્નજીત પર હુ મલો કરી તેને અને તેના ઘોડાનેમા રીનાખ્યા, ને પછી મણિ ઉંચકીને કોઈ પર્વતની ગુફામાં પ્રવેશ કરી રહ્યો હતો, કે ત્યારે તે ગુફામાં નિવાસ કરતા ઋક્ષરાજ જાંબવાને તે સિંહનેહ ણી નાખ્યો, ને પેલા અત્યંત આકર્ષક મણિને લઈને ગુફામાં પોતાના બાળકને રમવા માટે આપી દીધો.
સત્રાજીત, તેનો ભાઈ પ્રસન્ન પરત ના ફરવાથી ખૂબ દુ:ખી હતો. તેને લાગ્યું કે કૃષ્ણએ કહ્યા મુજબ ઉગ્રસેનને મણિ ન આપવાને કારણે કૃષ્ણે જ તેનોવ ધકરી મણિ છીનવી લીધો છે.
એટલે તેણે ચોતરફ કહેવાનું શરૂ કર્યું- “શ્રીકૃષ્ણએ મારા ભાઈને મા રીનાખ્યો તે સંભવ છે; કારણ કે તે ગળામાં રત્ન લઈને જંગલમાં ગયો હતો.”
સત્રાજિતનું આ નિવેદન સાંભળીને લોકોએ એકબીજાથી બડબડાટ શરૂ કર્યો. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે સાંભળ્યું કે આ કલંક તેમના માથા પર લગાવવામાં આવ્યું છે, એટલે તેને ધોવાના હેતુથી શહેરના કેટલાક શિષ્ટ માણસો સાથે તેઓ જંગલમાં ગયા.
પ્રસન્નને શોધવા માટે ત્યાં તલાશી લેતા લોકોએ જોયું કે જંગલમાં કોઈ એક સિંહે પ્રસન્ન અને તેના ઘોડાનો જી વલીધો હતો. જ્યારે તેઓ સિંહના પગલાની નિશાનીઓ જોઈને આગળ વધ્યા, ત્યારે તેઓએ જોયું કે પર્વત પરના એક રીંછએ પેલાં સિંહને પણ મા રીના ખ્યો હતો.
કૃષ્ણે બધા લોકોને બહાર બેસાડીને પોતે એકલાએ જ અંધકારથી ભરેલી ૠક્ષરાજની ભીષણ ગુફામાં પ્રવેશ કર્યો. કૃષ્ણ ત્યાં અંદર ગયા અને જોયું કે સ્યામંતક મણિ તો, બાળક માટે એક રમકડું જ બનાવવામાં આવ્યો છે.
અજાણ્યા લોકોને ગુફામાં ભાળી બાળકની ધાઈ ભયથી ચિત્કારી ઉઠી. તેની ચીસો સાંભળીને અંદરથી ઋક્ષરાજ જાંબવાન દોડી આવ્યા. જાંબવાન તે સમયે ગુસ્સાના ચૂર હતા, તેથી કૃષ્ણને એક સામાન્ય માણસ માની, તેમની સાથે લડવાનું શરૂ કર્યું.
એકબીજા વચ્ચે ભીષણ યુ ધખૂબ ચાલ્યું અંતે જાંબવાન થાક્યા. એનું અભિમાન ઓસરવા લાગ્યું. તેઓ રામભક્ત હોવાથી તેણે આખરે શ્રીરામને સમર્યા. ત્યારે કૃષ્ણ પોતે જ રામ-સ્વરૂપે પ્રગટ થયા. એટલે જાંબવાનને જ્ઞાન થયું, બ્રહ્મજ્ઞાન થયું અને કૃષ્ણને વંદન કર્યા.
કૃષ્ણે કહ્યું, “ઋક્ષરાજ! અમે મણી માટે જ આ ગુફામાં આવ્યા છીએ. આ રત્નથી, હું મારા પરના ખોટા કલંકને દૂર કરવા માંગું છું”
આ સાંભળી, જાંબવાને એ મણિ કૃષ્ણ ચરણમાં અર્પણ કર્યો અને ઉપરાંત પોતાની પુત્રી કુમારી જાંબવતી સાથે લગ્ન પણ કરી લેવા વિનંતી કરી. પણ આ બધી લ ડાઈમાં ઘણો સમય વ્યતીત થઈ ગયો.
કૃષ્ણ જેમને ગુફાની બહાર મૂકી આવેલ, તે લોકો બહાર રાહ જોતા હતા. પરંતુ જ્યારે તેઓએ જોયું કે કૃષ્ણ હજી ગુફામાંથી બહાર આવ્યા નથી, તો તેઓ ખૂબ ઉદાસીભર્યા દ્વારકા પાછા ગયા.
ત્યાં, જ્યારે માતા દેવકી, રુક્મણી, વસુદેવ અને અન્ય સબંધીઓને ખબર પડી કે કૃષ્ણ ગુફામાંથી બહાર નથી આવ્યા, ત્યારે તેઓએ ભારે શોક વ્યક્ત કર્યો.
બધા દ્વારકા રહેવાસીઓ ખૂબ જ દુ:ખી હતા. માટે તેઓ સત્રાજિતને સારુંનરસું કહેવા લાગ્યા. કૃષ્ણ માટે પ્રાર્થના કરવા તેઓ મહામાયા દુર્ગાદેવીના આશ્રયમાં ગયા અને તેમની પૂજા શરૂ કરી. માદુર્ગાદેવી તેમની પૂજાથી પ્રસન્ન થઈ અને તેમને આશીર્વાદ આપ્યા. તે જ સમયે, મણિ અને નવવિવાહિતા જાંબવતી સાથે, કૃષ્ણના દર્શન થયા.
ઉગ્રસેનની સભામાં પછી સત્રાજિતને બોલાવી એ મણિ તેને પાછો સોંપાયો ત્યારે પોતાના પર લાગેલા ચોરીનો આળ ભૂંસવા આ બધો પ્રકાર કરવો પડ્યો એવું કૃષ્ણે કહી સર્વે બીનાઓથી એને અવગત કર્યો.
આ સઘળું સાંભળીને એ ખૂબ જ લજ્જિત થયો અને મણિ મથુરા-નરેશ ઉગ્રસેનને આપવા ઈચ્છા બતાવી પણ કૃષ્ણે કહ્યું- “આ મણિ તમારા અને સૂર્યદેવની મિત્રતાની નિશાની છે તો જાતે જ રાખી લો.”
પણ એ ન માન્યો ત્યારે કૃષ્ણે વચલો રસ્તો બતાવ્યો કે- “મણિ થકી રોજ ઉત્પન્ન થતું સુવર્ણ રાજા ઉગ્રસેનને આપી દેવું, જે મથુરાના રાજ્ય-કારભારમાં ત્યાંની પ્રજા માટે વાપરી શકાશે.”
શ્રીહરિ વિષ્ણુ બોલ્યા- “હે મહાદેવી, તો આ હતી બીજી પટરાણી પરણી લાવવાની વિગતવાર વાત. જાબવંત, આ એક જ જીવ છે જે દ્વાપર યુગથી માંડી ત્રેતાયુગમાં પણ દેખા દે છે. એકપત્ની-વ્રત ને કારણે રામ-સ્વરૂપે એની પુત્રી સાથે લગ્ન કરવાનું શક્ય નહોતું એટલે એ પછીના જ આ અવતારમાં એ વચન પૂરું કરવું શક્ય બન્યું.”
ત્યારે સસ્મિત મહાદેવી બોલ્યા, “આ એક લગ્ન માટે, આપેલું કોઈ જૂનું વચન જવાબદાર હતું, પણ બીજી પટરાણીઓને પરણવા માટે તો કોઈ એવું વચન નહોતું જ ને?”
શ્રીવિષ્ણુ વાતનો મર્મ સમજી મુસ્કાયા, ને બોલ્યા- “વચન સિવાયના બીજા અન્ય પરિબળોને પણ ધ્યાનમાં લેવા જ પડે છે, અને એ વાતથી આપ અવગત અને સહમત તો છો જ ને.”
“અલબત્ત પ્રભુ, સંપૂર્ણ સહમતી છે. અને એટલે જ તો એકસાથે બબ્બે રાણીઓ સાથેના આપના લગ્નને હૃદયપૂર્વક વધાવી લીધા હતા. મારા સ્મરણમાં હજુ પણ છે જ, કે એ જાંબવંતીના પગલે પગલે જ ત્રીજી પટરાણીના પગલાં દ્વારકામહેલમાં થયા હતા.” –શ્રીદેવી લક્ષ્મીજી મર્માળુ હસ્યા.
મહાલક્ષ્મીના સ્વરમાં બિલકુલ અભાવ કે કટાક્ષ ન હોવા છતાં ઉપરોક્ત વચને શ્રીહરિ સાવધ બન્યા.
“હા દેવી, જાંબવંતી ઉપરાંત ત્યારે એ જ ગાળામાં સત્યભામા સાથે લગ્નગ્રંથિએ જોડાઈને ત્રીજી પટરાણી મહેલમાં આણી હતી. પણ તે પાછળ પણ રાજકીય અને આર્થિક ગણતરીનું પરિબળ તો હતું જ ને..! એટલે જ તો કહ્યું ને, કે આપેલ વચન નિભાવવું એ જાંબવંતી સાથે લગ્નમાં પરિણમ્યુ, તો સત્યભામા સાથેના લગ્ન પાછળ બીજા પરિબળ કામ કરી ગયા.”
“હા પ્રભુ, કૃષ્ણ તરીકેનો આ અષ્ટમ અવતાર પૂર્ણતઃ મુત્સદીભર્યો જ હતો એ મને વિદિત છે.”
“કદાચ હજુય આપના મનમાં કોઈ શંકા હશે જ. તો તેના નિવારણ હેતુસર કૃપયા સત્યભામા સાથે લગ્ન બાબતે આ સવિસ્તાર સાંભળો..”
સત્રાજિતને તેમનો સ્યામંતક મણિ જ્યારે કૃષ્ણે પાછો આપ્યો, ત્યારે એણે એ મણિ પુનઃ કૃષ્ણને ભેટ આપવા ઇચ્છયો.
પણ કૃષ્ણે કહ્યું- “જે મણિની ચોરીનો આળ લાગ્યો હોય એ સ્વયં જ રાખી લેવો નીતિશાસ્ત્રની વિરુદ્ધ ગણાય. વળી પ્રજામાં આનો અવળો સંદેશ જાય. માટે એ મણિ આપ જ રાખો. મારા માટે તો એ આળ પણ શુભ સાબિત થયું કે એના થકી જ તો મારો મેળાપ મારા મિત્ર જાંબવંત સાથે થઈ શક્યો. જોકે આ પહેલાં મેં એ મણિ રાજા ઉગ્રસેનને આપવા સલાહ કરી હતી, પરંતુ ખરું પૂછો તો મણિ આપે જ રાખવો જોઈએ કારણ આપની અને સૂર્યદેવની મૈત્રીનું એ ચિન્હ છે. પણ રોજના આઠ ભાર સોનુ જે આ મણિ નિર્માણ કરે છે, એ આપ ઉગ્રસેનને આપશો તો મારી કહેલ વાત પણ સચવાઈ જશે.”
આ સાંભળ્યા બાદ પણ સત્રાજિત સંતુષ્ટ ન જણાયો. હાથ જોડીને વિનમ્રભાવે એણે પોતાની વાત મૂકી-
“હે કૃષ્ણ, આપની જેમ જ હું પણ એક યાદવ જ છું. અને એ કારણે, આ મણિ અહીં જ રહે એવી મારી જેમ ઈચ્છા છે, એવી જ બીજી ઈચ્છા એ છે કે એનાં થકી પ્રાપ્ત થનારા લાભ પણ મથુરાને ન જતાં અહીં દ્વારિકામાં જ રહે. મણિ ન સ્વીકારવાનો આપનો સંકોચ યથાર્થ જ સમજુ છું, અને માટે જ એ સંકોચ નષ્ટ કરવાનો એક રસ્તો હું સૂચવવા ઈચ્છું છું.
જેમ જાંબવંતની વિનંતીને માન આપી તમે એની પુત્રીનું પાણિગ્રહણ કર્યું, એમ મારી પણ એવી જ વિનંતી છે. મારી પુત્રી સત્યભામા અત્યંત સ્વરૂપવાન અને ગુણવાન, તેમ જ શાલીન અને સુશીલ છે. વળી રણ ક્ષેત્રે તાલીમ પામેલી ખૂબ બહાદુર કુમારી છે. એને આપથી સુયોગ્ય પતિ બીજો કોઈ નહીં મળે. આપ એની સાથે લગ્ન-ગ્રંથિથી જોડાઓ એવી મારી ઈચ્છા છે, અને કરિયાવરમાં હું સ્યામંતક મણિ આપવા ઈચ્છું છું, જે રાખવા માટે આપને પછી કોઈ સંકોચ ન હોવો ઘટે. આપણે બન્ને એક જ કુળના હોવાથી આ શ્રેષ્ઠ સંબંધ બની રહેશે એવી મને ખાતરી છે.”
જવાબમાં કૃષ્ણ બસ, મંદ મંદ મુસ્કાયા.
“તો હે મહાદેવી લક્ષ્મી, હવે આપ સમજી શક્યા હશો સત્યભામા સાથેના કૃષ્ણ-વિવાહનો મર્મ. આ સંબંધ થકી તેના પિતાનો, આ મણિ દ્વારકામાં જ રહે એવો, આગ્રહ પણ પળાયો, તદુપરાંત દ્વારકા-નરેશ હોવાની રુએ આપણી એ નગરીનો ઉત્કર્ષ પણ મારે હૈયે હતો. મણિ દ્વારા રોજ ઉત્પન્ન થનાર દ્રવ્ય, દ્વારકાના વિકસાર્થે વપરાય, તો નગરીની અને નગરવાસીઓની પ્રગતિ અને ઉન્નતિ પણ થઈ શકે, ને એ માટે મણિ ત્યાં દ્વારિકામાં જ રહી રોજેરોજ લાભ કરાવતું રહે એ અનિવાર્ય હતું.
બસ, આવા જ આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખી દ્વારકા-નરેશે ફરી એક લગ્ન કરી લેવા એ દ્વારિકાનગરીના હિતાર્થે જ હતું. તો આ લગ્ન બદલ આપના મનમાં હવે કોઈ જ પ્રશ્ન નહીં હોય એવું મારું માનવું છે.”
“હા પ્રભુ, સત્યભામા સાથેના લગ્ન તો એક રાજા તરીકેના કર્તવ્યનો ભાગ ગણીને એને શુભ જ ગણું છું, પણ એ ત્રીજી પટરાણી સત્યભામાને કારણે જ તો ઘણીબધી રાણીઓનું એક મસમોટું ટોળું દ્વારકામાં આવ્યું, ને ત્યાંના રાણીવાસને જાણે કે એક નગર જ બનાવી મૂક્યું, એ પણ એક હકીકત જ છે ને..!”
“હે દેવી,” -શ્રીવિષ્ણુ ફરી મલકાયા- “એ બધાં લગ્નોને તો તમારે પ્રજાપાલનનું જ એક સ્વરૂપ સમજવું જોઈશે…આવો સમજાવું.”
(ક્રમશ:)
– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)