નાનકડી કથા-૧ : માતાનાં નામે હતી તે જગ્યા પોતાના નામે કરી લેવાની ઈચ્છાથી બન્ને ભાઈઓ માં પોતાના ઘરે રહે, તે બાબત ને લઈને ઝઘડવા લાગ્યા. તેઓએ માં ને પૂછ્યું તો માં એ કહ્યું, હું જે ત્રણ ગોળીઓ લઉં છું, તેના નામ જે બતાવી આપે, તેના ઘરે હું જઈશ. બન્ને ભાઈઓ નીચું જોઈ ગયા.
નાનકડી કથા-૨ : ભણવા માટે દૂર ગયેલા દિકરાએ માતાને પત્ર લખ્યો, કે અહિંયા મારાં જમવાની સારી સગવડ છે, તું ચિંતા કરીશ નહીં. પત્ર વાંચીને માં એ એક વખતનું ભોજન બંધ કર્યું, કેમ કે પત્રના અંતમાં પુત્રનાં આંસુથી શાહી રેળાયેલી હતી.
નાનકડી કથા-૩ : દાદા ની લાકડી પકડી ને દાદાને લઈ જતા પૌત્રને જોઈ લોકો બોલ્યા, જોજે, ધીમે ધીમે, દાદા પડી ન જાય. દાદા હસીને બોલ્યા, હું કંઈ પડતો હોય? મારી પાસે બે લાકડીઓ છે.
નાનકડી કથા-૪ : કેરીનાં ઝાડ પર ચઢીને કેરીને ચોરતા છોકરાં ના વાંસે રખેવાળે લાકડી મારી, અને તેને બીવડાવવા માટે થોડી વાર માટે ઝાડના થડ સાથે બાંધી પણ દીધો. કોણ જાણે કેમ એ ઝાડને ફરી કદીયે ફળ આવ્યા નહિં.
નાનકડી કથા-૫ : ઓફિસથી થાકેલા પિતાએ આવીને દાદીના પગ દબાવ્યા, તે જોઈને રાત્રે દિકરીએ પિતાજીની પીઠ પર માલીશ કર્યું. આ જોઈને દાદી બોલ્યા થાળીમાંથી વાટકીમાં, અને વાટકીમાંથી થાળીમાં.
નાનકડી કથા-૬ : પિતાજીના ગયા પછી સંપત્તિની વહેંચણી કર્યા બાદ ઘરડી માં ને પોતાના ઘરે લઈ જતી દિકરી બોલી, હું ખૂબ નસીબદાર છું, મારા ભાગે તો જીવન આવ્યું છે.
નાનકડી કથા-૭ : ગઈ કાલે મારો છોકરો મને કહે, પિતાજી હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં, કેમ કે તમે પણ કદી દાદા દાદી ને છોડીને ગયા નથી. આ સાંભળીને મને મારા વડીલોની મિલકત મળી ગયાનો આનંદ થયો.
નાનકડી કથા-૮ : તેના પતિના મિત્ર હોસ્પિટલમાં મળવા આવ્યા. જતા જતા પરાણે રૂપિયા ૫૦૦૦ તેના હાથમાં આપ્યા અને કહ્યું, લગ્નમાં બહેનને દક્ષિણા આપવાની રહી ગઈ હતી. તે દિવસે મળેલી બધી ભેટોમાં આ શ્રેષ્ઠ ભેટ હતી.
નાનકડી કથા-૯ : આજે ઓફિસેથી છૂટી ને ભેળ ખાવાની બહુ ઈચ્છા હતી, પણ સાસુજીને મંદિર જવાનું મોડું થાય, તેથી ઘરે જલ્દી પહોંચી ગઈ. જઈને જેવી રસોડામાં ગઈ, તો સાસુજીએ કહ્યું, ચાલ જલ્દી, હાથ પગ ધોઈ લે, કેરી નાખીને ભેળ બનાવી છે. ઘણાં દિવસથી મને ખાવાનું મન હતું.
નાનકડી કથા-૧૦ : સાંજના સમયે સુમતીબેન માળા ફેરવતા હતા, ત્યાં છોકરો નોકરીએ થી ઘરે આવ્યો, તેની સાથે મોગરાના ફૂલ ની સુગંધ આવી. તેને થયું આજે વહુ મોગરાનો ગજરો હમણાં માથાંમાં નાખી ને આવશે. પણ ત્યાં તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાન માટે થાળીમાં મોગરાના ફૂલ હતાં. ભગવાન પણ ગાલમાં હસતાં હતાં.
હકારાત્મક વિચારો. અત્યારના સમયમાં નકારાત્મક વિચારો એટલા ફેલાય છે કે લોકોને સારાં પણા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. આવાં સમયે આવી હકારાત્મક કથાઓ વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવી જોઈએ. તમને પણ ગમી હોય, તો આગળ ધપાવશો.
– સાભાર અનિલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ)