સુરત પ્રાચીન સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારનું હબ રહ્યું છે. અને જેની નિશાની આપતા અનેક પુરાવાઓ આજે પણ સુરત શહેરમાં ક્યાંક સચવાયેલ છે, તો ક્યાંક બિન સચવાયેલ સ્થાનમાં રહેલા છે. એવા જ કેટલાક સ્મારકો વિશેનું પ્રાથમિક પરિચય આ પ્રકરણમાં મેળવીશું.
સુરતમાં અંગ્રેજો, વલંદા અને ફિરંગીઓના વસવાટને લઈને તેમના ચર્ચ બન્યા હતા. અને તેમની વહીવટી કોઠીઓ તેમજ કબ્રસ્તાન પણ હતા. આ પૈકીના ઘણા સ્મારકો નાશ પામ્યા છે. સુરતમાં કતારગામ દરવાજાની અંદરની ભાગે જમણી તરફ વલંદાઓના કબ્રસ્તાન નજીક આરમેનિયાનોનું કબ્રસ્તાન આવેલું છે.
અંગ્રેજોની ઉપરોક્ત કબરોની સરખામણીએ વલંદાઓની અને આરમેનિયાનોની કબરો વધુ સુંદર છે. આ આરમેનિયમ કબરો પરના લેખના પથ્થરો હાલમાં સ્થાનિક સંગ્રહસ્થાનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે સ્થાન ઉપર પણ ઘણા લેખો ખંડેર હાલતમાં આવનાર લોકોના પગ નીચે દબાઈ રહ્યા છે. આ કબરોમાં ભારતીય શૈલીનું કોતરકામ નજરે પડે છે.
સુરત ખાતે વલંદાઓ એ પોતાનું ચર્ચ ઇ.સ.૧૭૭૭ માં બંધાવ્યું હોવાનું મનાય છે. હાલે ના ખંડેર પૈકીનો એક ભાગ જળવાઇ રહેલો જોવામાં આવે છે. બ્રિટિશ કાળ દરમિયાન ગુજરાતમાં બંધાયેલા પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના દેવળોમાં સૌથી જૂનું દેવળ ઇ.સ. ૧૮૨૫ ની સાલનું છે. સુરતનો ક્રાઇસ્ટ ચર્ચ નામનું દેવળ ઇ.સ.૧૮૨૫ ની સાલ માં બંધાયેલ છે, જેની પ્રતિષ્ઠા બિશપ હેબરે કરી હતી. આ દેવળનું બાંધકામ જ્યોર્જિયન શૈલીને અનુસરે છે.
સુરતમાં મુગલસરાય વિસ્તારમાં આવેલું દેવળ લંડન મિશન સોસાયટીએ ઇ.સ. ૧૮૪૦ માં બંધાવ્યું હતું. સુરતમાં વલંદાઓ ની કબરો પૈકી બેરનવેલ રીદની કબર અંગ્રેજોની કબરો કરતાં ચડિયાતી જણાય છે. આ ઈમારતના ઉપરના ભાગમાં વીથિકા અને નીચેના ભાગમાં રવેશ કાઢેલ છે. એના થાંભલાઓ પર ફૂલવેલ મનોહર રૂપાંકન કરેલા છે. મકાનની નકશીકામ વડે સરસ રીતે સજાવેલું જોઈ શકાય છે.
સુરતની ઉત્તર સીમાએ કતારગામના દરવાજા બહાર અંગ્રેજોનું કબ્રસ્તાન આવેલું છે. એમાં મુખ્ય કબર ઇ.સ.૧૬૬૯ માં દુનિયા છોડી ગયેલા તે વખતના અંગ્રેજ કોટિના પ્રમુખ ઓકસન દનની છે. કબ્રસ્તાનની ઈમારતોના ઓટલાની ઉંડણી થાંભલીઓ અને કુંડીઓમાં ભારતીય શૈલીનું કોતરકામ જોવામાં આવે છે, જ્યારે ગોખલાઓ, કમાનો અને અન્ય જગ્યા ઉપરના કોતર કામમાં મુખ્યત્વે મુસ્લિમ અને પોર્ટુગીઝ શૈલી અપનાવાઇ છે. આ કબ્રસ્તાનમાં નાના-મોટા મિનારાવાળી લગભગ ૧૪ જેટલી કબરો છે એ ઉપરાંત ૮૦ જેટલી સાદી કબરો પણ છે.
૧૬૧૬ માં સુરત આવેલા વલંદાઓએ પણ અંગ્રેજો જેવી ભવ્ય કોઠી સ્થાપી હતી. આ કોઠી ‘વલંદા બંદર’ નામે ઓળખાતી. એ તાપી નદીના કિનારે શહેરપનાહ અને આલમપનાહ વચ્ચે આવેલી હતી. આજે એ જગ્યા નાનપુરા વિસ્તારમાં આવેલી છે.
મુગલીસરા ઉકળજીની ની ધર્મશાળા ની સામે આવેલી ઇમારત પોર્ટુગીઝીની કોઠી તરીકે ઓળખાય છે. મકાન ઉપરની તકતીમાં ૧૭ મી અને ૧૮ મી સદીમાં પોર્ટુગીઝોએ આ મકાનનો ઉપયોગ કોઠી તરીકે કર્યાનો ઉલ્લેખ છે. જોકે હાલમાં આ મકાન નામશેષ અવસ્થામાં છે.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં સુબેદાર તરફથી આ મકાન બાંધવા ૧૬૧૨ માં પરવાનગી આપવામાં આવી હતી. કાળક્રમે તેમાં સુધારા-વધારા થતા રહ્યા. સુરત ખાતેની આ કોઠી અંગ્રેજોની ભારતમાંની કોઠી માં સૌથી મોટી ગણાતી. ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, આગ્રા વગેરે સ્થળોની અંગ્રેજ કોઠીઓ સુરતની કોઠીને તાબે રહીને કામ કરતી હતી. ૧૮મી સદીમાં અંગ્રેજોની હકુમતનું મુખ્ય સ્થાન મુંબઇ લઇ જવાયું, એટલે આ મકાનની જાહો જલાલી ઓછી થતી ગઈ. આ કોઠીનું મકાન તોડી પાડવામાં આવ્યું હોવાથી હવે એના અવશેષ જોવામાં આવતા નથી.
લેખક – કપિલ ઠાકર, ઋતુલકુમાર સુતરિયા
અતુલ્ય વારસો
(સાભાર અનિલ પઢીયાર, અમર કથાઓ ગ્રુપ)