પહેલા આપણા રાજાઓ હંમેશા સૂર્ય પૂજા કરતા, પરતું તેઓ કેમ સૂર્ય પૂજા કરતા હતા? તેઓ કેમ સૂર્ય ઉપાસક હતા? એના માટે પહેલા ગ્રહ મંડળ સમજવું પડશે.
આપણા શાસ્ત્રો કહે છે કે, આખુંય બ્રહ્માંડ આપણા શરીર મા સમાયેલું છે. પહેલા ઋષિ મુનિયો ને કઈ પણ જોવું જાણવું હોય તો દિવ્યદ્રષ્ટિ થી પોતાની અંદર જોઈ લેતા અને એમને બધી જ ખબર પડી જતી.
આપણા બ્રહ્માંડ મા નવ ગ્રહો છે. એમા સૂર્ય એટલે આપણે પોતે. આપણો આત્મા એને સૂર્ય કહેવાય. મતલબ આપણે આપણી પોતાની જ પૂજા કરતા હતા. આપણે પોતાના આત્મબળ ઉપર જીવવા વાળા હતા.
નવ ગ્રહો એ જ દર્શાવે છે.
સૂર્ય એટલે આત્મા.
ચંદ્ર એટલે આપણું મન.
મંગળ એટલે આપણી લડવાની શક્તિ.
બુધ આપણને બુદ્ધિ પ્રદાન કરે છે.
ગુરુ એટલે આપણું જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન.
શુક્ર એટલે આપણી સુખ, સાહ્યબી, મોજ શોખ.
શનિ એટલે આપણું કર્મ, નોકર ચાકર.
રાહુ એટલે આપણી કુટ નીતી.
કેતુ મોક્ષ પ્રદાન કરે છે.
ધ્યાન થી જોશો તો આ એક રાજા નું મંત્રીમંડલ છે.
સૂર્ય એટલે રાજા પોતે.
ચંદ્ર એટલે એનું મન.
બુધ એટલે રાજાનો બુદ્ધિમાન મંત્રી.
ગુરુ એટલે રાજાનો આધ્યાત્મિક ગુરુ આચાર્ય.
શુક્ર એટલે રાજાની રાજ નર્તકીઓ તથા રાજાની બીજી મોજ શોખની વસ્તુઓ.
શનિ એટલે રાજાના નોકર ચાકર એના સેવકો.
મંગલ એટલે રાજાનો લડાયક સેના પતિ.
રાહુ એટલે રાજાનો કુટ નીતિજ્ઞ .
બ્રહ્માંડનું નવ ગ્રહોનું મંત્રી મંડળ એ જ રાજાનું પોતાનું મંત્રી મંડળ.
બ્રહ્માંડના નવે ગ્રહોને ઉર્જા તથા પ્રકાશ કોણ પુરો પાડે?
સૂર્ય, મતલબ જેનામાં આત્મબળ વધારે હોય એ જ રાજા બની શકે. જેનામાં આત્મબળ હોય એના કહ્યામાં બધા રે. એની પાસે જ સારો વહીવટ ચલાવવાની શક્તિ હોય. અને આ આત્મબળ વધારવા માટે જ આપણે સૂર્યની પૂજા કરતા હતા.
સૂર્યને ક્યારેય કોઈની જરૂર પડતી નથી. એમ એક રાજાને ક્યારેય કોઈની જરૂર પડતી નથી. પણ એના માટે રાજાએ પોતાનું આત્મબળ ટકાવી રાખવુ જરૂરી છે.
બધા ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે સૂર્ય જોડેથી ઉર્જા મેળવવા. પણ સૂર્ય કોઈની પ્રદક્ષિણા નથી કરતો. એ જ રીતે રાજાનું આખું મંત્રીમંડલ રાજાની આસપાસ વીંટલાયેલું રહે છે, રાજા ને કોઈની જરૂર પડતી નથી.
અને એ માટે આપણે ક્ષત્રિયો હંમેશા સૂર્યની પૂજા કરતા હતા. પરંતુ ખીલજી જેવા કેટલાક આક્રમણ કારીઓએ આપણા બધા મંદિર નો નાશ કર્યો. હાલમાં આપણું એક સૂર્ય મંદિર મોઢેરામાં છે જે ખંડિત છે પણ ત્યાં પૂજા થતી નથી, પરંતુ ફક્ત લોકોને બતાડવા માટે રાખેલું છે.
અંદર ચમાચીડિયા ઉડતા હોય છે. જે સૂર્યદેવતાનું અપમાન દર્શાવે છે. આપણા રાજા ભીમદેવ સોલંકીએ આ મંદિર સૂર્યની પૂજા કરવા બનાવ્યું હતું. નહીં કે સરકાર એની ખંડેર જેવી સ્થિતિમાં પ્રદર્શન કરે એના માટે.
સૂર્ય પૂજાનો ખાલી એક જ દોષ છે કે આત્મબળ વધતાની સાથે અહંકાર આવી જાય છે અને અહંકારીનું પતન થાય છે. આત્મવિશ્વાસનું સ્થાન અહંકાર ના લે એ ખૂબ જરૂરી છે. એનું સૌથી મોટું ઉદાહરણ છે હનુમાનજી. જેમના ગુરુ ખુદ સૂર્ય પોતે હતા. ખૂબ આત્મવિશ્વાસ હતો પણ અહંકાર જરાય નહીં. જેથી કોઈ એમનું કશું બગડી શક્યું નથી આજ સુધી.
સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ.
ભલે ઊગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા,
મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…!
કાશપ જેહડો ન કોય જેને દણીઅણ જેહડા દિકરા,
લખદળ ભાંગે લોય ઉગાનુ આળસ નહીં
ચળુ ન પડે ચુક કમણે કાશપરાઉત…!
તેજ પંજર તિમ્મર ટળણ ભયા કાશપકુળ ભાણ,
અમલા વેળા આપને રંગ હો સુરજરાણ…!
સામસામા ભડ આફડે ભાંગે કે તારા ભ્રમ્મ,
તણ વેળા કાશપતણા તમે સૂરજ રાખો શરમ્મ…!
તું ઉગા ટળીયા તમ્મર ગૌ છુટા ગાળા,
તસગર ભે ટાણા દન કર કાશપદેવાઉત…!
અળ પર ઉગતા અરક ઓસડ તું અંધાર,
થે ઝાલર ઝણકાર દીઓળે કાશપદેવાઉત…!
સવારે ઉઠે કરે કરે સૂરજની આશ,
એને ગોરસ રસ ને ગ્રાસ દેશે કાશપરાઉત…!
સૂરજથી ધન સાંપડે સૂરજથી ધણ્ય હોય,
સુરજ કેરે સમરણે દોખી ન લંજે કોય…!
સૂરજ ને શેષનાગ બેય ત્રોવડ કે’વાય,
એકે ધરતી સર ધરી એકે ઉગ્યે વાણુ વાય…!
કે’દાદર કે’ડાકલા કે પુંજે પાખાણ,
રાત ન ભાંગે રાણ કમણે કાશપરાઉત…!
સૂરજ પ્રત્યક્ષ દેવ હે નર વંદે પાખાણ,
ઇસર કે ઉમૈયા સુણો એતાં લોક અજાણ…!
સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડની સંસ્કૃતિની મઝા એ છે, સૂર્યનારાયણનો ઉદય થાય. ભગવાન ભાસ્કર છે એ આદિત્ય પોતાના રથના ઘોડાને આભમાં વ્હેતા મુકે અને તેજપુંઝના પડદાનો પૃથ્વીની માથે ઘા કરે અને ઝળળળળળળળળ કરીને આખી પચાસ કરોડ પૃથ્વી છે ઈ ઝળાહળા થઈ જાય, તે દિ કોઈએ ગાયત્રીની વંદના કરી, કોઈએ સૂર્યની વંદના કરી,
॥ૐ ભાસ્કરાયવિતમહે મહદ્ જુત્તકરાય્ ધિમહી ધિયો યોનઃ પ્રચોદયાત્ ॥
કોઈએ એમ કિધુ,
॥ યમ્ મંડલમ્ બ્રહ્મોવિદો વદંતિકાયન્તિ યસ્ ચારણસિદ્ધ સંગા પુનાતુમ્ તત્સવિતુર્વરેણ્ યમ્ ॥
ભગવાન સૂરજનારાયણ ઉગે તેજપુંઝના પડદાનો ધરતીની માથે ઘા કરે. કોઈએ આયુષ્ય માંગુ, કોઈએ ધન માંગુ, કોઈએ સંતતિ માંગી, કોઈએ સંપતિ માંગી… પણ આ દેશના શુરવીર મહાપુરુષો એવા જન્મ્યા, એણે સૂરજનારાયણના ઓવારણા લઈને એમ કિધુ કે, “એયયય, સૂરજનારાયણ સંપતિ નથી જોતી, સત્તા નથી જોતી, આયુષ્ય નથી જોતુ, પણ આ જગતના ચોકમાં જેટલા દિવસ અમારા આયુષ્યના લખાણા હોય, એટલા દિવસ, એયય સૂરજનારાયણ તને મારી ભલામણ ઈ છે કે અમારી લાજને, અમારી આબરૂને જગતના ચોકમાં ન જાવા દેતો, એયય સૂરજનારાયણ ! જગતના ચોકમાં અમારી આબરૂ નિલામ નો થાય.”
॥ લજ રખ તો જીવ રખ, લજ વિણ જીવ મ રખ, છાયા માંગુ એતરો રખ, તો દોનોય ભેરાં રખ. ॥
હે પરમાત્મા ! હે ભગવતી! હે નવલાખ લોબળીયાળી ! મારા જેટલા શ્વાસો લખાયેલા હોય એમાં મારી લાજ જો રહેતી હોય તો જ મારા પંડમાં પ્રાણને રાખજે. લાજ અને જીવતર બેય ભેળા હોય તો જીવવાની મઝા આવે.”
આપણો ક્ષત્રિય સમાજ ફરીથી આત્મવિશ્વાસ તથા આત્મબળ થી ભરપૂર બની ફરીથી ઉત્થાન પામે એવી આશા સાથે જય માતાજી.. કોઈપણ ભૂલ હોય તો જણાવવા વિનંતી.
જય સૂર્યદેવ.
– સાભાર એમડી પરમાર (અમર કથાઓ ગ્રુપ)