મલ્હાર રાગ ગાઈને તાનસેનના શરીરનો અગનદાહ શાંત કર્યો હતો વડનગરની તાના-રીરીએ, જાણો બે બહેનોની સ્ટોરી.

0
1812

જયારે પણ વડનગરનું નામ આવે છે ત્યારે નરસિંહ મહેતા, કુંવરબાઈ, પુત્રી શર્મિષ્ઠા અને પૌત્રીઓ તાના-રીરીની યાદ આવે છે. તેમની યાદ આવતાં જ આપણું મન થનગની ઊઠે છે, ડોલી ઊઠે છે. તેમના કર્મોને લીધે આપણે ધન્યતા અનુભવીએ છીએ.

આજે આપણે તાના અને રીરી વિષે થોડી વાતો જાણીશું. તેમના વિષે આમ તો જુદી જુદી માહિતી જાણવા મળે છે. ભકત કવિ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઇએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગરમાં પરણાવી હતી. શર્મિષ્ઠાને બે દિકરી હતી તાના અને રીરી. તાના-રીરીએ સંગીતની આકરી સાધના કરીને રાગ-રાગિણીઓને આત્મસાત કર્યા હતા.

આ બંને બહેનો ભૈરવ, વસંત, દિપક, અને મલ્હાર જેવા રાગોને એકદમ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી હતી. એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં નવ રત્નો હતા. એ નવ રત્નોમાં એક હતા તાનસેન. એ તો બધા જાણે છે કે, તાનસેન સંગીતના પ્રખર જ્ઞાની હતા, પણ તાના-રીરી જેટલા નહી. એક વખત અકબર બાદશાહે તાનસેનને દિપક રાગ ગાઇને દિવડાઓ સળગાવવાનું કહ્યું.

તાનસેન જાણતાં હતા કે દિપક રાગ ગાવાથી દિવડાઓ સળગી ઉઠે, પણ એ સાથે એ રાગ ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડે છે. શરીરમાં ઉપડેલો એ દાહને શાંત કરવાનો એક જ ઉપાય હતો, મલ્હાર રાગ ગાઇને વરસાદ વરસાવવો. અને તાનસેન મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતા ન હતા એટલે પહેલા તો તેમણે અકબર બાદશાહને દિપક રાગ ગાવાની સવિનય ના પાડી દીધી. પણ અકબર બાદશાહે જીદ્દ કરી એટલે એમણે દિપક રાગ ગાયો અને એ રાગ થકી દિવડાઓ પ્રગટી ઉઠયા. તેની સાથે જ તાનસેનના શરીરમાં પણ અગન ઉપડયો.

પછી તો તાનસેન પોતાના શરીરમાં ઉપડેલા એ અગનઝાળને શાંત કરવા ચોક્કસાઇપૂર્વક મલ્હાર રાગ ગાઇ શકે તેવી વ્યકિતની શોધમાં નીકળ્યા. યોગ્ય વ્યકિતની શોધ કરતાં-કરતાં તાનસેન વડનગર પહોંચ્યા અને રાત થઇ હોવાથી શર્મિષ્ઠા તળાવે મુકામ કર્યો.

વહેલી સવારે ગામની બધી બહેનો શર્મિષ્ઠા તળાવમાં પાણી ભરવા માટે આવવા લાગી. ત્યારે તાના-રીરી પણ આવી. રીરીએ પાણીનો એક ઘડો ભર્યો જયારે તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી ઘડાનું પાણી તળાવમાં પાછું ઠાલવતી હતી. આ જોઈ કુતુહલવશ રીરીએ તાનાને પુછયું – તાના બહેન આ તું શું કરે છે?

તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો – રીરી, હું ઘડામાં પાણી ભરૂં છું ત્યારે પાણી ભરવાનો અવાજ આવે છે, એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ત્યારે જ હું ઘડો પાણીથી ભરીને ઘરે લઇ જઇશ. તાનાએ અલગ-અલગ રીતે ઘડામાં પાણી ભર્યુ અને જયારે મલ્હાર રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઇ અને ઘડો માથા ઉપર મુકયો. શર્મિષ્ઠા તળાવના કિનારે તાનસેન એ બન્ને બહેનોને નિહાળી રહ્યા હતા. તાનાની વાત સાંભળીને તેને હાશકારો થયો કે, હું જે વ્યકિતની શોધમાં છું એ તો આ બે બહેનો જ છે.

જે વ્યકિત પાણી ભરવાના અવાજને મલ્હાર રાગની સાથે સરખામણી કરી શકે તે મલ્હાર રાગ તો ચોક્કસાઇપૂર્વક ગાઇ જ શકે. તાનસેન આમ વિચારતો એ બન્ને બહેનો પાસે ગયો અને પોતે એક બ્રાહ્મણ છે એવી ઓળખાણ આપી. તાનસેને પોતાના શરીરમાં લાગેલી અગનદાહ વિશે વાત કરી. અને એ અગનદાહને શાંત કરવા એ બન્ને બહેનોને મલ્હાર રાગ ગાવાની વાત કરી.

પછી તાના-રીરીએ પોતાના પિતાની સંમતિ લઇને તળાવ પાસે આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરમાં મલ્હાર રાગ ગાવાની શરૂઆત કરી. તાનપુરાના તાર ઉપર નાજુક કોમળ આંગળીઓ રમવા લાગી. તાના-રીરીએ મેઘ મલ્હાર છેડયો અને થોડી જ વારમાં મેઘ વરસી પડયો. તાનસેનના તન અને મનનો અગનદાહ શાંત પડયો.

તાનસેને બન્ને બહેનોનો આભાર માન્યો. પણ તાના-રીરીએ તાનસેન પાસેથી આ બાબતની વાત કોઇને ન કરવાનું વચન લીધું. થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયો, ત્યારે તેના અગનદાહને શાંત પડેલો જોઇને અકબરે તેને પુછયું, ‘તાનસેન તમે તો કહેતા હતા ને કે તમારા શરીરનો અગનદાહ શાંત પડી શકે તેમ નથી, તો આ ચમત્કાર કેમ થયો?’

વચનથી બંધાયેલા તાનસેને અકબર બાદશાહને ખોટી વાત કરી. બાદશાહને સંતોષ થયો નહી એટલે એમણે તાનસેનને આકરા દંડની સજાની બીક બતાવી. તેનાથી ગભરાય ગયેલા તાનસેને સાચી વાત જણાવી દીધી. તાનસેનની વાત સાંભળીને અકબરે તાના-રીરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો.

સેનાપતિઓ તાના-રીરીને દિલ્હી લાવવા માટે વડનગર આવ્યા. સેનાપતિઓએ બાદશાહની ઇચ્છા જણાવી પણ તાના-રીરીને કશું અઘટિત લાગતાં દિલ્હી આવવાની ના પાડી. આથી સેનાપતિઓ તાના-રીરીને દિલ્હી લઇ જવા દબાણ કરવા લાગ્યા. બન્ને બહેનોએ મનોમંથન કરી આત્મબલિદાનનો માર્ગ અપનાવ્યો. તાના-રીરીએ લશ્કરથી બચવા અગ્નિસ્નાન કર્યુ. વડનગરમાં આજે પણ તેમની સમાધિ સ્મારક રૂપે છે.

જણાવી દઈએ કે, વડનગરમાં તાના-રીરીના સન્માનમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમની યાદમાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી સંગીત મહોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે.

– તુષાર પ્રજાપતિની પોસ્ટનું સંપાદન.