ભાગવત રહસ્ય 484-485: કામસુખ ભોગવવાની ઈચ્છા મોટામાં મોટું દુઃખ કેમ છે? દત્તાત્રેયની કથામાંથી શીખો

0
547

ભાગવત રહસ્ય – ૪૮૪ – ૪૮૫

આગળના ભાગમાં આપણે દત્તાત્રેયે યદુરાજાને પોતાના ૧૨ ગુરુઓ વિશે જે કહ્યું તે જાણ્યું. આવો અને તેમના બીજા ગુરુઓ વિશે પણ જાણીએ.

દત્તાત્રેય તેમના ગુરુઓ વિષે આગળ કહે છે કે –

(૧૩) હાથી પાસેથી સ્પર્શ-સુખ (વિષય)ની લાલચથી પોતાનો કેવી રીતે નાશ થાય છે તેનો બોધ. હાથીને પકડનારા એક મોટો ખાડો ખોદીને તે ખાડો ડાળી-પાંદડાં વડે ઢાંકે છે ને ઉપર એક સજીવ લાગે તેવી લાકડાની હાથણી રાખે છે. હાથી આ લાકડાની હાથણીને સાચી સમજી તેને સ્પર્શ કરવા આવે છે અને ખાડામાં પડે છે. અને પકડાઈ જાય છે. આથી જ શાસ્ત્રોમાં સાધક કે સંન્યાસીએ લાકડાની બનાવેલી સ્ત્રીની પૂતળીને પગથી પણ સ્પર્શ ના કરવો તેવી આજ્ઞા આપી છે.

(૧૪) પારધી પાસેથી જેમ પારધી મધમાખીઓનું એકઠું કરેલ મધ લઇ જાય છે તેમ યોગી ઉદ્યમ વગર જ ભોગ મેળવી શકે અને ધનનો સંગ્રહ ના કરતાં તેનું દાન દેવું તેવો બોધ લીધો.

(૧૫) હરણ પાસેથી શ્રવણસુખ (વિષય) ની લાલચથી પોતાનો નાશ થાય છે તેવો બોધ. શિકારીના સંગીતથી મોહિત થઇ હરણ તેના તરફ દોડે છે અને જાળમાં પડી બંધાઈ જાય છે.

(૧૬) માછલી પાસેથી રસ સુખ (જીભ-વિષય) ની લાલચથી પોતાનો નાશ થાય છે તેવો બોધ લીધો. જીભના સ્વાદની લાલચે માછલી લોઢાના આંકડામાં રાખેલ માંસનો ટુકડો ખાવા દોડે છે ને આંકડામાં ફસાઈને મૃત્યુ પામે છે. આ લૂલી (જીભ) મનુષ્યોને બેહાલ કરે છે.

ઉપર પ્રમાણે ટૂંકમાં પાંચ વિષયોની કથા કહી છે તેમ પણ કહી શકાય. આંખનો વિષય છે રૂપ. રૂપ (અગ્નિ) ના સુખની ઈચ્છાથી પતંગિયાનો નાશ થાય છે. નાકનો વિષય છે ગંધ, ગંધ (કમળની સુગંધ)ની ઈચ્છાથી ભ્રમરનો નાશ થાય છે. ચામડીનો વિષય છે સ્પર્શ. સ્પર્શની ઈચ્છાથી હાથીનો નાશ થાય છે. કાનનો વિષય છે શ્રવણ. શ્રવણની ઈચ્છાથી હરણનો નાશ થાય છે. જીભનો વિષય છે રસ. રસની ઈચ્છાથી માછલીનો નાશ થાય છે.

આ પ્રમાણે ઉપરનાં પ્રાણીઓ માત્ર એક જ વિષયને ભોગવવા જાય છે અને તેમનો નાશ થાય છે તો મનુષ્યમાં તો પાંચે વિષયો ભોગવવાની શક્તિ છે. અને જો તે પાંચે ય વિષયોને ભોગવે તો તેના શું હાલ થાય તે વિષે કાંઇક પણ કહેવાની જરૂર નથી.

દત્તાત્રેય કહે છે કે – રાજા તને વધુ શું કહું? મેં તો વેશ્યાને પણ મારી ગુરૂ બનાવી છે. રાજા કહે છે કે વેશ્યા પણ તમારી ગુરૂ? તે કેવી રીતે સંભવે? તેની કથા કહો.

(૧૭) વેશ્યા પાસેથી કામસુખમાં શાંતિ નથી અને કામસુખ ભોગવવાની ઈચ્છા તે મોટામાં મોટું દુઃખ છે તે બોધ લીધો. પિંગલા નામે એક વેશ્યા હતી. કોઈ એક ધનવાન હજુ આવી ચડે તો મને પૈસા મળે તેવી આશાથી તે જાગરણ કરે છે. તેવામાં તેના મનમાં વિચાર આવે છે કે કામી મનુષ્યની આશા રાખી હું જાગું છું તેના કરતાં પ્રભુ માટે હું જાગી હોત, તેમની આશા રાખી હોત તો મને પ્રભુ મળત, મારો બેડો પાર થાત. હવે તુચ્છ પુરુષોને રીઝવવાનો નહિ પણ પરમાત્માને રીઝવવાનો પ્રયત્ન કરીશ.

કાળ રૂપી સર્પનો કોળિયો બનેલા આ જીવનું રક્ષણ કરનાર પરમાત્મા સિવાય બીજો કોઈ સમર્થ નથી. તે રાત્રિએ તે જાર પુરુષોની આશા ત્યજીને શાંતિથી સૂઈ ગઈ. આ દુનિયામાં આશા એ પરમ દુઃખ છે અને કોઈ સુખની આશા ના રાખવી (નિર-આશા) તે પરમ સુખ છે.

આ આશાની બેડી મનુષ્યને કેટલી હદ સુધી જકડાવી રાખે છે તેનું વર્ણન કરતાં શંકરાચાર્ય કહે છે કે – શરીર ગળી ગયું છે, માથે પળિયાં આવ્યા છે, મોઢું દાંત વગરનું થઇ ગયું છે, વૃદ્ધાવસ્થા ને કારણે લાકડી લઇ ચાલવું પડે છે, તેમ છતાં ડોસો આશાનો લોચો છોડતો નથી. આ ડોસાની જેમ, ના કરતાં સર્વ છોડીને શ્રી ગોવિંદને ભજવા લાગી જજો. (ભજ ગોવિન્દમ સ્તોત્ર)

(૧૮) ટીટોડા (કુરર) પક્ષી પાસેથી કોઈ વસ્તુનો સંગ્રહ ના કરવાનો બોધ લીધો. અતિ સંગ્રહથી વિગ્રહ થાય છે. સંગ્રહનો ત્યાગ એ સુખદાયી છે.

(૧૯) બાળક પાસેથી નિર્દોષતાનો બોધ લીધો.

(૨૦) કુમારી કન્યા પાસેથી એકાંતવાસનો બોધ લીધો. એક કુમારી કન્યા હતી. બહારગામથી તેનું માગું કરવા પરોણાઓ આવ્યા. ઘરમાં ચોખા નહોતા. તેથી તે ડાંગર ખાંડવા લાગી. ખાંડતા પહેલાં તેણે તેના હાથમાં બંગડીઓ હતી તે એક-એક બંગડી રાખી બાકીની બધી ઉતારી નાંખી. કારણ કે જો ખાંડતી વખતે બંગડીઓનો અવાજ થાય અને મહેમાન તે સાંભળે તો તેઓને જાણ થઇ જાય કે આ લોકોના ઘરમાં ચોખા પણ નથી અને તેમની ગરીબી જાહેર થઇ જાય.

જો હાથમાં જો એક જ બંગડી હોય તો તેનો અવાજ ક્યાંથી થાય? તેમ વસ્તીમાં રહેવાથી, કજિયા-કંકાશ થાય માટે સાધુઓએ એકાંતવાસ કરવો જોઈએ.

(૨૧) લુહાર – બાણ બનાવનાર લુહાર પાસેથી તન્મયતાનો બોધ લીધો. એક લુહાર બાણ બનાવતો હતો, અને તે પોતાના કાર્યમાં એટલો મગ્ન થયો હતો કે રાજાની સવારી વાજ્તે ગાજતે પસાર થઇ ગઈ પણ તેણે કાંઇ ખબર પડી નહિ. ઈશ્વરની આરાધના આવી તન્મયતા વગર સિદ્ધ થાય નહી. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક બને ત્યારે જીવ કૃતાર્થ થાય છે.

(૨૨) સર્પ પાસેથી એકલા રહેવું અને ફરતા રહેવું એવો બોધ લીધો.

(૨૩) કરોળિયા પાસેથી ઈશ્વર કરોળિયાની જેમ માયાથી સૃષ્ટિ રચે છે અને તેનો સંહાર કરે છે તેવો બોધ લીધો. કરોળિયો પોતાના મુખમાંથી લાળ ઉત્પન્ન કરી રમત રમે છે, જાળ બનાવે છે. અને છેલ્લે તે પોતાની લાળ ગળી જાય છે.

(૨૪) ઈયળ પાસેથી જો કેવળ ઈશ્વર પર જ મન એકાગ્ર કરવામાં આવે તો પોતે ઈશ્વર રૂપ બની જાય છે તેવો બોધ લીધો. ભમરી ઈયળને પકડી લાવી દરમાં પૂરે છે અને વારંવાર ઈયળને ડંખ મારે છે. ને દરમાં પુરી બહાર જાય છે. ઈયળને ભમરીનો ડર લાગે છે કે હમણાં ભમરી ફરી આવશે અને ડંખ મારશે, આમ ઈયળ ભમરીના ડરથી અને ભમરીનું સતત ચિંતન કરતાં કરતાં અંતે ભમરી બની જાય છે.

અહીં ઈયર મરી ને ભમરી થાય છે તેવું નથી, પણ ભમરીનું ચિંતન કરતાં તે ભમરી બની જાય છે. તેમ જીવ પણ અનેક દુઃખો સહન કરતા ઈશ્વરનું સતત ધ્યાન રાખે તો, તે ઈશ્વર ના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. મન વિષયોનું ચિંતન કરે તો તેમાં ફસાય પણ પ્રભુનું ચિંતન કરે તો મન પ્રભુમાં મળી જાય છે.

યદુરાજા, ગુરૂ દત્તાત્રેયના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરે છે.

તે પછી શ્રીકૃષ્ણ ઉદ્ધવને બંધન અને મોક્ષનું સ્વરૂપ સમજાવે છે. બંધન અને મોક્ષ એ મનના ધર્મો છે. હે ઉદ્ધવ, આ જીવ મારો જ અંશ છે, તેમ છતાં અવિદ્યાથી (અજ્ઞાનથી) તેને બંધન થાય છે. અને જ્ઞાનથી મોક્ષ. આત્મા તો સદા મુક્ત જ છે. આત્મજ્ઞાન વગરના બંધાયેલા છે અને આત્મજ્ઞાનવાળા તો સદા મુક્ત છે. જે પુરુષની પ્રાણ, ઇન્દ્રિય, મન તથા બુદ્ધિની વૃત્તિઓ સંકલ્પ રહિત થયેલી હોય છે. તે દેહમાં રહેલો હોવા છતાં, દેહના ગુણોથી મુક્ત જ છે. દેહ સંબંધ છૂટે ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે.

તે પછી શ્રીકૃષ્ણે ઉદ્ધવને સાધુ-પુરુષોના લક્ષણો બતાવ્યા, ભક્તિના લક્ષણો બતાવ્યાં. સત્સંગનો મહિમા વર્ણવ્યો. વૃત્રાસુર, પ્રહલાદ, બલિરાજ, વિભીષણ, સુગ્રીવ, હનુમાન, કુબ્જા, વ્રજની ગોપીઓ વગેરે સત્સંગથી જ પ્રભુને પ્રાપ્ત કરી શક્યા હતા. તેઓ વેદો જાણતા નહોતા, કે કોઈ વ્રત કે તપશ્ચર્યા કરી નહોતી પણ સત્સંગના પ્રતાપે પ્રભુને પામ્યા.

વધુ આવતા અંકે.

– પૂ. ડોંગરેજી મહારાજ

(શિવોમ પરથી.)