ખાંપણ :
– માણેકલાલ પટેલ
શારદાબેને સિત્તેર વર્ષની ઉંમરે દુનિયામાંથી વિદાય લીધી એટલે એમને સ્મશાને લઈ જવાની સૌ ઉતાવળ કરવા માંડ્યા. પણ, એમનાં પિયરીયાં હજુ સુધી આવ્યાં નહોતાં.
દીકરીનું ખાંપણ તો પિયરનું જ હોય એવી માન્યતા હોઈ એમની રાહ જોયા વિના છૂટકો પણ નહોતો.
બૈરાંઓમાં ચર્ચા ચાલતી હતી:- ” શારદામાએ તો એમના મા- બાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યાં હતાં. કોઈ દા’ડો પિયરીયાંને અહીં આવતાં જોયાં નથી.”
” શારદામાએ પણ પિયર સાવ છોડી જ દીધેલું ને? ”
” તો પછી રાહ કોની જોવાય છે? ”
” સમાચાર મોકલ્યા છે તે……..”
” પણ, કોઈ આવે તેમ લાગતું નથી! ”
અને ત્યાંજ એક ટ્રેક્ટર આવીને ઉભું રહ્યું. ખીચોખીચ ભરેલા એ ટ્રેક્ટરમાંથી પુરુષો અને બૈરાંઓ ઉતર્યાં. શારદાબેનની નનામી આગળ ખાંપણ ઓઢાડવા લાંબી લાઈન લાગી ગઈ.
ગામના બધા ફાટી આંખે આ જોઈ જ રહ્યા.
શારદાબેનના ભાઈએ ખાંપણ ઓઢાડતાં કહ્યું : ” આતો બહેનનો હક્ક છે ને! અમારો વિરોધ તો એમના વિચારો સાથે હતો.”
– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગ્રુપ) (પ્રિવ્યૂ ફોટો પ્રતીકાત્મક)