જાણો કોલકાતાના એવા મંદિરો વિષે જ્યાં થાય છે દરેક ભક્તની ઈચ્છાઓ પુરી. આમ તો તમને કોલકાતામાં જોવા લાયક સ્થળ ઘણા બધા મળી જશે. પરંતુ જો તમે ત્યાં જાવ છો, તો તમારે કોલકાતાના કેટલાક પ્રસિદ્ધ મંદિરોમાં ફરવા જરૂર જવું જોઈએ. ભારતના પૂર્વ કાંઠા ઉપર આવેલું ભારતનું બીજું સૌથી મોટું શહેર કોલકાતા કલાત્મક અને સાંસ્કૃતિક બંને રૂપથી ઘણું સમૃદ્ધ છે. એટલું જ નહિ, તે ધાર્મિક દૃષ્ટિએ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તે અસંખ્ય મંદિરો માટે એક દિવ્ય કેન્દ્ર છે, જેમાંથી ઘણા વ્યાપક તીર્થ સ્થળ છે.
અહિયાં ઘણા પૂજા સ્થળ છે, જે જુદા જુદા ધર્મો સાથે જોડાયેલા છે. કેટલાક સૌથી આકર્ષક મંદિરો, ચર્ચો અને મસ્જીદ જે વાસ્તુકળાની બાબતમાં ઉત્કૃષ્ટ શિલ્પ કૌશલ્ય પ્રદર્શિત કરે છે. કોલકાતામાં ઘણા બધા તીર્થ સ્થળ અને પવિત્ર સ્થાન છે, જે તમને ઉર્જાવાન કરશે અને તમને સંપૂર્ણ રીતે અલગ દુનિયામાં લઇ જશે, જે તમારા મન, શરીર અને આત્માને આરામ આપશે. એટલા માટે જે લોકો કોલકાતા પ્રવાસ ઉપર હોય, તેમણે આ ધાર્મિક સ્થળોમાં એક વખત જરૂર જવું જોઈએ. તેના વગર તેમની કોલકાતાની ટ્રીપ પૂરી નથી થઇ શકતી. તો આવો આજે અમે તમને કોલકાતાના કેટલાક ઉત્તમ ધાર્મિક સ્થળો વિષે જણાવીએ.
કાલીઘાટ મંદિર : કાલીઘાટ મંદિરને કોલકાતામાં સૌથી મહાન અને સૌથી પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાંથી એક માનવામાં આવે છે. આ પવિત્ર સ્થળ કોલકાતામાં તે લોકો માટે એક અલગ મહત્વ ધરાવે છે, જે દેવી કાળીની ઘણી ભક્તિ સાથે પ્રાર્થના કરે છે.
હુગલી નદીના કાંઠા ઈપર આવેલા, આ મંદિરમાં દરરોજ તીર્થયાત્રીઓની ઘણી ભીડ લાગેલી રહે છે. તે દેશના 52 પવિત્ર શક્તિપીઠોમાંથી એક છે. દેવી કાળી શહેરની દેવી છે અને તેમની પૂજા સ્થાનિક લોકો અને પ્રવાસીઓ દ્વારા સમાન રીતે કરવામાં આવે છે. ગર્ભગૃહમાં કાળા પથ્થરમાંથી બનેલી દેવીની મૂર્તિ છે, જે સોનાના ઘરેણાથી સુશોભિત છે. મંદિરમાં ભાદરવો, પોષ અને ચૈત્રના પવિત્ર મહિના દરમિયાન હજારો ભક્તોની ભીડ લાગેલી રહે છે.
બિરલા મંદિર : શાનદાર બિરલા મંદિર ભારતના પ્રસિદ્ધ બિરલા કુટુંબ દ્વારા બનાવવામાં આવ્યું હતું, અને આ મંદિર ભગવાન કૃષ્ણ અને રાધાજીને સમર્પિત છે. આ મંદિરનું નિર્માણ બલુઆ પથ્થર અને મોતી જેવા સફેદ આરસપહાણનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે, અને તેની વાસ્તુકળા ઘણી જ અદ્દભુત છે. તે ઉત્તમ અજાયબીનું નિર્માણ વર્ષ 1970 માં શરુ થયું હતું, અને 3 દશકો સુધી કામ કર્યા પછી, તે 1996 માં પૂરું થયું. અહીં પૂજવામાં આવતા બીજા દેવતા ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને દેવી દુર્ગાના દસ અવતાર છે. જેમ જેમ સાંજ ઢળતી જાય છે, તેમ તેમ આ મંદિરનું પરિસર પણ ઘણું જ સુંદર જોવા મળે છે.
બેલુર મઠ : બેલુર મઠ એક મહત્વપૂર્ણ તીર્થ સ્થાન છે, જે 1938 માં શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદ દ્વારા પોતાના ગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવ્યું હતું. મંદિરમાં એક મોટો પ્રાર્થના ખંડ છે, જ્યાં તમે શ્રીરામકૃષ્ણ, શ્રીશારદા દેવી, સ્વામી વિવેકાનંદ અને સ્વામી બ્રહ્માનંદને સમર્પિત એક સુંદર મઠ અને ઘણા મંદિરોની વિશાળ મૂર્તિ જોઈ શકો છો. મંદિરને સાર્વભૌમિક વિશ્વાસના સિદ્ધાંત ઉપર બનાવવામાં આવ્યું હતું, જેને તેના વાસ્તુશિલ્પ ડીઝાઈનમાં જોઈ શકાય છે.
પાર્શ્વનાથ જૈન મંદિર : કોલકાતાના નોર્થમાં બદ્રી દાસ મંદિર સ્ટ્રીટ ઉપર આવેલુ પાર્શ્વનાથ જૈન મંદિર જૈન સમુદાય માટે કોલકાતામાં સૌથી પવિત્ર સ્થળો માંથી એક છે. પાર્શ્વનાથ જૈન મંદિરોમાં 4 મંદિરોનો એક સમૂહ છે, જે 10 માં જૈન તીર્થંકર શ્રી શીતલ નાથને સમર્પિત છે. આ મંદિરને તેમની વાસ્તુકળાની ભવ્યતા માટે પણ ઓળખવામાં આવે છે, જેની સુંદરતા દર્પણની અંદર સ્તંભો, રંગીન પથ્થરો અને આરસપહાણના ફ્લોરથી વધી જાય છે. મંદિર પરિસરમાં રંગીન ફૂલોના બગીચા, ફુવારા, એક જળાશય સાથે એક સુંદર બગીચો પણ છે જે કેટલીક માછલીઓનું ઘર છે.
આ માહિતી હર જિંદગી અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.