માણસના સર્જન અને તેના જીવન પર લખાયેલો આ ટૂંકો લેખ જીવન જીવવાની રીત બદલતા શીખવાડી જાય છે.

0
930

ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને એને કહ્યું, “તું ગધેડા તરીકે ઓળખાઇશ. તું સુર્યોદય થી લઈને સુર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ પર બોજો ઉઠાવવાનું કામ કરીશ, તું ઘાસ ખાજે, તને બુદ્ધિ નહિ હોય અને તું ૫૦ વર્ષ સુધી જીવીશ.”

ગધેડો બોલ્યો, “હું ગધેડો થયો એ બરાબર છે. પણ ૫૦ વર્ષ નું આયુષ્ય ઘણું બધું કહેવાય. મને ૨૦ વર્ષ નું આયુષ્ય આપો.” ઈશ્વરે એની અરજ મંજુર કરી.

ભગવાને કુતરાનું સર્જન કર્યું, એને કહ્યું “તું કુતરો કહેવાઇશ. તું મનુષ્યોના ઘરોની ચોકીદારી કરીશ. તું મનુષ્ય નો પરમ મિત્ર કહેવાઈશ. તું એણે નાખેલા રોટલાના ટુકડા ખાઇશ અને તું ૩૦ વર્ષ જીવીશ.

કુતરાએ કહ્યું, “હે પ્રભુ ૩૦ વર્ષ નું આયુષ્ય તો ઘણું કહેવાય ૧૫ વર્ષ રાખો,” ભગવાને મંજુર કર્યું.

ભગવાને વાંદરો બનાવ્યો અને કહ્યું, “તું વાંદરો કહેવાઇશ. તું એક ડાળી થી બીજી ડાળી પર જુદા જુદા કરતબ કરતો કુદાકુદ કરીશ. અને સૌને મનોરંજન પૂરું પાડીશ. તું ૨૦ વર્ષ જીવીશ.”

વાંદરો બોલ્યો “૨૦ વર્ષ તો ઘણા કહેવાય. ૧૦ વર્ષ રાખો”. ભગવાને મંજુર કર્યું.

છેલ્લે ભગવાને મનુષ્ય બનાવ્યો અને એને કહ્યું : “તું મનુષ્ય છે, પૃથ્વી પર તું એક માત્ર બુદ્ધિજીવી પ્રાણી હોઇશ. તું તારી અક્કલ નાં ઉપયોગ વડે સર્વે પ્રાણીઓનો સ્વામી બનીશ. તું વિશ્વને તારા તાબામાં રાખીશ અને ૨૦ વર્ષ જીવીશ.”

માણસ બોલ્યો : “પ્રભુ, હું મનુષ્ય ખરો. પણ ૨૦ વર્ષનું આયુષ્ય ઘણું ઓછું કહેવાય. મને ગધેડાએ નકારેલ ૩૦ વર્ષ, કુતરાએ નકારેલ ૧૫ વર્ષ અને વાંદરાએ નકારેલ ૧૦ વર્ષ પણ આપી દો.”

ભગવાને મનુષ્ય ની ઈચ્છા સ્વીકારી લીધી.

ત્યારથી, માણસ પોતે માણસ તરીકે ૨૦ વર્ષ જીવે છે લગ્ન કરીને ૩૦ વર્ષ ગધેડો બનીને જીવે છે. પોતાની પીઠ પર બધો બોજો ઉપાડી સતત કામ કરતો રહે છે. બાળકો મોટા થાય એટલે ૧૫ વર્ષ કુતરા તરીકે ઘરની કાળજી રાખી જે કંઇ મળે તે ખાઈ લે છે. અંતે જ્યારે વૃદ્ધ થાય ત્યારે નિવૃત્ત થઈને વાંદરા તરીકે ૧૦ વર્ષ સુધી એક પુત્રના ઘરથી બીજા પુત્રના ઘરે અથવા એક પુત્રીના ઘરેથી બીજી પુત્રીના ઘરે જઈને જુદા જુદા ખેલ કરીને પૌત્રો અને ભાણીયાંઓને મનોરંજન પૂરું પાડે છે.

– સંકલિત કર્દમ મોદી, પાટણ (અમર કથાઓ ગ્રુપ)