આ મંદિર દેશમાં ચોમાસું આવતા પહેલા જ સાવચેત કરી દે છે કે ક્યારે અને કેટલો વરસાદ થશે, જાણો કઈ રીતે?
પ્રાચીન ભારતમાં એવા ઘણા મંદિર, મસ્જીદ અને ચર્ચનું નિર્માણ થયું છે જે આજે પણ લાખો ભક્તો માટે કોઈ રહસ્યમયી ધાર્મિક સ્થળથી ઓછા નથી. દેશમાં એવા ઘણા મંદિર રહેલા છે, જે ભવિષ્યથી લઈને ભૂતકાળ વિષે જણાવે છે. ત્યાં સુધી કે દેશમાં ક્યારે વરસાદ આવશે અને ક્યારે નહિ એ પણ જણાવે છે.
જી હાં, યુપીના ઔદ્યોગિક નગર કહેવાતા કાનપુર શહેરમાં એક એવું જ મંદિર છે, જે એ જણાવે છે કે દેશ અને ઉત્તર પ્રદેશમાં ક્યારે વરસાદ થશે અને ક્યારે નહિ. આ મંદિરના ધાબા ઉપરથી પુજારી અનુમાન લગાવે છે કે આ વર્ષે કેટલો વરસાદ થશે. તો આવો મંદિરના આ ચમત્કારી ઘટનાક્રમ વિષે વધુ વિસ્તારથી જાણીએ.
7 થી 8 દિવસ પહેલા વરસાદની માહિતી :
ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના ભીતરગાંવ બ્લોકથી લગભગ ત્રીસથી ચાલીસ કી.મી.ના અંતરે આવેલું છે એક પ્રાચીન મંદિર, જેનું નામ છે જગન્નાથ મંદિર. આ મંદિર વિષે કહેવામાં આવે છે કે આ મંદિરના ધાબા ઉપરથી ટપકતા પાણીના ટીપા ઉપરથી એ જાણી શકાય છે કે, દેશમાં ક્યારે અને કયા સ્તર ઉપર વરસાદ થશે. વરસાદ આવવાના 7 દિવસ પહેલા જ આ મંદિરના ધાબા ઉપરથી પોતાની જાતે પાણી ટપકવા લાગે છે. ટીપા જો વધુ પડી રહ્યા છે, તો એવું કહેવામાં આવે છે કે આ વખતે વરસાદ સારો થશે અને ટીપા ધીમે ધીમે પડે છે તો વરસાદ ઓછો થશે.
જગન્નાથ મંદિરનું રહસ્ય :
આ રહસ્યમયી મંદિરનું નિર્માણ ક્યારે થયું હતું તેના કોઈ સચોટ પ્રમાણ કોઈ પાસે નથી. પણ ઘણા જાણકારોનું માનવું છે કે, આ મંદિરનું નિર્માણ 9 મી સદીથી લઈને 10 મી સદી વચ્ચે થયું હશે. ઘણી વખત પુરાતત્વ વિભાગે આ રહસ્યમયી તથ્યને ઉકેલવાનો પ્રયાસ કર્યો પણ કહેવામાં આવે છે કે, કોઈ પણ વ્યક્તિ તેની સચોટ માહિતી નથી આપી શક્યું કે ખરેખર ચોમાસા પહેલા જ ધાબા ઉપરથી પાણીના ટીપા કેમ ટપકવા લાગે છે. ઉડીસામાં જગન્નાથ મંદિરમાંથી જેવી રથ યાત્રા નીકળે છે એવી જ અહિયાં પણ રથયાત્રા નીકળે છે.
બોદ્ધ સ્તૂપ જેવું દેખાય છે જગન્નાથ મંદિર :
આ મંદિરની અંદરથી થોડુ એવું અને બહારથી એક વિશાળ બોદ્ધ સ્તૂપ જેવું દેખાય છે. પણ આ મંદિરની અંદર ભગવાન જગન્નાથની મૂર્તિ છે. કહેવામાં આવે છે કે મૂર્તિ અને આ મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. આજના સમયમાં મંદિરનો થોડો ભાગ ખંડેરમાં ફેરવાઈ ગયો છે, પણ આજે પણ આ મંદિરમાં પૂજા પાઠ કરવા માટે દરરોજ હજારો ભક્ત આવે છે. આ મંદિરની દીવાલો લગભગ 14 ફૂટ જાડી છે.
ગઈ વખતે ક્યારે ટપક્યા હતા પાણીના ટીપા :
એક મીડિયા રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગઈ વખતે આ મંદિરમાં 26 મે થી પાણીના ટીપા ટપકવાનું શરુ થયું હતું. ઘણી વખત શહેરમાં વરસાદ આવવાથી પાકને કોઈ નુકશાન ન થાય તેના માટે પણ આ મંદિરમાં પૂજા પાઠ કરવામાં આવે છે. જગન્નાથ મંદિરના ટીપા ઉપરથી ચોમાસાનું અનુમાન લગાવી આ ગામના લોકો પાકની વાવણીની તૈયારી પણ કરે છે.
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.