કેવી રીતે લાવવી જીવનમાં ખુશાલી? વાંચો જીવનમાં ઉપયોગી થનારી વાત

0
418

સાધુએ નદીનું ઉદાહરણ આપી સમજાવ્યો જીવનમાં ખુશાલી લાવવાનો માર્ગ, વાંચો રસપ્રદ કથા. ગામમાં એક વ્યક્તિ રહેતો હતો અને તેની પાસે એક ખેતર હતું. તે ખેતરમાં અનાજ ઉગાડતો અને કોઈને કોઈ રીતે પોતાના પરિવારનો ઉછેર કરતો હતો. તે વ્યક્તિએ નાનપણથી જ ગરીબી જોઈ હતી. તે વ્યક્તિના માતાપિતા પણ ખૂબ ગરીબ હતા. તે નાનપણથી જ ગરીબીમાં જીવી રહ્યો હતો, આ ગરીબીને કારણે તે ધીરે ધીરે મુશ્કેલીમાં મુકાઈ રહ્યો હતો, કારણ કે તેના બાળકો પણ ધીરે ધીરે મોટા થઈ રહ્યા હતા. તેમની ફી નો ખર્ચ, પુસ્તકનો ખર્ચ વધી રહ્યો હતો, અને આ બધાની સાથે ઘરનો ખર્ચ પણ થતો હતો. ઉપરથી મોંઘવારી પણ દિવસેને દિવસે વધતી જઈ રહી હતી.

તે હંમેશાં વિચારતો રહેતો કે, આજના સમયમાં જીવન જીવવું કેટલું મુશ્કેલ થઈ ગયું છે. જીવનમાં એક સમસ્યા સમાપ્ત નથી થતી કે બીજી મોં ખોલીને દરવાજા પર ઉભી હોય છે. આ રીતે તે ક્યારેક-ક્યારેક એવું વિચારતો હતો કે, શું મારું આખું જીવન આવી સમસ્યાઓના નિવારણમાં જ નીકળી જશે? આ સમસ્યાઓ ઉકેલાતી જ નથી અને આ રીતે સમસ્યાઓ આવતી જ રહે છે.

થોડા સમય પછી એક સાધુ તે ગામમાં આવે છે. તે વ્યક્તિને ખબર પડે છે કે, તે સંત ખૂબ જ પહોંચેલા અને જ્ઞાની સાધુ છે, અને એક ક્ષણમાં લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. ત્યારે તે વ્યક્તિના મનમાં વિચાર આવ્યો કે, મારે પણ તે સાધુને મળવું જોઈએ, અને તેમને મારી સમસ્યા જણાવવી જોઈએ.

પછી તે વ્યક્તિ સાધુ પાસે ગયો અને પોતાની મુશ્કેલીઓ તેમને જણાવી. ત્યારે તે સાધુ તે વ્યક્તિની વાત સાંભળીને હસવા લાગ્યા. પછી સાધુએ કહ્યું કે, તું મારી સાથે આવ, હું તારી સમસ્યાઓનું સમાધાન તને જણાવીશ. પછી તે વ્યક્તિએ કહ્યું કે, ઠીક છે ચાલો. સાધુ તે વ્યક્તિને નદી પાસે લઇ ગયા અને કહ્યું કે, હું નદીના બીજા કાંઠે જઈશ અને તને તારી સમસ્યાઓનું સમાધાન કહીશ અને પછી તારી સમસ્યાઓ દૂર થઈ જશે. આટલું કહીને સાધુ નદીના કિનારે ઉભા રહી ગયા.

સાધુને નદીના કાંઠે ઉભા-ઉભા ઘણું મોડું થઈ ગયું અને તે વ્યક્તિ વિચારવા લાગ્યો કે, આ સાધુ અહીં આટલા લાંબા સમયથી કેમ ઉભા છે? અને જો નદીની પેલે પાર બધી સમસ્યાઓનું સમાધાન છે, તો શું કોઈ અમને લેવા આવી રહ્યું છે, કે પછી સાધુ કોઈની રાહ જોઈ રહ્યા છે. અંતે તે વ્યક્તિની ધીરજ તૂટી અને તેણે સાધુને પૂછ્યું કે, મહારાજ આપણે તો નદી પાર કરવાની છે, તો આપણે અત્યાર સુધી અહીં કેમ ઉભા છીએ.

તેના પર સાધુએ જવાબ આપ્યો કે, પુત્ર આ નદીનું જે પાણી છે તે સૂકાય તેની હું રાહ જોઈ રહ્યો છું. જેવું જ આ પાણી સૂકાઈ જશે, એટલે આપણે આરામથી નદી પાર કરીશું અને પેલે પાર જઈશું, અને પછી હું તને તારી બધી સમસ્યાઓનું સમાધાન જણાવીશ. પછી તે વ્યક્તિ વિચારવા લાગ્યો કે, મહારાજ કેવી મૂર્ખ જેવી વાત કરી રહ્યાં છે. પછી તેણે પૂછ્યું કે, મહારાજ નદીનું પાણી કેવી રીતે સૂકાઈ શકે છે, અને તમે કેવી મૂર્ખતા પૂર્ણ વાતો કરી રહ્યા છો. નદીમાં પાણી સતત વહેતું રહેશે, તે ક્યારેય સુકાવાનું નથી.

સાધુ મહારાજ તે વ્યક્તિની વાત સાંભળીને હસવા લાગ્યા અને કહ્યું કે, દીકરા, હું એ જ સમજાવવા માંગુ છું કે જીવન એક નદી જેવું છે, અને આ નદીનું પાણી સમસ્યાઓ જેવું છે. તું જાણે છે કે નદીનું પાણી સુકાશે નહીં, તારે જાતે જ નદી પાર કરવાનો પ્રયાસ કરવો પડશે. તેવી જ રીતે, સમસ્યાઓ પણ જીવનમાં આવતી જ રહેશે. તારે તારા પોતાના પ્રયત્નોથી નદી પાર કરવી પડશે, એનો અર્થ એ કે તારે આ મુશ્કેલીઓનો સામનો તો કરવો જ પડશે. તારા જીવનમાં જે પણ મુશ્કેલ પરિસ્થિતિઓ આવશે, તારે તેનો હિંમત પૂર્વક સામનો કરવો જ પડશે.

જો તું નદીના કાંઠે બેસી રહીશ અને નદીનું પાણી સૂકાય તેની રાહ જોઈશ, તો પછી તું જીવનમાં ક્યારેય આગળ વધી નહીં શકે. એટલે કે, પાણી વહેતું રહેશે અને સમસ્યાઓ પણ ચાલુ રહેશે, પરંતુ તારે નદીની ધારાને ચીરીને આગળ વધવું પડશે, એટલે કે દરેક સમસ્યાને આગળ વધીને દૂર કરવી પડશે, તો જ તું જીવનમાં કંઈક કરી શકીશ. આ દરેક વ્યક્તિના જીવનમાં ખુશાલીનો અર્થ છે, જો તમે તમારી સમસ્યા કેવી રીતે સમાપ્ત કરવી તે જાણો છો, તો પછી આ દુનિયામાં તમારાથી વધુ સુખી કોઈ વ્યક્તિ નથી.