જાણો અખંડ જ્યોતનું મહત્વ અને તેના નિયમો, આ વાતોનું રાખશો ધ્યાન તો મળશે માતાજીની કૃપા.
નવરાત્રી દરમિયાન માઁ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવે છે. નવરાત્રીમાં અખંડ જ્યોતને ઓલવ્યા વિના પ્રગટાવી રાખવાનું વિધાન છે. પરંતુ અખંડ જ્યોત માત્ર નવરાત્રી દરમિયાન જ શા માટે પ્રગટાવવામાં આવે છે અને તેના ખાસ નિયમો શું છે. ચાલો તેના વિશે જાણીએ.
ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા (એકમ) તિથિએ નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે. 22 મી માર્ચ 2023 થી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ સાથે હિન્દુ નવ સંવત્સર 2080 પણ શરૂ થઈ ગયું છે. નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી માઁ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
દર વર્ષે નવરાત્રી પર માતા રાણીનું આગમન વિશેષ વાહન પર થાય છે, જેનું વિશેષ મહત્વ છે. આ વર્ષે માતા રાણી નવરાત્રી પર હોડીમાં આવ્યા છે. નવરાત્રી દરમિયાન માઁ દુર્ગાની સામે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. જણાવી દઈએ કે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતના કેટલાક નિયમો પણ હોય છે. જો તે નિયમોનું પાલન કરવામાં આવે તો માતા રાણીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
અખંડ જ્યોતનું મહત્વ :
માન્યતાઓ અનુસાર ઘરોમાં કળશની સ્થાપના કર્યા બાદ અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. અખંડ જ્યોત એટલે એવી જ્યોત જે ખંડિત ન હોય. અખંડ પ્રકાશથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મનોકામનાઓ પૂરી થાય છે. કહેવાય છે કે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત ઓલવાઈ જવી એ અશુભ છે. દીવામાં સમયાંતરે તેલ રેડવું પડે છે અને તેને પવનથી સુરક્ષિત રાખવો પડે છે.
અખંડ જ્યોતના નિયમ :
નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાનો પ્રથમ નિયમ એ છે કે જ્યોતની સંભાળ રાખવા માટે કોઈને કોઈ વ્યક્તિ ઘરમાં હોવી જોઈએ. જ્યોત પ્રજ્વલિત હોવાનો અર્થ એ થાય છે કે માતા તમારા ઘરમાં નવ દિવસ વિરાજમાન છે. અખંડ જ્યોત પ્રગટાવતા પહેલા માતાની પૂજા કરો. દીવો મુકવા માટે કળશ અથવા બાજઠનો ઉપયોગ કરો.
જો તમે બાજઠ પર દીવો પ્રગટાવતા હોવ તો તેના પર લાલ કપડું પાથરી દો અને જો તમે કળશની ઉપર દીવો પ્રગટાવતા હોવ તો તેની નીચે ઘઉં રાખો. અખંડ જ્યોતની દીવેટ નાડાછડીથી કરવી યોગ્ય માનવામાં આવે છે. દીવો પ્રગટાવવા માટે ઘી કે સરસવ-તલના તેલનો ઉપયોગ કરી શકાય. અખંડ જ્યોત માઁ દુર્ગાની જમણી બાજુ રાખવી જોઈએ. એવું કહેવાય છે કે જો દીવામાં સરસવનું તેલ ભર્યું હોય તો તેને ડાબી બાજુ રાખવું જોઈએ.
અખંડ જ્યોત પ્રગટાવતા પહેલા ભગવાન ગણેશ, માઁ દુર્ગાની પૂજા કરો અને માઁ દુર્ગા મંત્ર ‘ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કૃપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે’ નો જાપ કરો. અખંડ જ્યોતને પવનથી સુરક્ષિત રાખો અને ધ્યાનમાં રાખો કે અખંડ જ્યોત કોઈપણ સંજોગોમાં નવ દિવસ સુધી ઓલવાવી ન જોઈએ. દીવામાં ઘી કે તેલ ઓછું થાય કે તરત જ ભરી દો. નવ દિવસ પછી દીવો તમારે ઓલવવો નહિ, પણ તેને જાતે જ ઓલવાઈ જવા દો. જો તમે આ નિયમથી ઘરમાં અખંડ દીવો પ્રગટાવો છો તો તમને માતાજીની કૃપા મળે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.