યુદ્ધ મેદાનમાંથી રથને દુર લઈ જતા જોઈ અર્જુને પૂછ્યું, કર્ણને જોઈને તમે કેમ ભાગી રહ્યા છો? જાણો પછી શ્રી કૃષ્ણે શું કહ્યું?
હિંદુઓના ધર્મગ્રંથ મહાભારતમાં જ્યાં જીવનની ઘણી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે, તો સાથે જ તેમાં ઘણી રોચક કથાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બધા જાણે છે કે મહાભારતના યુદ્ધમાં વાસુદેવ કૃષ્ણ તેમના મિત્ર અર્જુનના સારથિ બન્યા હતા. યુદ્ધના પ્રથમ દિવસે અર્જુને યુદ્ધ કરવાની ના પાડી ત્યારે તેને ગીતાનું જ્ઞાન આપ્યું. અને એવું પણ માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણના કારણે જ મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો.
પરંતુ મહાભારતના યુદ્ધ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જ્યારે શ્રી કૃષ્ણ અચાનક કર્ણના ડરથી કુરુક્ષેત્રના મેદાનમાંથી ભાગી ગયા. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે આખરે એવું શું થયું હતું, જેના કારણે કર્ણને જોઈને શ્રી કૃષ્ણ અચાનક કુરુક્ષેત્રના મેદાનમાંથી ભાગી ગયા.
આ કથા તે દિવસ સાથે જોડાયેલી છે જ્યારે કુંતીના પુત્ર અર્જુને શિખંડીની મદદથી પિતામહ ભીષ્મને કુરુક્ષેત્રના મેદાનમાં બાણોની શય્યા પર સુવડાવ્યા હતા. તે દિવસે ભીષ્મ પિતામહના યુદ્ધભૂમિ છોડ્યા પછી સૂર્ય પુત્ર કર્ણ પ્રથમ વખત યુદ્ધભૂમિમાં ઉતર્યો હતો. કારણ કે ભીષ્મ પિતામહે કર્ણને એવું કહીને પોતાના ધ્વજ નીચે લડવાની ના પાડી દીધી હતી કે તું એક સૂત પુત્ર છે, અને જ્યાં સુધી હું યુદ્ધભૂમિમાં રહીશ ત્યાં સુધી કોઈ પણ સૂત મારા ધ્વજ હેઠળ યુદ્ધ નહીં કરી શકે.
ગંગા પુત્ર ભીષ્મના બાણોની પથારી પર સુતા પછી કર્ણ યુદ્ધના મેદાનમાં આવતાની સાથે જ પાંડવોની સેનાનો નાશ કરવા લાગ્યો, જેના કારણે તેમની સેનામાં હોબાળો મચી ગયો. કર્ણ યુદ્ધભૂમિમાં પ્રવેશ્યો કે તરત જ તેણે બતાવ્યું કે તેની હાજરીમાં કૌરવો આટલી જલદી હાર માનવાના નથી.
પોતાના યુદ્ધ કૌશલ્યથી, કર્ણે વિજયનું ત્રાજવું કૌરવો તરફ નમાવ્યું. બીજી બાજુ, પાંડવો તેમની સેનાનો વિનાશ જોઈને ચિંતિત થઈ ગયા. ત્યારે જ શ્રી કૃષ્ણની નજર કર્ણ પર પડી, શ્રી કૃષ્ણે જોયું કે કર્ણ દિવ્યઅસ્ત્રોના આહ્વાન માટે મંત્રોનો જાપ કરી રહ્યો છે અને તે દિવ્યઅસ્ત્રો ધીમે ધીમે પ્રગટ થઈ રહ્યા છે.
આ પછી શ્રી કૃષ્ણએ અર્જુનને ચેતવ્યો અને ઝડપથી રથને દક્ષિણ દિશા તરફ દોડાવવા લાગ્યા. અચાનક શ્રી કૃષ્ણને રથ લઈને ભાગતા જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો અને તેમને ભાગવાનું કારણ પૂછ્યું કે, કર્ણને જોઈને તમે અચાનક યુદ્ધના મેદાનમાંથી કેમ ભાગી રહ્યા છો? અર્જુનની વાત સાંભળીને વાસુદેવ કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, ધર્મની સ્થાપના માટે તારું જીવતા રહેવું જરૂરી છે અને તું મને સૌથી પ્રિય પણ છે. એટલા માટે હું તને ગુમાવવા માંગતો નથી. અર્જુન કૃષ્ણની આ વાત સમજી શક્યો નહીં.
અને શ્રીકૃષ્ણને કહ્યું, હે નારાયણ, હું તમારી વાત સમજી શક્યો નથી. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, અર્જુન કર્ણ દિવ્યઅસ્ત્રોનું આહ્વાન કરી રહ્યો છે અને તેનું લક્ષ્ય તું છો. તને મારવાના ઈરાદાથી તે ઈન્દ્રએ આપેલી શક્તિનું આહ્વાન કરી રહ્યો છે. તેથી જ હું તને કર્ણથી આટલો દૂર લઈ આવ્યો છું. ઈન્દ્રની આ શક્તિનો કોઈ મેળ નથી. જેના પર આ શક્તિથી પ્રહાર થાય છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે.
આ સાંભળીને અર્જુન ચિંતાતુર થઈ જાય છે. પણ કૃષ્ણ હસતા હસતા કહે છે, પાર્થ ચિંતા ન કર. મેં આ દિવ્યશક્તિનો તોડ શોધી લીધો છે. આપણે ફક્ત એવા યોદ્ધાને શોધવાનો છે જે તને આ શક્તિથી બચાવી શકે. આટલું કહીને તેઓ પોતાનો રથ ભીમ તરફ લઈ જાય છે. ત્યારે જ સૂર્યાસ્તને કારણે યુદ્ધ વિરામ કરવા માટે શંખ ફૂંકવામાં આવે છે.
કૃષ્ણ ભીમ પાસે આવે છે અને કહે છે કે તું ધર્મની સ્થાપના માટે આટલું મહત્વપૂર્ણ યુદ્ધ લડી રહ્યો છો, તેથી સમય આવી ગયો છે કે તું તારા પુત્ર ઘટોત્કચને કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં પહોંચવાનો આદેશ આપ. કૃષ્ણની વાત સાંભળ્યા પછી, ભીમે પોતાના પુત્ર ઘટોત્કચને યુદ્ધભૂમિમાં આવવાનો આદેશ આપ્યો. બીજા દિવસે ઘટોત્કચ યુદ્ધભૂમિ પર પહોંચે છે. યુદ્ધની વચ્ચે ઘટોત્કચ રાક્ષસને જોઈને કૌરવ સેનામાં હોબાળો મચી ગયો.
કૌરવ સેનાના મોટા-મોટા સારથિઓના અસ્ત્ર-શસ્ત્રની ઘટોત્કચ પર કોઈ અસર થઈ રહી ન હતી. આ જોઈને કૌરવોના સેનાપતિ ગુરુ દ્રોણ કર્ણ પાસે જાય છે અને તેને પોતાની શક્તિથી ઘટોત્કચને મારી નાખવાનો આદેશ આપે છે, પરંતુ કર્ણ ના પાડી દે છે અને કહે છે કે આચાર્ય આ શક્તિનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકાય છે, તેથી મેં અર્જુનને મારવા માટે આ શક્તિને બચાવી છે.
આ સાંભળીને આચાર્ય દ્રોણ ગુસ્સે થઈ જાય છે અને કર્ણને કહે છે કે, જો તું ઈન્દ્રની આ શક્તિથી ઘટોત્કચનો અંત નહીં કરે તો કૌરવોની સેનામાં કોઈ પણ બચી શકશે નહીં, તું પણ નહીં. તેથી, કૌરવ સેનાના સેનાપતિ હોવાને કારણે, હું તને આ જ ક્ષણે ઘટોત્કચનો અંત કરવાનો આદેશ આપું છું. પોતાના સેનાપતિના આદેશને અનુસરીને, કર્ણ તે શક્તિથી ઘટોત્કચનો અંત કરે છે. આ જોઈને બધા પાંડવો દુઃખી થઈ જાય છે પણ શ્રી કૃષ્ણ હસવા લાગે છે. પાંડવોના પ્રશ્ન પૂછવા પર શ્રી કૃષ્ણ કહે છે કે, અર્જુનના જીવતા રહેવા માટે ઘટોત્કચનું મૃત્યુ જરૂરી હતું અને આ તેનું પ્રારબ્ધ પણ હતું.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી ધ ડિવાઇન ટેલ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.