સિદ્ધિવિનાયક મંદિરની મહિમા છે અપરંપાર, જાણો બાપ્પાના આ મંદિર વિષે રોચક વાતો.
આખા દેશમાં ગણપતિ પૂજન અને ગણપતિ મંદિરની ઘણી વિશેષતા રહી છે. પ્રથમ પૂજ્ય ભગવાન શ્રીગણેશના આખા ભારતમાં ઘણા બધા મંદિરો છે, જ્યાં ભક્તોની ભારે ભીડ રહે છે. પરંતુ આ બધા મંદિરોમાંથી મુંબઈમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર વિશેષ રૂપથી પ્રસિદ્ધ છે. ગણેશ ઉત્સવ સમયે અહીં ભક્તોની ભીડ ખરેખર જોવા જેવી હોય છે. પરંતુ સામાન્ય દિવસોમાં પણ, આ મંદિરમાં ભક્તોની ઘણી ભીડ ઉમટેલી રહે છે.
લોકોને આ મંદિર વિશે વિશેષ આસ્થા અને શ્રદ્ધા છે. તમને જણાવી દઈએ કે, દેશ આખામાંથી લોકો ગણેશજીના દર્શન કરવા આવે છે. આજે અમે તમને મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલા ગણેશજીના સિદ્ધિવિનાયક મંદિરના મહિમા વિશે વિગતવાર જણાવીશું.
આ મંદિરને સિદ્ધિવિનાયક કેમ કહેવામાં આવે છે? સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન શ્રીગણેશની અનોખી મૂર્તિ છે. આ મૂર્તિમાં ભગવાન શ્રીગણેશની સૂંઢ જમણી બાજુ વળેલી છે, જેને ધાર્મિક અનુયાયીઓએ સિદ્ધીપીઠની સંજ્ઞા આપી છે. અને આ કારણો સર આ મંદિરનું નામ સિદ્ધિવિનાયક પડ્યું. એવું કહેવામાં આવે છે કે, અહીં સાચા મનથી માંગેલી બધી ઇચ્છાઓ પુરી થાય છે.
સૌથી ધનિક મંદિરોમાંથી એક : આ મંદિરને દેશના સૌથી ધનિક મંદિરોની યાદીમાં મુકવામાં આવ્યું છે. આ મંદિરની વાર્ષિક આવક વિશે વાત કરવામાં આવે, તો તે આશરે 45 કરોડની આસપાસ હોય છે. આ રકમ ભક્તો દ્વારા દાન તેમજ ચઢાવાના રૂપમાં મંદિર ટ્રસ્ટને મળે છે. કુલ રકમની વાત કરીએ તો આ મંદિરના નામે લગભગ 126 કરોડની ફિક્સ ડિપોઝિટ છે.
ઉંદરો પહોંચાડે છે સંદેશો : સિદ્ધિવિનાયકને મરાઠી ભાષાના લોકો નવસાચા ગણપતિ અને નવસાલા ગણપતિ નામથી પણ બોલાવે છે. આનો અર્થ એ છે કે જ્યારે પણ કોઈ નિષ્ઠાવાન હૃદયથી બાપ્પાની પૂજા કરે છે, ત્યારે બાપ્પા તેમની દરેક મનોકામના પુરી કરે છે.
મંદિર સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે, અહીં બાપ્પાની સવારી માનવામાં આવતા ઉંદરોની બે મોટી મૂર્તિઓ પણ છે. તેને લઈને એવી માન્યતા છે કે, ભક્તો ઉંદરના કાનમાં પોતાની મનોકામના જણાવે છે, પછી તે બાપ્પા સુધી તમારી મનોકામના પહોંચાડે છે. અને અહીં તમને ઘણા લોકો ઉંદરના કાનમાં પોતાની મનોકામના કહેતા દેખાશે.
સિદ્ધિવિનાયક મંદિરનો મહિમા પણ અપરંપાર માનવામાં આવે છે, કારણ કે અહીં આવતા ભક્તોની મનોકામના બાપ્પા ઝડપથી પુરી કરી દે છે. ગણેશજીના આ સ્વરૂપ વિશે એવું પણ કહેવામાં આવે છે કે, તેઓ જેટલા જલ્દી ભક્તો ઉપર પ્રસન્ન થાય છે, તેઓ એટલા જ જલ્દી તેમનાથી નારાજ પણ થાય છે. આ મંદિરમાં સ્થાપિત ગણેશજીનું ચતુર્ભુજ રૂપ એક ચતુર્ભુજી વિગ્રહ પણ છે. જો કે સિદ્ધિવિનાયક મંદિરની ગણતરી અષ્ટવિનાયકોમાં નથી કરવામાં આવતી, તેમ છતાં ભક્તો અહીં ગણેશના વિશેષ દર્શન માટે ચોક્કસ આવે છે.
આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.